વાચકો તરફથી પ્રશ્નો
ગલાતીઓ ૪:૨૪માં પાઉલ કયા બે કરાર વિશે વાત કરી રહ્યા હતા?
ઇબ્રાહિમનો સારાહ અને હાગાર સાથે શું સંબંધ છે, એ વિશે જણાવ્યા પછી પ્રેરિત પાઉલે કહ્યું: “આ બનાવોમાં એક અર્થ છુપાયેલો છે. આ સ્ત્રીઓ બે કરારને રજૂ કરે છે.” (ગલા. ૪:૨૨-૨૪) પહેલાં આપણે માનતા હતા કે એ બે કરાર, નિયમ કરાર અને નવો કરાર છે. પણ આ વિષય પર વધારે સંશોધન કર્યા પછી એવું લાગે છે કે આપણી સમજણમાં ફેરફાર કરવો જરૂરી છે. એવું લાગે છે કે પાઉલ અહીં નવા કરારની નહિ, પણ ઇબ્રાહિમ સાથે કરેલા કરારની વાત કરી રહ્યા હતા. એનાં અમુક કારણો જોઈએ.a
પાઉલે જણાવ્યું કે હાગાર જાણે સિનાઈ પર્વત છે. (ગલા. ૪:૨૫) હાગારનો અર્થ નિયમ કરાર થતો હતો, જે ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં સિનાઈ પર્વત પર કરવામાં આવ્યો હતો. (નિર્ગ. ૧૯:૫, ૬) પાપી હોવાને લીધે કોઈ પણ વ્યક્તિ નિયમ કરાર પૂરી રીતે પાળી શકતી ન હતી. એટલે એ કરાર ઇઝરાયેલીઓને યાદ અપાવતો હતો કે તેઓ પાપના ગુલામ છે. નિયમ કરારને લીધે લોકો આગળ જતાં મસીહને ઓળખી શકવાના હતા, કેમ કે નિયમ કરારને પૂરી રીતે પાળી શકે એવું મસીહ સિવાય બીજું કોઈ ન હતું. જ્યારે મસીહે પોતાનું પાપ વગરનું શરીર બલિદાન તરીકે આપી દીધું, ત્યારે માણસો માટે પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થવાનો રસ્તો ખૂલી ગયો. (ગલા. ૩:૧૯, ૨૪, ૨૫) આમ ઈસુએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરી અને પછી નિયમ કરારની જરૂર રહી નહિ.—રોમ. ૧૦:૪.
પાઉલે હાગારને દાસી કહી, પણ સારાહને ‘આઝાદ સ્ત્રી’ કહી, જેમણે “વચન દ્વારા” એક દીકરાને જન્મ આપ્યો. (ગલા. ૪:૨૩) એ વચન એટલે કે, ઇબ્રાહિમ સાથે કરેલો કરાર. (ગલા. ૩:૨૯; ૪:૨૩, ૨૮, ૩૦) એ વિશે ઉત્પત્તિ ૨૨:૧૮માં જણાવ્યું છે: “તારા [ઇબ્રાહિમના] વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
ઇબ્રાહિમ સાથેના કરાર દ્વારા યહોવાએ એદનમાં આપેલા વચન વિશે થોડી વધારે માહિતી આપી. (ઉત. ૩:૧૫) એ કરારથી ખબર પડી કે ‘વંશજ’ ઇબ્રાહિમના કુટુંબમાંથી આવશે. પાઉલે સમજાવ્યું કે ઈસુ ખ્રિસ્ત આ ‘વંશજનો’ મુખ્ય ભાગ છે. પણ જેઓ ‘ખ્રિસ્તના છે,’ એટલે કે ૧,૪૪,૦૦૦ લોકો, તેઓનો પણ આ વંશજમાં સમાવેશ થાય છે. તેઓને ઈસુ સાથે રાજ કરવાનો આશીર્વાદ મળ્યો છે. (ગલા. ૩:૧૬, ૨૯; પ્રકટી. ૧૪:૧-૩) ઇબ્રાહિમને આપેલા વચનને લીધે એવા લોકોને ઘણા આશીર્વાદો મળશે, જેઓ ઈસુનો સ્વીકાર કરે છે અને તેમની આજ્ઞા પાળે છે.
પાઉલ હાગાર અને સારાહના બનાવથી શું સમજાવવા માંગતા હતા? એ જ કે જો યહૂદીઓ નિયમ કરારને પકડી રાખવાની જિદ્દ કરશે, તો હાગારની જેમ દાસ કે ગુલામ રહેશે. પણ જો તેઓ ઇબ્રાહિમના ‘વંશજના’ મુખ્ય ભાગને, એટલે કે ઈસુ ખ્રિસ્તને સ્વીકારશે તો સારાહની જેમ આઝાદ થઈ જશે. તેઓને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદી મળશે. (યોહા. ૮:૩૨-૩૪) જો તેઓ ખ્રિસ્તને નહિ સ્વીકારે, તો નિયમ કરારને નકારી રહ્યા છે એવું સાબિત થશે, કેમ કે નિયમ કરારનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકો ખ્રિસ્તને ઓળખી શકે.
ધ્યાન આપો કે પાઉલ આ પત્ર ગલાતીઓના મંડળને લખી રહ્યા હતા. ત્યાં મોટા ભાગના ખ્રિસ્તીઓ યહૂદી ન હતા અને તેઓ નિયમ કરારને ક્યારેય આધીન ન હતા. તોપણ મંડળના અમુક યહૂદી ખ્રિસ્તીઓ આગ્રહ કરતા હતા કે યહૂદી ન હોય એવા ખ્રિસ્તીઓ નિયમ કરારને આધીન થાય અને સુન્નત કરાવવા જેવા નિયમો પાળે. પાઉલે સમજાવ્યું કે જો તેઓ નિયમ કરારની ‘ગુલામી’ નીચે ફરી આવવાની કોશિશ કરશે, તો એ મૂર્ખતા કહેવાશે. કેમ કે તેઓએ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એટલે તેઓને “આઝાદી” મળી ગઈ છે.—ગલા. ૫:૧, ૧૦-૧૪.
a આપણે અગાઉ જે માનતા હતા એ વિશે ચોકીબુરજ (હિંદી), માર્ચ ૧૫, ૨૦૦૬, પાન ૧૦-૧૨ પર માહિતી આપી છે. પણ હવે આપણી સમજણમાં ફેરફાર થયો છે.