વાચકો તરફથી પ્રશ્નો
દુનિયાના દેશો ક્યારે “શાંતિ અને સલામતી” જાહેર કરશે?
હાલના એક ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” લેખ આવ્યો હતો.a એમાં જણાવ્યું હતું કે યહોવા બહુ જલદી “દસ શિંગડાં” એટલે કે દુનિયાની બધી સરકારોનાં મનમાં પોતાનો “વિચાર” મૂકશે. એ છે, તેઓ પોતાની શક્તિ અને અધિકાર “લાલ રંગના જંગલી જાનવર” એટલે કે સંયુક્ત રાષ્ટ્રોને સોંપી દે. એ જાનવરને ‘જંગલી જાનવરની મૂર્તિ’ પણ કહેવામાં આવ્યું છે. (પ્રકટી. ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૧૬, ૧૭) પછી “દસ શિંગડાં” અને એ જાનવર જેણે હાલમાં જ સત્તા મેળવી હશે, તેઓ દુનિયાના બધા જૂઠા ધર્મોનો નાશ કરી દેશે. તો પછી દુનિયાના બધા દેશો “શાંતિ અને સલામતી”b ક્યારે જાહેર કરશે? જૂઠા ધર્મોનો નાશ થાય એ પહેલાં કે પછી?—૧ થેસ્સા. ૫:૩.
સાદા શબ્દોમાં કહીએ તો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત ક્યારે થશે એ આપણે જાણતા નથી. જો આપણને એકેએક વાત ખબર હોત, તો સાવધ રહેવાની અને જાગતા રહેવાની જરૂર ઊભી ન થતી. પણ ઈસુએ વારંવાર શિષ્યોને સલાહ આપી કે તેઓ ‘જાગતા રહે.’ (માથ. ૨૪:૪૨; ૨૫:૧૩; ૨૬:૪૧) ચાલો, એક ભવિષ્યવાણી તપાસીએ, જે થેસ્સાલોનિકીઓના પત્રમાં જોવા મળે છે.
પ્રેરિત પાઉલે લખ્યું: “જ્યારે લોકો કહેતા હશે, ‘શાંતિ અને સલામતી છે!’ ત્યારે . . . અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.” (૧ થેસ્સા. ૫:૨, ૩) આપણાં સાહિત્યમાં ઘણી વાર પાઉલના એ શબ્દોને આ રીતે સમજાવવામાં આવ્યા છે: મોટી વિપત્તિ શરૂ થશે એના થોડા જ સમય પહેલાં ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરવામાં આવશે. મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મોના સામ્રાજ્યના નાશથી મોટી વિપત્તિ શરૂ થશે. આપણાં સાહિત્યમાં એ પણ સમજાવ્યું છે કે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાતથી આપણને ખબર પડશે કે જલદી જ મોટી વિપત્તિ શરૂ થશે.
પણ એ વિશે વધારે સંશોધન અને અભ્યાસ કરવાથી એવું લાગે છે કે એ ભવિષ્યવાણી બીજી એક રીતે પણ સમજી શકાય છે. બની શકે કે જૂઠા ધર્મોના નાશ પછી ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થાય. એવું કેમ કહી શકાય? ચાલો અમુક સવાલો પર વિચાર કરીએ.
યુદ્ધોમાં જૂઠા ધર્મોએ કેવો ભાગ ભજવ્યો છે? બાઇબલમાં જણાવ્યું છે: “પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા હતા, તે બધાનું લોહી આ શહેરમાં [એટલે કે મહાન બાબેલોન અથવા “જાણીતી વેશ્યા”] મળી આવ્યું.” (પ્રકટી. ૧૭:૧, ૫; ૧૮:૨૪) ઇતિહાસ સાબિતી આપે છે કે જૂઠા ધર્મોએ ઘણાં યુદ્ધો ભડકાવ્યાં છે તેમજ એના લીધે હિંસા અને આતંકવાદી હુમલા થયા છે. એમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ ધર્મો શાંતિ અને સલામતીને બદલે હિંસા અને યુદ્ધોનું મુખ્ય કારણ બન્યા છે. એટલે બની શકે કે મહાન બાબેલોનના નાશ પછી દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરે. પણ આપણે પૂરી ખાતરીથી એવું કહી શકતા નથી.
‘શાંતિ અને સલામતીની’ જાહેરાત પછી શું થશે? પાઉલે કહ્યું: ‘ત્યારે અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.’ (૧ થેસ્સા. ૫:૩) અંગ્રેજી અભ્યાસ બાઇબલમાં આ કલમની અભ્યાસ માહિતીમાં જણાવ્યું છે: “પાઉલના શબ્દોથી જોવા મળે છે કે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત પછી થોડા જ સમયમાં કે તરત જ એ જાહેરાત કરનારા દેશોનો નાશ થઈ જશે. એ બંને ઘટનાઓ વચ્ચે બહુ સમય નહિ હોય. એ નાશ એકદમ અચાનક થશે અને એમાંથી કોઈ પણ બચી નહિ શકે.” જો જૂઠા ધર્મોના નાશ પહેલાં ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરવામાં આવે, તો પહેલાં જૂઠા ધર્મોના નાશમાં થોડો સમય જાય અને પછી એ દેશોનો નાશ થાય. પણ પાઉલે કહ્યું હતું કે દેશો પર “અચાનક” અને “અણધાર્યો” વિનાશ આવી પડશે. એટલે શક્ય છે કે જૂઠા ધર્મોના નાશ પછી દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરે.
એ બનાવો બનશે ત્યારે યહોવાના લોકોને કેવું લાગશે? પાઉલે કહ્યું: “ભાઈઓ, તમે અંધારામાં નથી કે એ દિવસ તમારા પર અચાનક આવી પડે, જેમ દિવસનો પ્રકાશ અચાનક ચોર પર આવી પડે છે.” (૧ થેસ્સા. ૫:૪) ધ્યાન આપો કે જો જૂઠા ધર્મોના નાશ પછી ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરવામાં આવે, તો યહોવાના લોકોને ખબર હશે કે હવે જલદી જ દેશોનો નાશ થવાનો છે. જોકે એ દેશોને ખ્યાલ પણ નહિ આવે અને ચોરની જેમ અચાનક તેઓ પર વિનાશ આવી પડશે.—૧ થેસ્સા. ૫:૨.
આપણને કઈ વાતની ખાતરી છે? બહુ જ જલદી “દસ શિંગડાં” અને શક્તિશાળી બનેલું જંગલી જાનવર જૂઠા ધર્મોનો નાશ કરશે. એનાથી મોટી વિપત્તિની શરૂઆત થશે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈક સમયે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થશે. એ જાહેરાત ક્યારે થશે? આપણે બે શક્યતાઓની ચર્ચા કરી: (૧) જૂઠા ધર્મોનો નાશ થાય એ પહેલાં ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થશે. (૨) જૂઠા ધર્મોનો પૂરો નાશ થાય એ પછી ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થશે. સમય આવ્યે જ ખબર પડશે કે એ બનાવ ક્યારે બનશે. મોટા ભાગે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી હોય ત્યારે અથવા પૂરી થઈ જાય પછી આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ.—યોહાન ૧૨:૧૬ સરખાવો.
આજે આપણા માટે એ મહત્ત્વનું નથી કે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત ક્યારે થશે. પણ વધારે મહત્ત્વનું એ છે કે આપણે ઈશ્વરને વફાદાર રહીએ. આપણે “જાગતા રહીએ અને સમજી-વિચારીને વર્તીએ,” જેથી કોઈ પણ ક્રમમાં બનાવો બને તો એ માટે આપણે તૈયાર રહી શકીએ.—૧ થેસ્સા. ૫:૬.
a ચોકીબુરજ, નવેમ્બર ૨૦૨૫માં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
b પ્રેરિત પાઉલના શબ્દોથી લાગે છે કે આ એક ઘટના અથવા એક પછી એક બનનારી ઘણી ઘટનાઓને દર્શાવતી હોય શકે.