બાઇબલ સમયનાં પાત્રો
ઓબાદ્યા—ઈશ્વરનો ડર રાખો
ઓબાદ્યા રાજમહેલના કારભારી હતા. એ સમયે દુષ્ટ રાજા આહાબનું રાજ ચાલતું હતું, જેના લીધે મોટા ભાગના ઇઝરાયેલીઓ બઆલની ભક્તિ કરવા લાગ્યા હતા. પણ ઓબાદ્યા ‘નાનપણથી યહોવાનો ડર રાખવાનું’ શીખ્યા હતા. (૧ રાજા. ૧૮:૧-૧૩) એક વખત ઇઝેબેલ રાણીએ યહોવાના બધા પ્રબોધકોને મારી નાખવાનો હુકમ કર્યો. પણ યહોવાનો ડર રાખતા હોવાને લીધે ઓબાદ્યાએ હિંમત બતાવી અને યહોવાના પ્રબોધકોને મદદ કરવા આગળ આવ્યા. જોકે એક પ્રબોધકને પણ સંતાડવું જોખમથી ભરેલું હતું. એવામાં ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને સંતાડ્યા અને આકરા દુકાળમાં તેઓને ખોરાક પૂરો પાડ્યો! જરા વિચારો, બઆલના સેંકડો જૂઠા પ્રબોધકોથી સંતાઈને મદદ કરવી કેટલું અઘરું હશે!—૧ રાજા. ૧૮:૧૯.
આપણે ઓબાદ્યા પાસેથી શું શીખી શકીએ? ઓબાદ્યાને પણ આહાબ રાજાનો ડર લાગતો હતો. પણ એનાથી વધારે તે યહોવાનો ડર રાખતા હતા. એટલે તેમણે હિંમત બતાવીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને પોતાના ભાઈઓનું રક્ષણ કર્યું. આપણા વિશે શું? જો આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ જ્યાં યહોવાની ભક્તિ પર પ્રતિબંધ હોય, તો આપણે પણ યહોવાનો ડર રાખવો જોઈએ. એનાથી આપણને કસોટીઓ સહેતાં ભાઈ-બહેનોને મદદ કરવા હિંમત મળશે.