પ્રચાર કરવા હંમેશા તૈયાર રહીએ
૧. ઈસુના શિષ્યો બધે જ પ્રચાર કરતા હતા એ આપણે કઈ રીતે કહી શકીએ?
૧ પહેલી સદીમાં ઈસુના શિષ્યોએ જ્યાં પણ લોકો મળે ત્યાં બધાને પ્રચાર કર્યો હતો. (પ્રે.કૃ. ૫:૪૨) ઘર ઘરનો પ્રચાર કરતી વખતે તેઓએ ચોક્કસ રસ્તા પર મળતા લોકો સાથે પણ વાત કરી હશે. તેઓ પ્રચાર પછી જો બજારમાં ખરીદી કરવા જતા અને કોઈ તક મળતી તો એ ઝડપી લેતા. ઈસુની જેમ તેઓ પણ ખુશખબર ફેલાવવા હંમેશા તૈયાર રહેતા.—માર્ક ૬:૩૧-૩૪.
૨. આપણા નામ પ્રમાણે જીવવા શું કરવું જોઈએ?
૨ હંમેશા તૈયાર રહીએ: આપણે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ. જોકે એ નામ પરથી લોકોને તરત જ ખ્યાલ આવતો નથી કે આપણે શું કામ કરીએ છીએ. ફક્ત લોકો એ જ પારખી શકે છે કે આપણે કોણ છીએ. (યશા. ૪૩:૧૦-૧૨) એ કારણે લોકો જ્યારે આપણી માન્યતા વિષે કંઈ પૂછે ત્યારે નમ્રતાથી સત્ય જણાવવા તૈયાર રહીએ છીએ. પછી ભલે આપણે ઘર ઘરનો પ્રચાર કરતા ન હોઈએ. (૧ પીત. ૩:૧૫) શું તમે પહેલેથી વિચારી રાખો છો કે કેવા સંજોગોમાં વાત કરવાનો મોકો મળી શકે? એ સમયે તમે કઈ રીતે જવાબ આપશો? શું તમે હંમેશા સાહિત્ય સાથે રાખો છો, જેથી રસ ધરાવતી વ્યક્તિને આપી શકો? (નીતિ. ૨૧:૫) શું તમે ફક્ત ઘર ઘરનો જ પ્રચાર કરો છો કે પછી બીજી રીતોએ પણ પ્રચાર કરો છો?
૩. આપણે કેમ બધે જ ખુશખબર ફેલાવવી જોઈએ?
૩ “જાહેરમાં” પ્રચાર કરીએ: આપણે બધે જ પ્રચાર કરી શકીએ. જેમ કે, રસ્તા પર, પાર્કીંગમાં, બગીચામાં, રેલવે-સ્ટેશન, બસ સ્ટૅન્ડ અને નોકરી-ધંધે વગેરે વગેરે. શું આ રીતે પ્રચાર કરવામાં કંઈ ખોટું છે? ના જરાય નહિ. પ્રેરિત પાઊલે પણ “જાહેરમાં” અને ઘરેઘરે પ્રચાર કર્યો હતો. (પ્રે.કૃ. ૨૦:૨૦, IBSI) ઈશ્વરના રાજ્યનો સંદેશો લોકોને જણાવવાની સૌથી સારી રીત ઘરઘરનું પ્રચારકાર્ય છે. જોકે પહેલી સદીમાં ઈસુના શિષ્યો સત્ય જણાવવા ઘરોની નહિ પણ લોકોની તલાશ કરતા હતા. એ માટે તેઓ દરેક તક ઝડપી લેતા. જાહેરમાં કે ઘરેઘરે જ્યાં પણ લોકો મળતા તેઓ સંદેશો જણાવતા. તેઓની જેમ આપણે પણ લોકોને શોધવા જોઈએ, જેથી ઈશ્વરે સોંપેલું કામ પૂરું કરી શકીએ.—૨ તીમો. ૪:૫.