પાઠ ૬
મોટા પૂરમાંથી આઠ લોકો બચ્યા
નૂહ, તેમનું કુટુંબ અને પ્રાણીઓ વહાણમાં ગયાં. પછી યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. એટલો વરસાદ પડ્યો કે વહાણ પાણી પર તરવા લાગ્યું. ધીરે ધીરે આખી પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ. બધા ખરાબ લોકોનો નાશ થયો. પણ નૂહ અને તેમનું કુટુંબ વહાણમાં હતાં, એટલે બચી ગયાં. યહોવાની વાત માનવાને લીધે તેઓ જીવતાં રહ્યાં. વિચારો, તેઓને કેટલી ખુશી થઈ હશે!
૪૦ દિવસ અને ૪૦ રાત ધોધમાર વરસાદ પડ્યો. પછી વરસાદ બંધ થઈ ગયો. ધીરે ધીરે પાણી ઓછું થવા લાગ્યું. વહાણ પહાડો પર આવીને ઊભું રહ્યું. પણ હજુ પૃથ્વી પર ઘણું પાણી હતું, એટલે નૂહ અને તેમનું કુટુંબ વહાણમાંથી બહાર આવી શકતા ન હતાં.
થોડું થોડું કરીને પાણી સુકાવા લાગ્યું. નૂહ અને તેમનું કુટુંબ એક વર્ષ કરતાં વધારે સમય વહાણમાં રહ્યાં. પછી યહોવાએ તેઓને બહાર આવવા કહ્યું. યહોવાએ તેઓને બચાવ્યા હતા, એ માટે તેઓ યહોવાનો આભાર માનવા માંગતા હતાં. એટલે બહાર આવીને તેઓએ યહોવાને અર્પણ ચઢાવ્યું.
યહોવા તેઓની ભેટથી ખુશ થયા. તેમણે વચન આપ્યું કે તે ફરી ક્યારેય પૂરથી ધરતી પર વિનાશ નહિ લાવે. એ વચનની નિશાની તરીકે તેમણે પહેલી વાર આકાશમાં મેઘધનુષ્ય બતાવ્યું. શું તમે મેઘધનુષ્ય જોયું છે?
યહોવાએ નૂહ અને તેમનાં કુટુંબને કહ્યું: ‘તમને ઘણાં બાળકો થાઓ અને પૃથ્વીને ભરી દો.’
‘નૂહ વહાણની અંદર ગયા, પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી લોકોએ ધ્યાન આપ્યું નહિ.’—માથ્થી ૨૪:૩૮, ૩૯