વિશ્વ નિહાળતા
દુનિયાનો સૌથી લાંબો લટકતો પુલ
જાપાનમાં આકાશી કાઈકીયો પુલ આવાજી ટાપુને કોબે શહેર સાથે જોડે છે, કે જેને એપ્રિલમાં ખુલ્લો મૂકતાની સાથે જ દુનિયાના સૌથી લાંબા લટકતા પુલ તરીકે રૅકર્ડ બુક્સમાં નોંધવામાં આવ્યો. “એને તૈયાર કરતા દસ વર્ષ લાગ્યા અને એની પાછળ ૭૭ અબજ ડૉલર ખર્ચવામાં આવ્યા. એની લંબાઈ ૬,૫૩૨ ફૂટ છે કે જે એના બંને મિનાર વચ્ચેનું અંતર છે,” ટાઈમ સામયિક જણાવે છે. “દરેક મિનાર, ૯૦ માળના બહુમાળી મકાન કરતાં ઊંચા છે જેમાં ૨૦ કંપન-નિયંત્રણ સાધનો છે; પવનના કારણે વળે તો, પુલના છેડે એવાં સાધનો છે કે જે એને તરત જ સીધા કરે છે.” પુલને એવી રીતે પણ બનાવવામાં આવ્યો છે કે એ રીચર માપના ૮.૦ના વધુ આંચકા સામે પણ ટકે છે. એના સ્ટીલના સળિયાની સીધી હરોળમાં મૂકીએ તો આખી પૃથ્વીને સાત વખત વીંટાળી શકાય છે.
નકલી દવા
લા ફિગારો મેગેઝિન જણાવે છે, “જગતમાં વેચાતી લગભગ ૮ ટકા દવાઓ નકલી છે.” વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, બ્રાઝિલમાં લગભગ ૩૦ ટકા દવાઓ નકલી છે અને નાઇજીરિયામાં એનું પ્રમાણ આઘાતજનક રીતે ૬૦ ટકા સુધી પહોંચ્યું છે એવો અંદાજ કાઢવામાં આવ્યો છે. વેપારીઓ નકલી દવાઓમાંથી ૩૦૦ અબજ ડૉલર કમાય છે એવો અહેવાલ નોંધવામાં આવ્યો છે. એના વેચાણમાં માફિયાઓ આગળ પડતો ભાગ ભજવે છે. દવા બનાવનાર કંપનીઓ એ વેપારને બંધ કરવાનો સખત પ્રયત્ન કરી રહી હોવા છતાં, પોલીસ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ સમસ્યા હલ કરી શકી નથી. એક તર્ફે, નકલી દવાઓની કોઈ અસર થતી નથી, એ ફક્ત માનસિક સંતોષ આપે છે; બીજી તર્ફે એ પ્રાણઘાતક પણ બની શકે છે. “નકલી દવાઓ લેવી એ પોતાના જીવનું જોખમ વહોરી લેવા બરાબર છે,” લા ફીગારો મેગેઝિન કહે છે.
દવાખાનામાં લાગતો ચેપ
“દવા આપ્યા કે શસ્ત્રક્રિયા કર્યા પછી ચેપ લાગે છે કે જે ખરેખર જાહેર આરોગ્ય સમસ્યા છે,” ફ્રેન્ચ ન્યૂઝપેપર લા ફીગારો જાહેર કરે છે. ફક્ત ફ્રાંસમાં જ, દર વર્ષે ૮,૦૦,૦૦૦ લોકોને અસર થાય છે અને મરણની સંખ્યા અંદાજે ૧૦,૦૦૦ની છે. ચેપનું જોખમ ઘટાડવાનાં વિવિધ પગલાંઓ લઈ શકાય: દરેક નવા દરદીને આવતા પહેલાં ઓરડામાંથી રોગના જીવાણુઓનો નાશ કરવો, જીવાણુઓનો નાશ કરવાની પદ્ધતિને તપાસવી અને દરદીને તપાસતા પહેલાં બરાબર હાથ ધોવા. દેખીતી રીતે જ, આમાંની ઘણી બધી પ્રક્રિયાની અવગણના કરવામાં આવે છે. પૅરિસના દવાખાનામાં કરવામાં આવેલા અભ્યાસે બતાવ્યું કે દવાખાનામાં કામ કરતા ફક્ત ૭૨ ટકા મદદનીશોએ જણાવ્યું કે તેઓ દરેક દરદીને તપાસ્યા પછી વ્યવસ્થિત રીતે હાથ ધુએ છે. આ બધામાં, ૬૦ ટકા સાનુકૂળ સંજોગો હોવા છતાં પોતાના હાથ સાફ કરતા નથી. વર્તમાનપત્ર નિષ્કર્ષ આપે છે કે આ પ્રકારના નિરાશાજનક આંકડાઓમાં “હજુ વધારે સુધારો કરવાની જરૂર છે.”
વીજળી બચાવો
“જર્મનીનાં ઘરો અને કાર્યાલયોમાં ઉપયોગમાં લેવામાં આવતી ૧૧ ટકા વીજળી કે જેનો ઉપયોગ કરવામાં આવતો નથી પણ ખાલી બાળવામાં આવે છે,” સમાચારવિજ્ઞપ્તિ અપોધકીન યુમાશાયુ અહેવાલ આપે છે. જર્મનીના અંદાજ અનુસાર, ટેલિવિઝન, સ્ટીરીઓ, કૉમ્પ્યુટર અને બીજાં ઇલેક્ટ્રોનિક સાધનો દર વર્ષે ૨૦.૫ અબજ કલાકના હજાર વોલ્ટ, વગર કામના જ બાળે છે. એ દેશના સૌથી મોટા શહેર, બર્લિનના વાર્ષિક વીજળી વપરાશ કરતાં વધારે છે. અમુક સાધનોની વગર કામની વીજળી ચાલુ રાખવાને બદલે સંપૂર્ણ વીજળી બંધ કરીને વીજળી અને તમારા પૈસા બંને બચાવી શકાય.
અત્યાચારથી નાસી છૂટતાં રખડત બાળકો
“નેવું ટકા રખડતાં બાળકોને કુટુંબ હોય છે. લગભગ [આ રખડતાં બાળકોના] ૯૦ ટકા પોતાનાં માબાપ દ્વારા થતા અત્યાચારને કારણે નાસી છૂટે છે અને ગુના, કેફી પદાર્થોનો દુરુપયોગ અને જાતીય શોષણમાં સંડોવાય છે,” અત્યાચારનો ભોગ બનેલા બાળકોને ધ્યાન આપવા માટેની પ્રાદેશિક કેન્દ્ર (ક્રેમી)ની વ્યવસ્થાપિકા એન્ઝા માટરે કહ્યું. બ્રાઝિલના ઓ એસ્તદો દે એસ. પાઊલો વર્તમાનપત્રમાં ટાંકેલા માટર સલાહ આપે છે કે આરોગ્ય કર્મચારી અને શિક્ષકોએ અત્યાચારનાં ચિહ્નો જુએ ત્યારે સાવધ થવાની જરૂર છે, જેમાં તેઓના “વર્તનમાં એકાએક ફેરફાર, એકદમ શાંત થઈ જવું, શરીર પર ઉઝરડા”નો સમાવેશ થાય છે. મદદ માંગવી જરૂરી છે. પરંતુ ક્રેમીએ બાળકોને સંડોવતા ફક્ત ૫ ટકા કેસ હાથ ધર્યા છે કે જે બાળકોએ પોતાના રક્ષણ માટે મદદ માંગી છે. અત્યાચારી માબાપ હંમેશા મદદનો નકાર કરે છે. શા માટે? ક્રેમી સંસ્થાના પ્રમુખ ઝાઊન રોબોર્ટ સ્કોમપારી કહે છે: “પોતાનાં બાળકો પર હિંસકપણે હુમલો કરનાર માબાપ, તેઓ નાનાં હતા ત્યારના પોતાના અનુભવનું પુનરાવર્તન કરતા હતા, અને તેઓ માને છે કે તેઓ પોતાના બાળકોને એ રીતે શિક્ષણ આપી રહ્યા છે.”
ભૂલકણા લોકો
લા રીપબ્લિકા વર્તમાનપત્ર બતાવે છે કે ઇટાલીના ૧,૬૦૦ પુખ્તવયનાઓમાંથી ૭૭ ટકાએ જણાવ્યું કે તેઓ બાબતોને ભૂલી જાય છે. એના ત્રીજા કરતાં વધારે આવનાર વર્ષની મહત્ત્વની સંવત્સરી ભૂલી ગયા છે. વધુમાં, ૪૨ ટકા લોકો નિયમિત રીતે ભૂલી જાય છે કે તેઓએ ગાડી ક્યાં પાર્ક કરી છે, ૩૦ ટકા કરતાં વધારે લોકો પોતાના ઘરની ચાવી ભૂલી જાય છે, ૨૫ ટકા કરતાં વધારે લોકો પોતાનું પાકીટ ભૂલી જાય છે અને ૧.૨ ટકા લોકો પોતાના નામ અને અટક પણ ભૂલી જાય છે. બીજી તર્ફે ૨૮ ટકા ઇટાલીવાસીઓ લોકો કહે છે કે તેઓએ શાળામાં મોઢે કરેલી કવિતાની ઓછામાં ઓછી એક પંક્તિ હજુ સુધી યાદ છે. તમે કઈ રીતે તમારી યાદશક્તિ વધારી શકો? એક અધિકૃત એ ભલામણ કરે છે કે એકબીજા સાથે સંકળાયેલી બીજી બાબતો યાદ રાખવી, ડાયરીમાં એની ટૂંકી નોંધ રાખી અને તેનું પુનરાવર્તન કરી, અને ફોનના નંબર, ધૂન અને ગાડીના નંબર યાદ રાખીને પણ તમારા મગજની કસરત કરી શકાય.
જાતીય વેપારનો ભોગ
યુક્રેન વર્તમાનપત્રની જાહેરાત વંચાય છે: “છોકરીઓ: અપરિણીત અને ખૂબ સુંદર હોવી જોઈએ. યુવાન અને ઊંચી. અમે તમને મોડલ, સેક્રેટરી, ડાન્સર, નાયિકા, વ્યાયામ શિક્ષિકા માટે આમંત્રણ આપીએ છીએ.” ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે, આ પ્રકારની લાક્ષણિક જાહેરાત જાતીયતાનો ધંધો કરનારાઓ તરફથી નાજુક યુવાન સ્ત્રીઓને વેશ્યાગીરી કરવા માટે ફસાવવા કરવામાં આવે છે. દર વર્ષે, હજારો યુક્રેન અને રશિયન સ્ત્રીઓ પોતાના જીવનની આર્થિક સ્થિતિ સુધારવાની આશામાં પરદેશ જાય છે. પરંતુ તેઓ પોતાના પરદેશના સ્થળે પહોંચે છે ત્યારે, “માફિયાઓ” દ્વારા તેઓના પાસપોર્ટ લઈ લેવામાં આવે છે અને તેઓને વેશ્યાગૃહમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. નકાર કરે તો તેઓને મારવામાં, બળાત્કાર કરવામાં અને ભયંકર રીતે મારી નાખવામાં આવી શકે છે. યુક્રેનની માનસશાસ્ત્રી લાયડેમીલો બ્રીયુકે, આવા બંધનમાંથી નાસી છૂટેલી સ્ત્રીઓને મળ્યા પછી કહે છે: “તમારે આ યુવાન છોકરીઓને કહેવું જોઈએ કે સફેદ દેખાતુ બધું દૂધ ન હોય, છાસ પણ હોય.”
બાળકોને સ્પર્શની જરૂર
ટોરન્ટો સ્ટાર વર્તમાનપત્રમાં નોંધવામાં આવેલા અભ્યાસ અનુસાર “બાળકોને નિયમિત રીતે આલિંગન, વહાલ કે હેત વગર ઉછેરવામાં આવે છે . . . તેઓમાં દબાણના હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે.” સંશોધનકર્તાઓ માને છે કે નાનપણમાં બાળકોને માતાથી અલગ રાખવામાં આવે કે ઉપેક્ષા કરવામાં આવે તો “લાંબા ગાળે શીખવાની અને યાદ રાખવાની શક્તિ પર અસર કરી શકે.” હારવર્ડ તબીબી શાળા વૈજ્ઞાનિક મેરી કાર્લસર વધુમાં જણાવે છે કે નાનેરાઓ, જેઓના કુટુંબો તેઓને “કામના દિવસોએ નબળી ગુણવત્તાવાળા ઘોડિયા ઘરમાં રાખે છે તેઓના દબાણના હોર્મોન્સનું સ્તર સપ્તાહ દરમિયાન અસામાન્ય હોય છે પરંતુ એ સપ્તાહ અંતે ઘરે રહે છે ત્યારે હોતું નથી.” આ સંશોધન વધારાના પુરાવાઓ ઉમેરે છે કે બાળકો માટે પ્રેમાળ સ્પર્શ અને વધુ પ્રેમ મહત્ત્વનો છે.