યુવાન લોકો પૂછે છે . . .
કઈ રીતે હું વધારે ધ્યાન આપી શકું?
“મેં સભાઓમાં બેસીને વર્ષો કાઢી નાખ્યા અને છતાં એમાંથી કંઈ ખાસ શીખી શક્યો નહિ. મારું મન ખાલી ભમ્યા જ કરતું હતું.”—મેથ્યુ.
તમે શાળામાં કે ખ્રિસ્તી સભાઓમાં બેઠા હોવ ત્યારે તમને અચાનક જ એવો ખ્યાલ આવે છે કે શું ચર્ચાઈ રહ્યું છે એ વિષે તમને જરાય ખબર નથી? જો કોઈક સમયે તમારું મન ભમવા લાગે તો, તેમાં તમે કંઈ એકલા નથી. અગાઉના લેખે બતાવ્યું હતું તેમ, યુવાનો મધ્યે ધ્યાન આપવાની ટૂંકી દૃષ્ટિ હોય એ સામાન્ય બાબત છે.a તેમ છતાં, થોડાંક પ્રયત્ન અને વલણમાં ફેરફાર કરવાથી, તમે ધ્યાન આપવાની ક્ષમતા વધારી શકશો.
a ઑગસ્ટ ૮, ૧૯૯૮ના, “યુવાન લોકો પૂછે છે . . . શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી?” લેખ જુઓ.
રસ ધરાવો
એક તાલીમ પામેલાં પહેલવાનનો વિચાર કરો. પ્રેષિત પાઊલે કહ્યું, “દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે.” પહેલવાન ધ્યાન ન આપે તો, કદાચ તે હારી જઈ શકે. જીતવા માટે, તેણે ધ્યાન આપતા શીખવું જ પડશે—જેમાં તેણે બૂમો પાડતા ટોળાઓ, તેમ જ પોતાનું દુઃખ અને થાક, નિષ્ફળ જવાના વિચાર સુદ્ધા ટાળવાની જરૂર છે. પરંતુ કઈ બાબત પહેલવાનને આવા ખાસ પ્રકારના પ્રયત્નો કરવા પ્રેરણા આપી શકે? પ્રેષિત પાઊલ પ્રમાણે, તેઓ “વિનાશી મુગટ” મેળવવા સારુ—વિજેતાઓને જે ટ્રોફી અને ઇનામ મેળવવા માટે આમ કરે છે.—૧ કોરીંથી ૯:૨૫.
એ જ પ્રમાણે, તમારે ધ્યાન આપવા માટે પ્રેરવાની જરૂર છે! વિલિયમ એચ. આર્મસ્ટ્રોંગે તેમના પુસ્તક અભ્યાસ અઘરો છે (અંગ્રેજી)માં કહ્યું: “રસ ધરાવવો એ વિદ્યાર્થીની જવાબદારી છે. તમારી માટે કોઈ બીજા રસ બતાવી શકતાં નથી, અને તમે પોતે ઇચ્છતા ન હો તો બીજા કોઈ તમારો રસ વધારી શકતાં નથી.” તમારી આસપાસના જગતને સમજવા માટેની ચાવી જ્ઞાન છે. તમે જેટલું વધુ જાણશો તેટલું વધુ શીખી શકશો. નીતિવચનો ૧૪:૬ કહે છે: “બુદ્ધિમાનને વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે.” કદાચ શાળામાં બધી શીખેલી બાબતો તમને યાદ નહિ આવે પરંતુ, આખરે, શાળામાંથી તમે જે શીખો છો તે તમને તમારી વિચારશક્તિ કેળવવામાં અને સુધારવામાં મદદ કરી શકે. (સરખાવો નીતિવચનો ૧:૪) માનસિક શિસ્ત અને ધ્યાન આપવાની વૃત્તિ તમને જીવનમાં મદદ કરશે.
કંટાળી જવું અને કંટાળાજનક શિક્ષકો
અમુક તરુણો ફરિયાદ કરે છે કે તેઓનાં શિક્ષકોને જ જાણે રસ ન હોય તેમ લાગે છે. જેસી નામનો એક યુવાન કહે છે: “શિક્ષક તમારી આગળ ઉભા છે, કંઈક કહે છે, અમને કામ આપે છે, અને પછી જવા કહે છે. મને લાગે છે કે તેઓને કંઈ પડી નથી. તેઓ કંઈક મહત્વનું છે એમ વર્તતા નથી, તેથી અમને પણ ધ્યાન આપવું જરૂરી લાગતું નથી.”
તો પછી, શું તમારે એવું વિચારવું જોઈએ કે ધ્યાન આપવું નકામું છે? ના. ઘણાં શિક્ષકો ફક્ત એક ખોટી માન્યતામાં ફસાઈ ગયા હોય શકે. કૉલીન નામનો એક તરુણ કહે છે: “શિક્ષકોને કોઈ ધ્યાન આપતું નથી, તેથી તેઓને લાગે છે કે કોઈને શીખવાની પડી નથી. તેથી તેઓ શીખવવામાં કંઈ મહેનત કે ઉત્સાહ બતાવતા નથી.”
માનો કે ન માનો, તમે આ સ્થિતિને અટકાવી શકો છો. કેવી રીતે? ફક્ત ધ્યાન આપીને. કંટાળી ગયેલાં શિક્ષક માટે ફક્ત એક જ વિદ્યાર્થી ધ્યાન આપે તો, તેનાં ઉત્સાહને ફરીથી તાજો કરી શકે. એ સાચું કે, અમુક શિક્ષકો પાસે આખા વર્ગનું ધ્યાન ખેંચવાની કળા હોતી નથી. પરંતુ તમે દિવાસ્વપ્નમાં ખોવાઈ જાઓ એ પહેલાં, પોતાને પૂછો, ‘તે શાના વિષે વાત કરે છે, એ વિષે તે પોતે જાણે છે?’ એમ હોય તો, તેમની પાસેથી શીખવા માટે મક્કમ નિર્ણય કરો. ધ્યાનપૂર્વક સાંભળો—ધ્યાન આપો! વર્ગ સાથેની ચર્ચામાં સામેલ થાઓ. મુદ્દાસર પ્રશ્નો પૂછો. ઉચ્ચતર શાળામાં કેવી રીતે અભ્યાસ કરવો (અંગ્રેજી) પુસ્તક નોંધે છે: “ઘણા વિદ્યાર્થીઓને શિક્ષક પાટિયા પર જે લખે એ વિષે જલદીથી લખી લેવું કોઈક શબ્દો, ચિત્રો, વ્યાખ્યા, અને મુખ્ય મુદ્દાઓ નોંધી લેવા મદદરૂપ લાગ્યું છે.”
“વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું”
ખ્રિસ્તી સભાઓમાં ધ્યાન આપવાની વાત આવે છે ત્યારે, એનું મૂલ્યાંક ઘણું છે. જેસી એ વિષે કબૂલે છે: “કેટલીક વખત યુવાનો સભાઓમાં ધ્યાન આપતા નથી કારણ કે તેઓને લાગે છે કે સભાનું મહત્ત્વ નથી.” હેબ્રી ૨:૧માં, આપણને આજ્ઞા કરવામાં આવે છે કે “આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ.” સભાઓમાં હાજરી આપ્યા પછી, શું તમે દરેક વાર્તાલાપમાંથી કંઈક યાદ રાખી શકો છો? અથવા શું તમને કદી એવું લાગ્યું છે કે કાર્યક્રમમાં કોણે ભાગ લીધો એ પણ તમને યાદ નથી?
ફરીથી, આ એવી બાબત છે કે તમે જે શીખો છો, એનું મહત્ત્વ જોવાની જરૂર છે. એમાં, તમારું જીવન સમાયેલું છે! (યોહાન ૧૭:૩) બીજી વિચારવા જેવી બાબત કે: તમે બાઇબલ વિષે શીખો છો ત્યારે, તમે દેવનાં જેવું વિચારતા શીખો છો! (યશાયાહ ૫૫:૮, ૯) અને તમે જે શીખો છો એને લાગુ પાડો છો ત્યારે, બાઇબલ જેને “નવું માણસપણું” કહે છે એ પહેરી લો છો. (કોલોસી ૩:૯, ૧૦) બીજી તર્ફે, તમે ધ્યાન નહિ આપો તો, કદાચ તમે તમારા જીવનમાં જરૂરી ફેરફારો નહિ કરી શકો; તમે તમારી આત્મિક પ્રગતિને અટકાવી નાખશો. યહોવાહ જાણે છે કે આપણે બધા આપણાં મનોને ઘણી વાર ભટકવા દઈએ છીએ. તેથી, તે આજીજી કરે છે: “કાન દઈને મારું સાંભળો . . . કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે.”—યશાયાહ ૫૫:૨, ૩.
સભાઓમાંથી વધુ લાભ મેળવવાની રીત
જોકે શરૂઆતમાં, સભામાં ધ્યાન આપવું અઘરું હોય શકે. પરંતુ સંશોધકો દાવો કરે છે કે આપણે કોઈક કામ પ્રત્યે વધારે ધ્યાન આપીએ તેમ, આપણું મગજ વધારે ધ્યાન આપે છે. શરૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવેલ મેથ્યુએ સભાઓ દરમિયાન તેનાં મનને ભમતા અટકાવવા પર કાબૂ મેળવ્યો. તે કહે છે: “મને ખબર પડી કે ધ્યાન આપવા માટે મારે પોતાને શિસ્ત આપવાની જરૂર છે. થોડા સમય પછી તે સારુ લાગવા લાગે છે, અને પછી તમે લાંબા સમય માટે ધ્યાન આપી શકો છો.” મેથ્યુ એ પણ જણાવે છે કે સભાઓ પોતા માટે આનંદદાયક બનાવવામાં બીજી એક મોટી બાબત રહેલી છે. તે કહે છે: “હું પહેલાં તૈયારી કરું છું.” શીરીસ નામની યુવતી જણાવે છે: “હું સભાની તૈયારી કરું ત્યારે, મને લાગે છે કે હું વધારે ભાગ લઈ રહી છું. વાર્તાલાપ વધુ માહિતીપ્રદ અને અર્થપૂર્ણ લાગે છે.”
વિચલિત કરતા વિચારોને રોકવા એ પણ મહત્વનું છે. સાચું, તમારા મનમાં ઘણી ચિંતાઓ હોય શકે: કે આવતા અઠવાડિયે પરીક્ષા છે, જુદું જુદું વ્યક્તિત્વ તણાવનું કારણ બની શકે, તમારે કંઈક ખર્ચ કરવાનો હોય. પરંતુ ઈસુએ આ સલાહ આપી: “અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? તે માટે આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને સારૂ તે દહાડાનું દુઃખ બસ છે.” (માત્થી ૬:૨૭, ૩૪) મંડળકીય સભામાં ધ્યાન આપવાથી તમારી સમસ્યાઓ હલ નહિ થઈ જાય, પરંતુ સભાઓ તમને આત્મિક રીતે તાજગી આપશે જે તમને તમારી સમસ્યાનો સારી રીતે સામનો કરવામાં મદદ કરશે.—સરખાવો ૨ કોરીંથી ૪:૧૬.
ધ્યાનપૂર્વક સાંભળવું, એ પણ ધ્યાન કેન્દ્રિત કરવા મદદરૂપ નીવડી શકે. મેથ્યુ કહે છે: “વક્તા તેના વાર્તાલાપમાં શું કહેશે એ વિષે હું અનુમાન કરું છું અને પછી જોઉં છું કે તે કઈ રીતે રજૂ કરે છે.” પોતાને પૂછો, ‘કયા મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવી રહ્યાં છે? જે શીખવવામાં આવી રહ્યું છે એ હું કઈ રીતે વાપરી શકું?’ વક્તા હવે પછી શું કહેશે એનું અનુમાન કરતા રહેવાથી તમે તમારું મન એક બાબત પર કેન્દ્રિત કરી શકો છો. તેમની વિચારસરણીને અનુસરવાની કોશિશ કરો. તે જે શાસ્ત્રીય દલીલો રજૂ કરે એની નોંધ લો. તેનાં મુખ્ય મુદ્દાઓ પર લક્ષ આપો અને એની સમીક્ષા કરો. ટૂંકી, અર્થપૂર્ણ નોંધ લો. શ્રોતાઓને ભાગ લેવાનું શક્ય હોય ત્યારે, ભાગ લો! આમ કરવાથી તમારું મન વ્યસ્ત રહેશે અને તમારા વિચારો ભમવા લાગશે નહિ.
એ સાચું છે કે, વક્તામાં ઉત્સાહની ખામી હોય અથવા તેમની વાર્તાલાપ આપવાની રીત ધીમી હોય ત્યારે ધ્યાન આપવું અઘરું છે. યાદ કરો કે પહેલી સદીના ખ્રિસ્તીઓએ પ્રેષિત પાઊલની બોલવાની રીત વિષે શું કહ્યું: “તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.” (૨ કોરીંથી ૧૦:૧૦) પરંતુ પાઊલે આવી ટીકાનો આમ કહેતા જવાબ આપ્યો: “જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી.” (૨ કોરીંથી ૧૧:૬) હા, જો પાઊલનાં સાંભળનારાઓએ તેમની બોલવાની રીત કરતાં, તેમણે જે શીખવ્યું એ પર ધ્યાન આપ્યું હોત તો, તેઓ “દેવનાં ઊંડા વિચારોને” સમજી શક્યા હોત. (૧ કોરીંથી ૨:૧૦) એજ પ્રમાણે, ભલેને ‘બોલવામાં દમ વગરના’ વક્તા હોય તમે તેનું ધ્યાનથી સાંભળો તો, ઘણું શીખી શકો છો. એમ પણ બની શકે કે તે કોઈક બાબત પર એવો પ્રકાશ ફેંકે અથવા તો કોઈક શાસ્ત્રવચનને એવી રીતે લાગુ પાડે કે જે તમે પહેલા કદી એવી રીતે વિચાર કર્યો નહિ હોય.
ઈસુના શબ્દો જે લુક ૮:૧૮માં નોંધાયેલા છે એ સરસ રીતે સમજાવે છે: “તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.” હા, ધ્યાન આપવાનું શીખવું—અને મગજને ભમવા ન દેવું—એમાં પ્રયત્ન અને મહેનતની જરૂર છે. પરંતુ સમય જતાં તમે સારા બદલાઓ મેળવશો. ધ્યાન આપવાનું શીખવાનો અર્થ એ થાય કે તમને શાળામાં સારા ગુણ મળશે—અને વધુ મહત્વનું એ કે, તમારી આત્મિક વૃદ્ધિ થશે!
તમે સાંભળો છો એમાં રસ કેળવવો એ જ ધ્યાન આપવાની ચાવી છે