બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું પિશાચો ખરેખર છે?
સત્તરમી અને અઢારમી સદીઓ દરમિયાન, આખા યુરોપમાં ડાકણો વિરુદ્ધ બેકાબૂ ક્રોધાવેશ ફાટી નીકળ્યો. ઘણાને ડાકણો સમજીને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો. કેટલાક જેની પર જૂઠો આરોપ હતો, તેઓએ તો દુઃખમાંથી બચવા માટે એ સ્વીકારી લીધું કે તેઓ મેલી વિદ્યા કરતા હતા. અગણિત સભ્યોનો અફવાઓ અને શંકાઓના આધારે વધ કરવામાં આવ્યો હતો.
એ સમયે મેલી વિદ્યા જે પિશાચવાદનું એક રૂપ છે એ વિરુદ્ધ પગલાં, જે દેખીતી રીતે શાસ્ત્રવચનો પર આધારિત છતાં, સ્પષ્ટ ધર્માંધતા હતાં. પિશાચવાદ આચરતા જાદુગરો કે અન્ય કોઈને પણ યાતના આપવાની કે વધ કરવાની ખ્રિસ્તીઓને જવાબદારી આપવામાં આવી નથી. (રૂમી ૧૨:૧૯) આજે કયું વલણ પ્રચલિત છે?
નિશ્ચિંત વલણ
આજે ખ્રિસ્તીધર્મમાં મોટાભાગના લોકો આવાં પિશાચવાદી આચરણોને ગંભીરતાથી લેતા નથી. જિજ્ઞાસાને કારણે, કેટલાક ફલજ્યોતિષ, જાદુ, જોષ જોવો, અને મેલી વિદ્યામાં અભિરુચિ ધરાવી શકે, પરંતુ તેઓ આ રહસ્યમય આચરણોને પિશાચવાદ તરીકે જોતા નથી. કેટલીક વખત, આનંદપ્રમોદ કરનારાઓ, રમતવીરો, અને રાજકારણીઓ એ રહસ્ય સાથે પોતે સંડોવાયેલા છે એમ જાહેર રીતે કબૂલ કરે છે. કેટલાંક પુસ્તકો અને ચલચિત્રો જાદુગરો અને ભૂવાઓને “આકર્ષક, થોડી અસાધારણ વ્યક્તિઓ તરીકે ચિત્રિત કરે છે, જેનાં અલૌકિક કામ કોઈને નુકસાન પહોંચાડતા નથી.” બાળકોના મનોરંજન માટે અને તેઓને શિક્ષણ આપવાના હેતુથી બનાવાયેલ સામગ્રીઓ જાદુવિદ્યાના વિષયને પ્રોત્સાહન આપી શકે છે.
પિશાચવાદ પ્રત્યે આવું હલકું વલણ પિશાચો નથી એવી માન્યતા તરફ દોરી જાય છે. શું તમે માનો છો કે પિશાચો છે અને આપણને હાનિ કરવા સતત પ્રયત્ન કરે છે? છેવટે તો, આજે મોટા ભાગના લોકો કહી શકે કે તેઓએ પિશાચોનો અનુભવ કર્યો નથી કે તેઓની પ્રવૃત્તિ જોઈ નથી. શું પિશાચો ખરેખર છે?
અવિશ્વાસ ધર્મસંકટ ઊભું કરે છે
બાઇબલને સ્વીકાર કરવાનો દાવો કરનારાઓ પરંતુ પિશાચની વાસ્તવિકતા પર શંકા ઉઠાવનારાઓએ ધર્મસંકટનો સામનો કર્યો છે. જેઓ માનતા નથી કે પિશાચો અસ્તિત્વ ધરાવે છે, તેઓ બાઇબલમાં અવિશ્વાસ દર્શાવે છે. શા માટે? કારણ કે અલૌકિક શક્તિ સાથે દુષ્ટ આત્મિક પ્રાણીનો ખ્યાલ, દેવના શબ્દ, બાઇબલ દ્વારા શીખવવામાં આવ્યો છે.
એનું પ્રથમ પુસ્તક, ઉત્પત્તિ, જણાવે છે કે એક બુદ્ધિશાળી પ્રાણીએ કઈ રીતે સર્પનો ઉપયોગ કરીને હવાને ભરમાવી અને તેને દેવ વિરુદ્ધ બંડ પોકારવા તરફ દોરી ગયો. (ઉત્પત્તિ ૩:૧-૫) બાઇબલનું છેલ્લું પુસ્તક, પ્રકટીકરણ, એ દુષ્ટ પ્રપંચીની ઓળખ, “જૂનો સર્પ” તરીકે આપે છે, જેને “ડેવિલ અને શેતાન કહેવાય છે, જે આખી પૃથ્વીની વસ્તીને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) શેતાન બીજા દૂતોને પણ બંડમાં ખેંચી જવા સફળ થયો છે. (યહુદા ૬) બાઇબલમાં આ ભટકી ગયેલા દૂતોને પિશાચો કહેવામાં આવે છે. તેઓ પૃથ્વીના સાનિધ્યમાં કાર્ય કરે છે, તથા દેવ અને તેમની સેવા કરનારાઓ પર ઘણા ગુસ્સે ભરાય છે.—પ્રકટીકરણ ૧૨:૧૨.
શેતાન અને પિશાચો પાસે માણસો પર પ્રભાવ પાડવાની, નુકશાન કરવાની, અને વાતચીત કરવાની શક્તિ છે. (લુક ૮:૨૭-૩૩) તેઓએ હજારો વર્ષોથી માનવ સ્વભાવનો અભ્યાસ કર્યો છે. માનવીની નબળાઈઓ સાથે કઈ રીતે રમવું એ તેઓ જાણે છે. બાઇબલ એવા કિસ્સાઓનો અહેવાલ આપે છે જ્યાં તેઓએ પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પર પૂરેપૂરો અધિકાર ચલાવ્યો છે, કે અંકુશ ધરાવ્યો છે. (માત્થી ૧૫:૨૨; માર્ક ૫:૨) તેઓ રોગ કે શારીરિક ખોડખાંપણ જેમ કે આંધળાપણાનું કારણ બની શકે. (અયૂબ ૨:૬, ૭; માત્થી ૯:૩૨, ૩૩; ૧૨:૨૨; ૧૭:૧૪-૧૮) તેઓ લોકોના મનોને પણ આંધળા કરી શકે. (૨ કોરીંથી ૪:૪) પિશાચો પોતાના આગેવાન, શેતાનની જેમ સતત સક્રિય છે, જે “ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) બાઇબલ પિશાચોના અસ્તિત્વ વિષે ઘણા અહેવાલ આપે છે. તમે બાઇબલમાં માનતા હો તો, તમે અદૃશ્ય દુષ્ટ પ્રાણીઓની વાસ્તવિકતા પણ સ્વીકારશો.
અનિષ્ટ છેતરનારાઓ
પરંતુ જગતમાં ભયની સ્થિતિ પેદા કર્યા વગર કઈ રીતે શક્તિશાળી પિશાચો આજે અસ્તિત્વ ધરાવી શકે? શા માટે તેઓની હાજરી અને કાર્યો વધુ સ્પષ્ટ નથી? બાઇબલ જવાબ આપે છે: “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ કોરીંથી ૧૧:૧૪) ડેવિલ એક છેતરનાર છે. પિશાચી પ્રવૃત્તિ કંઈક નુકશાન વગરની કે લાભકારક તરીકે દેખાય છે. તેથી, એને ઓળખવી મુશ્કેલ છે.
શેતાન અને તેના પિશાચો, બાઇબલ સમયમાં કરતા હતા તેમ, જુદી જુદી રીતોએ લોકોને સતત અસર કરે છે. એક સમયે મેલી વિદ્યા સાથે સંડોવાયેલા કેટલાક હવે પ્રમાણિક ખ્રિસ્તીઓ છે; તેઓ પિશાચોના હુમલાનો ત્રાસ જણાવી શકે. પિશાચો મેલી વિદ્યામાં લોકોને આકર્ષવા આજે, પહેલાં કદી પણ વાપરી હતી એના કરતાં વધુ મોટા પ્રમાણમાં, પોતાની અલૌકિક શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે ધારીએ છે તેના કરતા તેઓ વધુ શક્તિ ધરાવે છે. તેમ છતાં, તેઓ લોકોને ડરાવ્યા કરતાં જો તેઓને લલચાવીને દેવથી દૂર લઈ જઈ શકે તો વધુ હાનિ થઈ શકે. બાઇબલ કહે છે, શેતાન અને પિશાચો “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) તેઓ રહસ્યમય, યુક્તિબાજ રીતે આત્મિકતાને ઇરાદાપૂર્વક ક્ષીણ કરે છે.
પિશાચો ખરેખર છે. જો ન હોય તો, લોકો આજે લોહી અને વિનાશની જે અતૃપ્ત તૃષા પ્રગટ કરે છે એ કઈ રીતે સમજાવી શકાય? માનવીઓ કુદરતી રીતે શાંતિ અને સુખમાં જીવવા માંગે છે. પરંતુ પિશાચો ખરાબ બાબતોને પ્રોત્સાહન આપે છે અને તેઓમાં માનવ મગજને અસર પાડવા અને ભ્રષ્ટ કરવાની શક્તિ છે.
તોપણ, યહોવાહ સર્વશક્તિમાન દેવ—પિશાચો કરતાં વધુ શક્તિશાળી છે. તે “શેતાનની કુયુક્તિઓ” સામે પોતાની શક્તિ અને રક્ષણ રજૂ કરે છે. (એફેસી ૬:૧૧-૧૮) આપણે પિશાચોથી અનિચ્છનીય ભય રાખવાની જરૂર નથી, કેમ કે દેવ વચન આપે છે: “તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.
Sipa Icono