વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૬
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • તણાવના ત્રણ પ્રકાર
  • તણાવ પ્રત્યે સંવેદનશીલ
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • સ્ટ્રેસ એટલે શું?
    સજાગ બનો!—૨૦૨૦
  • શું તમે પણ ચિંતામાં છો?
    સજાગ બનો!—૨૦૨૦
  • આ ટેન્શનનું હું શું કરું?
    સજાગ બનો!—૨૦૦૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૬

લાભદાયી તણાવ,

હાનિકારક તણાવ

“તણાવ કોઈ પણ માંગણીને શરીરનો સામાન્ય પ્રત્યાઘાત હોવાથી, દરેક જણ હંમેશા અમુક પ્રમાણમાં તણાવ હેઠળ હોય છે.”

—ડૉ. હાન્સ સેલી.

વાયોલિન વગાડનારે એ વગાડવા માટે, એના તાર મેળવવા પડશે—પરંતુ ફક્ત અમુક જ હદે. એ બહુ જ ખેંચેલા હશે તો, એ તૂટી જશે. પરંતુ તાર ઢીલા હશે તો, એમાંથી કોઈ સૂર વાગશે નહિ. બંને અતિરેકના વચ્ચે ક્યાંક યોગ્ય પ્રમાણમાં ખેંચાણ રહેલું છે.

તણાવ વિષે પણ એમ જ છે. આપણે જોઈ ગયા તેમ ઘણો તણાવ હાનિકારક બની શકે. પરંતુ જરાય તણાવ ન હોય તો શું? એ ઘણું જ ઇચ્છવાજોગ લાગે છે એ જ સમયે, હકીકત એ છે કે તમને અમુક પ્રમાણના તણાવની જરૂર છે. દાખલા તરીકે, કલ્પના કરો કે તમે રસ્તો ઓળંગી રહ્યા હો ત્યારે, અચાનક તમે એક કાર તમારી તરફ ઝડપી ગતિએ આવતી જુઓ છો. એ તણાવ જ છે જે તમને હાનિ થવાના માર્ગથી—ઝડપથી દૂર હટાવે છે!

પરંતુ તણાવ કંઈ કટોકટીના સમય પૂરતો જ ઉપયોગી નથી. તમારે રોજ-બ-રોજનાં કાર્યો કરવા પણ તણાવની જરૂર છે. દરેક જણ સર્વ સમયે અમુક પ્રકારના તણાવ હેઠળ હોય છે. ‘તણાવ ટાળવાનો એક માત્ર માર્ગ મરણ છે,’ ડૉ. હાન્સ સેલી કહે છે. તે ઉમેરે છે કે “તે તણાવ અનુભવે છે” એવું કથન “તેનું મગજ ફાટી જશે” વક્તવ્ય જેટલું અર્થવિહીન છે. સેલી કહે છે, “હકીકતમાં એવા વાક્યપદોથી આપણે એમ કહેવા માગીએ છીએ કે તણાવ સામાન્ય કરતાં વધારે છે.” આ સંદર્ભમાં આનંદપ્રમોદમાં પણ તણાવનો સમાવેશ થાય છે, તેમ જ ઊંઘ લેવામાં પણ, કેમ કે તમારા હૃદયના ધબકારા તેમ જ તમારા ફેફસાંની પ્રક્રિયા ચાલુ જ રહેવી જોઈએ.

તણાવના ત્રણ પ્રકાર

તણાવ જેમ વિભિન્‍ન પ્રમાણમાં હોય છે, તેમ તેના વિભિન્‍ન પ્રકાર પણ છે.

તીવ્ર તણાવ રોજ-બ-રોજના જીવનનાં દબાણોથી પરિણમે છે. ઘણી વાર એમાં અઘરી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે જેનો ઉકેલ લાવવાની જરૂર હોય છે. આ સંજોગવશાત્‌ અને માત્ર હંગામી હોવાથી, સામાન્યપણે તણાવનો સામનો કરી શકાય છે. અલબત્ત, અમુક વ્યક્તિઓ એવી હોય છે જે એકમાંથી બીજી આફતમાં સપડાતા જ હોય છે—ખરેખર, અવ્યવસ્થા તેઓના વ્યક્તિત્વનો ભાગ બની ગયેલી જણાય છે. આ સ્તરે પહોંચેલો તીવ્ર તણાવ પણ અંકુશમાં લાવી શકાય. જોકે, જ્યાં સુધી તણાવ સહન કરનાર જોઈ ન શકે કે તેની અંધાધૂંધીવાળી જીવનઢબની પોતા પર અને પોતાની આસપાસનાઓ પર કેવી અસર પડે છે, ત્યાં સુધી તે ફેરફાર કરવાનો પ્રતિકાર પણ કરી શકે.

તીવ્ર તણાવ હંગામી છે એ જ સમયે, કાયમી તણાવ લાંબાગાળાનો હોય છે. સહન કરનારને તણાવપૂર્ણ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય, ભલે પછી એ ગરીબીની આફત હોય કે પછી ઘૃણાજનક નોકરી—અથવા નોકરી જ ન હોવાની આફત હોય. કાયમી તણાવ સતત કૌટુંબિક સમસ્યાઓથી પણ પરિણમી શકે. અપંગ સંબંધીની કાળજી લેવી પણ તણાવ લાવી શકે. ભલે ગમે તે કારણ હોય, કાયમી તણાવ એનો ભોગ બનેલાને દિનોદિન, એક સપ્તાહ પછી બીજું, એક મહિના પછી બીજો, નિર્ગત કરતો જાય છે. “કાયમી તણાવનું સૌથી ખરાબ પાસું તો એ છે કે લોકો એનાથી ટેવાઈ જાય છે,” એ વિષય પરનું એક પુસ્તક કહે છે. “લોકોને તીવ્ર તણાવ તરત જ દેખાય આવે છે કારણ કે એ કંઈક નવું બની જાય છે; તેઓ કાયમી તણાવને અવગણે છે કારણ કે એ જૂનો, જાણીતો, અને કેટલીક વખત, લગભગ સ્વીકાર્ય બની ગયો હોય છે.”

આઘાતજનક તણાવ અત્યંત કરુણ ઘટના, જેમ કે બળાત્કાર, અકસ્માત, અથવા કુદરતી આફત વગેરેની અસર છે. યુદ્ધમાંની અનુભવી વ્યક્તિઓ અને જુલમી છાવણીમાંથી બચી જનારા આ પ્રકારનો તણાવ અનુભવે છે. આઘાતજનક તણાવનાં ચિહ્‍નો વર્ષો પછી પણ એ આઘાતની આબેહૂબ યાદગીરીઓનો સમાવેશ કરી શકે, જેમાં નાના નાના બનાવો પ્રત્યે વધુ લાગણીમય બની જવાનો સમાવેશ થઈ શકે. કેટલીક વખત સહન કરનારમાં જેને આઘાત-પછીના તણાવના લક્ષણો કહેવાય છે એ જોવા મળે છે.—ઉપરનું બોક્સ જુઓ.

તણાવ પ્રત્યે સંવેદનશીલ

કેટલાક કહે છે કે આપણે તણાવનો કેવો પ્રત્યાઘાત વાળીએ છીએ, એનો આધાર ભૂતકાળમાં આપણે કેટલે સુધી અને કયા પ્રકારના તણાવોનો સામનો કર્યો એના પર રહેલો છે. તેઓનું કહેવું છે કે આઘાતજનક બનાવો ખરેખર મગજની કેમિકલ “વ્યવસ્થા”માં ફેરફાર લાવી શકે, જેનાથી વ્યક્તિ ભાવિમાં તણાવ પ્રત્યે ઘણી વધુ લાગણીપ્રધાન બની જઈ શકે. દાખલા તરીકે, ડૉ. લોરેન્સ બ્રાસને વિશ્વયુદ્ધ ૨ના ૫૫૬ અનુભવી વ્યક્તિઓના અભ્યાસથી માલૂમ પડ્યું કે, એ પ્રથમ આઘાતનાં ૫૦ વર્ષો પછી પણ, યુદ્ધના કેદી ન હતા તેઓ કરતાં, જેઓ કેદી હતા તેઓમાં સ્ટ્રોકના જોખમનું પ્રમાણ આઠગણું વધારે હતું. “યુદ્ધના કેદીઓ હોવાનો તણાવ એટલો આકરો હતો કે એણે આ લોકો ભાવિમાં તણાવને જે રીતે પ્રત્યુત્તર વાળશે એના પર ઘેરી અસર કરી—એણે તેઓને લાગણીપ્રધાન બનાવી મૂક્યા.”

નિષ્ણાતોનું કહેવું છે કે, બાળપણમાં અનુભવેલા તણાવપૂર્ણ બનાવોને ઓછા અંદાજવાના નથી, કેમ કે એઓનો મહત્ત્વનો પ્રભાવ પડી શકે. “આઘાત અનુભવનારા મોટા ભાગના બાળકોને ડૉક્ટર પાસે લાવવામાં આવતા નથી,” ડૉ. જીન કિંગ કહે છે. “તેઓ સમસ્યામાંથી પસાર થાય છે, તેઓનું જીવન ચાલ્યા કરે છે, અને છેવટે વર્ષો પછી અમારી ઑફિસોમાં ઉદાસીનતા કે હૃદયરોગના દરદી બનીને આવે છે.” દાખલા તરીકે, મા/બાપ ગુમાવવાના આઘાતનો વિચાર કરો. “તમારા બાળપણમાં બનેલો એ સવિશેષ બનાવ મગજની વ્યવસ્થામાં કાયમી ફેરફારો લાવી શકે,” ડૉ. કિંગ કહે છે, “જે બાળકને સામાન્ય, દરરોજના તણાવનો સામનો કરવા નબળું બનાવી દે છે.”

અલબત્ત, વ્યક્તિ તણાવને કેવો પ્રત્યાઘાત પાડે એનો આધાર અમુક બીજા ઘટકો પર પણ રહેલો છે, જેમાં તેનું શારીરિક બંધારણ અને તણાવપૂર્ણ બનાવો હાથે ધરવા તેને મદદરૂપ પ્રાપ્ય સવલતોનો સમાવેશ થાય છે. જોકે, તણાવનાં કારણો ગમે એ હોય, એનો સામનો કરી શકાય છે. કબૂલ કે, એ સહેલું નથી. ડૉ. રેચલ યેહૂદ જણાવે છે: “તણાવને લાગણીપ્રધાન થઈ ગઈ હોય એવી વ્યક્તિને એમ કહેવું કે સ્વસ્થ થાઓ, એ જાણે કે અનિદ્રાવાળી વ્યક્તિને ઊંઘવાનું કહેવા બરાબર છે.” તેમ છતાં, તણાવ ઘટાડવા વ્યક્તિ કરી શકે એવી બાબત છે, જે હવે પછીનો લેખ બતાવશે.

ઘણા ઑફિસ કાર્યકરો તણાવ હેઠળ છે

સર્વ પ્રકારના તણાવ તમારા માટે હાનિકારક નથી

નોકરીનો તણાવ

—“ગોળાવ્યાપી સમસ્યા”

સંયુક્ત રાષ્ટ્રોનો અહેવાલ કહે છે: “તણાવ ૨૦મી સદીનો સૌથી ગંભીર આરોગ્ય વાદવિષયોમાંનો એક બની ગયો છે.” નોકરીનાં સ્થળે એની હાજરી દેખાય આવે છે.

• ઓસ્ટ્રેલિયામાં સરકારી કાર્યકરોએ તણાવ-સંબંધી કરેલા દાવાઓમાં ફક્ત ત્રણ વર્ષના સમયગાળામાં ૯૦ ટકાનો વધારો થયો છે.

• ફ્રાંસમાંના સર્વેક્ષણે પ્રગટ કર્યું કે ૬૪ ટકા નર્સો અને ૬૧ ટકા શિક્ષકો કહે છે કે તેઓ તણાવપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવાથી વ્યાકુળ હતા.

• દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્‌સને તણાવ-સંબંધી બીમારીઓમાં અંદાજે ૨૦૦ અબજ ડૉલર ખર્ચવા પડે છે. ગણતરી મુજબ, સર્વ ઔદ્યોગિક અકસ્માતોમાંના ૭૫થી ૮૫ ટકા તણાવને લાગતા વળગતા હોય છે.

• ઘણા દેશોમાં, માણસો કરતાં સ્ત્રીઓ તણાવથી વધુ પીડાતી હોય એમ જણાય છે. સંભવિત: એનું કારણ તેઓ ઘર અને નોકરીએ એકસાથે ઘણી ફરજો અદા કરતી હોય છે.

નોકરીએ તણાવ નિશ્ચે જ, યુએન અહેવાલ કહે છે તેમ, “ગોળાવ્યાપી સમસ્યા” છે.

અસામાન્ય અનુભવના સામાન્ય પ્રત્યાઘાતો

‘અમારો કાર અકસ્માત થયો એના ત્રણ મહિના પછી પણ, હું રડવાનું બંધ કરી શકતી ન હતી, કે રાત્રિભર ઊંઘી શકતી ન હતી. ઘરથી બહાર જવું પણ ભયજનક હતું.’—લુઈસ.

લુઈસ આઘાત-પછીના તણાવનાં લક્ષણો, નિર્બળ કરી નાખનારી બીમારી અનુભવતી હતી, જે આઘાતજનક બનાવને ફરીથી યાદ દેવડાવી અને ન જોઈતી યાદદાસ્ત અથવા સ્વપ્નો દ્વારા દેખાય આવે છે. એવાં લક્ષણોવાળી વ્યક્તિ વધુ પડતો ચોંકાવનારો પ્રત્યાઘાત પણ પાડી શકે. દાખલા તરીકે, માનસિક-આરોગ્ય નિષ્ણાત, માઈકલ ડેવીસ એક વીયેતનામના વ્યક્તિના અનુભવ વિષે જણાવે છે. તે પોતાના લગ્‍નના દિવસે કારના એક્ઝોસ્ટમાંનો જોરથી અવાજ સાંભળીને ઝાડવામાં સંતાવા દોડી ગયો. “તેની આસપાસ દરેક જાતનાં ચિહ્‍નો હોવાં જોઈએ જેણે તેને જણાવ્યું હોય કે બધું બરાબર છે,” ડેવીસ કહે છે. “એ તે વીયેતનામમાં હતો એના ૨૫ વર્ષ પછી બન્યું; તે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં હતો, વીયેતનામમાં નહિ; . . . તેણે લગ્‍નનાં કપડાં પહેર્યાં હતાં, યુદ્ધનો ગણવેશ નહિ. પરંતુ એ જૂની વાત યાદ અપાવવામાં આવી ત્યારે, તે સંતાવા નાસી છૂટ્યો.”

યુદ્ધક્ષેત્રનો આઘાત એવાં લક્ષણોનું એક કારણ છે. ધ હાર્વર્ડ મેન્ટલ હેલ્થ લેટર અનુસાર, આવાં લક્ષણો કોઈ પણ “બનાવ અથવા બનાવોની શૃંખલા જેમાં સાચેસાચ કે જોખમકારક મરણ અથવા ગંભીર હાનિ કે શારીરિકપણે હાનિનું જોખમ સમાયેલા હોય,” એમાંથી પરિણમી શકે. “પછી એ કુદરતી આફત, અકસ્માત, અથવા કોઈ માનવ કૃત્ય હોય શકે: જેવા કે પૂર, આગ, ધરતીકંપ, કાર અકસ્માત, બોંબમારો, ગોળીબાર, યાતના, અપહરણ, હુમલો, બળાત્કાર, અથવા બાળ અત્યાચાર.” કદાચિત અસરકારક પુરાવો કે ફોટોગ્રાફ દ્વારા—આઘાતજનક બનાવ જોવાથી કે સાંભળવાથી જ આઘાત-પછીના તણાવનાં લક્ષણો ઉદ્‍ભવી શકે, સવિશેષપણે જો એમાં સમાયેલા લોકો કુટુંબના સભ્યો કે નિકટના મિત્રો હોય.

અલબત્ત, આઘાતજનક બનાવોને લોકો વિભિન્‍નપણે પ્રત્યાઘાત પાડે છે. “આઘાતજનક અનુભવમાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગંભીર માનસિક લક્ષણો વિકસાવતા નથી, અને વિકસાવે પણ તો, એ આઘાત-પછીના તણાવનાં લક્ષણોનો પ્રકાર હોય એવું જરૂરી નથી,” ધ હાર્વર્ડ મેન્ટલ હેલ્થ લેટર સમજાવે છે. એવાં લક્ષણોમાં ન દોરી જતા તણાવવાળા લોકો વિષે શું? સમય જતાં, કેટલાક આઘાત-સંબંધી લાગણીઓને હાથે ધરી શકે છે અને રાહત મેળવે છે. અન્યો એ બન્યા પછી ઘણાં વર્ષો સુધી આઘાતજનક બનાવની યાદ સાથે લડત આપવાનું ચાલુ રાખે છે.

એવાં લક્ષણો સહન કરનાર—અને તેઓને મદદ કરનાર—બંનેએ યાદ રાખવું જોઈએ કે એમાંથી મુક્તિ ધીરજ માંગી લે છે. બાઇબલ ખ્રિસ્તીઓને ‘ઉદાસીનોને ઉત્તેજન આપવાની, અને સઘળાંની સાથે સહનશીલ થવાની’ ભલામણ કરે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) શરૂઆતમાં જણાવવામાં આવેલ લુઈસને, તે ફરીથી કાર હંકારી શકે એ પહેલાં પાંચ મહિના લાગ્યા. “મેં નડતર આંબ્યું હોવા છતાં,” તે અકસ્માતના ચાર વર્ષ પછી જણાવે છે, “અગાઉ કાર હંકારવામાં મને જે આનંદ મળતો, એ કદી પણ પાછો મળશે નહિ. એ મારે કરવું પડે છે, તેથી હું કરું છું. પરંતુ અકસ્માત પછી મેં પસાર કરેલા નિઃસહાય સમય કરતાં હું ઘણી આગળ નીકળી છું.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો