બાગ માટે આપણો પ્રેમ
શું તમે ઘોંઘાટ અને જીવનની અવિશ્રાન્ત દોડથી રાહત મેળવવા, સુંદર બાગનું શાંત વાતાવરણ આવકારશો? શું તમે ઘાસની જાજમ, ફૂલો, ઘટાદાર છાયાવૃક્ષો, અને તળાવોવાળા શાંત બગીચાઓ તમારા કુટુંબ સાથે ઊજાણી માટે અથવા કોઈ મિત્ર સાથે લટાર મારવા પસંદ કરશો? હા, બાગ કેવો આરામદાયક, તાજગીભર્યો, શાંતિપૂર્ણ, અરે આરોગ્યપ્રદ પણ છે!
જો કે સમયના અભાવને કારણે, કેટલાક બાગની માવજત કરવાનું વલણ ન ધરાવે છતાં, આપણ સહુ બાગના રંગો, સુગંધ, કલરવો, અને ફળોથી હર્ષ પામીએ છીએ. થોમસ જેફરસન—સ્થપતિ, વૈજ્ઞાનિક, ધારાશાસ્ત્રી, સંશોધક, અને યુ.એસ. પ્રમુખને—બાગ ખૂબ ગમતો હતો. તેમણે લખ્યું: “ભૂમિ પરની લીલોતરીથી વધુ હર્ષપૂર્ણ મારા માટે બીજું કંઈ નથી. . . . હું હજુ પણ બાગ પર વારી જાઉં છું. ભલેને હું એક વૃદ્ધ હોવા છતાં, હજુ પણ જુવાન માળી છું.”
ઘણા તેમની દૃષ્ટિના સહભાગી થાય છે. દર વર્ષે કરોડો મુલાકાતીઓ દુનિયાના પ્રખ્યાત બાગોમાં રેલાય છે—થોડાક ગણાવીએ તો, ઇંગ્લૅંડમાં, ક્યુ ગાર્ડન્સ (રોયલ બોટનિક ગાર્ડન્સ); ક્યોટો, જાપાનમાંના બાગો; ફ્રાંસમાં, વર્સેઈલીસ મહેલના બાગો; પેન્નસિલ્વેનિયા, યુ.એસ.એ.માં, લોંગવુડ ગાર્ડન્સ. ઘણા દેશોમાં પણ એવા શહેરી વિસ્તારો આવેલા છે જ્યાં વૃક્ષાચ્છાદિત માર્ગોવાળાં ઘરો ફરતે લીલોતરી, વૃક્ષો, અને રંગબેરંગી ફૂલોના ક્યારા છે—જાણે નાનો પારાદેશ.
બાગ આરોગ્ય વધારી શકે
એવું અવલોકવામાં આવ્યું છે કે માનવીઓ કુદરતી જગતના સંપર્કમાં રહે છે ત્યારે, તેઓનું આરોગ્ય વધારે સારું રહે છે, જો કે તેઓનો સંપર્ક બારીમાંથી ફૂલો, વૃક્ષો, લીલોતરી, અને પક્ષીઓ જોવાથી વધારે હોતો નથી. એ કારણે ન્યૂ યોર્ક સિટી હોસ્પિટલે એના છાપરા પર બાગ બનાવ્યો છે. એનો “અતિ ઉત્સાહપૂર્વક આવકાર કરવામાં” આવ્યો, હોસ્પિટલના અધિકારીએ કહ્યું. “એ દર્દીઓ અને કર્મચારીઓ, બંનેનો ઉત્સાહ ઉત્તેજિત કરનાર બન્યો છે. . . . અમે જોઈએ છીએ કે એમાં આરોગ્યની અતિઘણી શક્યતાઓ રહેલી છે.” ખરેખર, અભ્યાસો બતાવે છે કે કુદરત પર પોતાની જ્ઞાનેન્દ્રિયોને મિજબાની આપવાથી લોકો શારીરિક, માનસિક, અને લાગણીમય રીતે લાભ મેળવી શકે છે.
વળી, આત્મિક વલણવાળી વ્યક્તિને તો, દેવની કૃતિઓ વચ્ચે હોય છે ત્યારે, દેવની વધારે સમીપ હોવાની લાગણી થાય છે. બાગના આ પાસાનું પગેરું પૃથ્વી પરના છેક પ્રથમ બાગ, એદન બાગ સુધી પહોંચે છે, જ્યાં પહેલી વખત દેવે માણસ સાથે વાતચીત કરી.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ૩:૮.
બાગ માટે પ્રેમ વિશ્વવ્યાપી છે. અને એ, આપણે જોઈશું તેમ, વિશિષ્ટ અર્થપૂર્ણ છે. જો કે, એ ગુણવિશેષની ચર્ચા કરવા પહેલાં, અમે તમને ઇતિહાસના કેટલાક બાગમાં “ફરવાનું” આમંત્રણ આપીએ છીએ, એ જોવા સારું કે સર્વ લોકોનાં હૃદયમાં પારાદેશ માટેની આ ઝંખના કેટલી બધી ગહન છે.