બુધવાર, એપ્રિલ ૧૫
“એકબીજાને પ્રેમ કરો.”—યોહા. ૧૫:૧૨.
યહોવાના લોકોને બીજાઓને મદદ કરવી ખૂબ ગમે છે. (૨ કોરીં. ૮:૪) જોકે અમુક વખતે એમ કરવા હિંમત બતાવવી પડે છે. દાખલા તરીકે, યુદ્ધ ફાટી નીકળે ત્યારે વડીલો જાણે છે કે ભાઈ-બહેનોને ઉત્તેજનની, સાથ-સહકારની, બાઇબલની, સાહિત્યની અથવા ખોરાક-પાણી અને રહેવાની જગ્યાની જરૂર હોય છે. તેઓ ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ તેઓની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર હોય છે. એ સંજોગોમાં બહુ જ જરૂરી છે કે તમને જે કહેવામાં આવે એ જ તમે કરો, જેથી એકતા જળવાઈ રહે. શાખા કચેરી તરફથી મળતું માર્ગદર્શન પાળો. (હિબ્રૂ. ૧૩:૧૭) વડીલોએ શું કરવું જોઈએ? આફત માટે પહેલેથી તૈયાર થવા વિશેના અને આફત આવી પડે ત્યારે શું કરવું એ વિશેના માર્ગદર્શન પર નિયમિત રીતે વિચાર કરવો જોઈએ. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) હિંમત બતાવો, પણ સાવધ રહો. (નીતિ. ૨૨:૩) કોઈ પગલું ભરતા પહેલાં બે વાર વિચારો. કોઈ જોખમ ખેડી ન લો. યહોવા પર ભરોસો રાખો. તે તમને જરૂર મદદ કરશે, જેથી તમે ભાઈ-બહેનોને સલામત રીતે સહાય કરી શકો. w૨૪.૦૭ ૪ ¶૮; ૫ ¶૧૧
ગુરુવાર, એપ્રિલ ૧૬
‘સંકટ સમયે મેં યહોવાને હાંક મારી અને મારી અરજ તેમના કાને પડી.’—ગીત. ૧૮:૬.
રાજા દાઉદ યહોવાને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. જ્યારે રાજા શાઉલ અને બીજા દુશ્મનો દાઉદનો જીવ લેવા માંગતા હતા, ત્યારે તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને બચાવ્યા. એ પછી દાઉદે કહ્યું: “યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!” (ગીત. ૧૮:૪૬) એ શબ્દોથી દાઉદ શું કહેવા માંગતા હતા? એ શબ્દો વિશે એક લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું કે અહીં દાઉદ ભાર આપી રહ્યા હતા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને તે પોતાના સેવકોને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. પોતાના અનુભવોથી દાઉદને પાકી ખાતરી હતી કે યહોવા જ જીવતા-જાગતા ઈશ્વર છે અને તે હંમેશાં તેમની પડખે રહેશે. એ ખાતરીના લીધે દાઉદ યહોવાની સેવા અને સ્તુતિ કરતા રહી શક્યા. (ગીત. ૧૮:૨૮, ૨૯, ૪૯) જો પૂરી ખાતરી હશે કે યહોવા જ જીવતા ઈશ્વર છે, તો પૂરા ઉત્સાહથી તેમની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. આપણને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળશે. તેમ જ, યહોવાની સેવામાં સખત મહેનત કરતા રહેવાનો ઉત્સાહ વધતો જશે. એટલું જ નહિ, હંમેશાં યહોવાની નજીક રહેવાનો ઇરાદો મક્કમ થતો જશે. w૨૪.૦૬ ૨૦-૨૧ ¶૩-૪
શુક્રવાર, એપ્રિલ ૧૭
“ધ્યાન રાખજો, કોઈ માણસ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય.”—૨ થેસ્સા. ૨:૩.
પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકીઓને જે લખ્યું એનાથી શું શીખી શકીએ? જ્યારે એવી કોઈ વાત સાંભળવા મળે જે બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાતી ન હોય, કે પછી કોઈ અફવા સાંભળવા મળે, ત્યારે સમજશક્તિ વાપરવી જોઈએ. ધ્યાન આપો કે અગાઉના સોવિયેત યુનિયનમાં આપણા ભાઈઓ સાથે શું બન્યું હતું. એકવાર સરકારના લોકોએ આપણા ભાઈઓને એક પત્ર મોકલ્યો. એવું લાગતું હતું કે એ પત્ર જાણે જગત મુખ્યમથકેથી આવ્યો હોય. એ પત્રમાં અમુક ભાઈઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ એક જુદું સંગઠન બનાવે. એ પત્ર આમ તો સાચો લાગતો હતો, પણ વફાદાર ભાઈઓ છેતરાયા નહિ. તેઓ સમજી ગયા કે એમાં લખેલી વાતો બાઇબલના શિક્ષણની સુમેળમાં નથી. આજે પણ દુશ્મનો અમુક વાર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા દ્વારા આપણને મૂંઝવણમાં મૂકવાનો કે આપણી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્ન કરે છે. એમ થાય ત્યારે આપણે ‘સમજશક્તિ તરત ગુમાવવી ન જોઈએ.’ એને બદલે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જે વાંચ્યું કે સાંભળ્યું એ બાઇબલ પ્રમાણે યોગ્ય છે કે નહિ. એમ કરીશું તો છેતરાઈશું નહિ.—૨ થેસ્સા. ૨:૨, ફૂટનોટ; ૧ યોહા. ૪:૧. w૨૪.૦૭ ૧૧-૧૨ ¶૧૪-૧૫