ગુરુવાર, એપ્રિલ ૧૬
‘સંકટ સમયે મેં યહોવાને હાંક મારી અને મારી અરજ તેમના કાને પડી.’—ગીત. ૧૮:૬.
રાજા દાઉદ યહોવાને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. જ્યારે રાજા શાઉલ અને બીજા દુશ્મનો દાઉદનો જીવ લેવા માંગતા હતા, ત્યારે તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને બચાવ્યા. એ પછી દાઉદે કહ્યું: “યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!” (ગીત. ૧૮:૪૬) એ શબ્દોથી દાઉદ શું કહેવા માંગતા હતા? એ શબ્દો વિશે એક લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું કે અહીં દાઉદ ભાર આપી રહ્યા હતા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને તે પોતાના સેવકોને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. પોતાના અનુભવોથી દાઉદને પાકી ખાતરી હતી કે યહોવા જ જીવતા-જાગતા ઈશ્વર છે અને તે હંમેશાં તેમની પડખે રહેશે. એ ખાતરીના લીધે દાઉદ યહોવાની સેવા અને સ્તુતિ કરતા રહી શક્યા. (ગીત. ૧૮:૨૮, ૨૯, ૪૯) જો પૂરી ખાતરી હશે કે યહોવા જ જીવતા ઈશ્વર છે, તો પૂરા ઉત્સાહથી તેમની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. આપણને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળશે. તેમ જ, યહોવાની સેવામાં સખત મહેનત કરતા રહેવાનો ઉત્સાહ વધતો જશે. એટલું જ નહિ, હંમેશાં યહોવાની નજીક રહેવાનો ઇરાદો મક્કમ થતો જશે. w૨૪.૦૬ ૨૦-૨૧ ¶૩-૪
શુક્રવાર, એપ્રિલ ૧૭
“ધ્યાન રાખજો, કોઈ માણસ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય.”—૨ થેસ્સા. ૨:૩.
પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકીઓને જે લખ્યું એનાથી શું શીખી શકીએ? જ્યારે એવી કોઈ વાત સાંભળવા મળે જે બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાતી ન હોય, કે પછી કોઈ અફવા સાંભળવા મળે, ત્યારે સમજશક્તિ વાપરવી જોઈએ. ધ્યાન આપો કે અગાઉના સોવિયેત યુનિયનમાં આપણા ભાઈઓ સાથે શું બન્યું હતું. એકવાર સરકારના લોકોએ આપણા ભાઈઓને એક પત્ર મોકલ્યો. એવું લાગતું હતું કે એ પત્ર જાણે જગત મુખ્યમથકેથી આવ્યો હોય. એ પત્રમાં અમુક ભાઈઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ એક જુદું સંગઠન બનાવે. એ પત્ર આમ તો સાચો લાગતો હતો, પણ વફાદાર ભાઈઓ છેતરાયા નહિ. તેઓ સમજી ગયા કે એમાં લખેલી વાતો બાઇબલના શિક્ષણની સુમેળમાં નથી. આજે પણ દુશ્મનો અમુક વાર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા દ્વારા આપણને મૂંઝવણમાં મૂકવાનો કે આપણી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્ન કરે છે. એમ થાય ત્યારે આપણે ‘સમજશક્તિ તરત ગુમાવવી ન જોઈએ.’ એને બદલે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જે વાંચ્યું કે સાંભળ્યું એ બાઇબલ પ્રમાણે યોગ્ય છે કે નહિ. એમ કરીશું તો છેતરાઈશું નહિ.—૨ થેસ્સા. ૨:૨, ફૂટનોટ; ૧ યોહા. ૪:૧. w૨૪.૦૭ ૧૧-૧૨ ¶૧૪-૧૫
શનિવાર, એપ્રિલ ૧૮
‘જો કોઈ પાપ કરે, તો આપણી પાસે સહાયક છે.’—૧ યોહા. ૨:૧.
જીવનનો સૌથી સારો નિર્ણય કયો હોય શકે? યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાનો અને તેમના કુટુંબનો ભાગ બનવાનો. યહોવા ચાહે છે કે બધા જ લોકો એવું કરે. શા માટે? કેમ કે તે બધાને પ્રેમ કરે છે અને તેઓને ખુશ જોવા માંગે છે. તે ચાહે છે કે તેઓ તેમના મિત્રો બને અને હંમેશ માટે જીવે. (પુન. ૩૦:૧૯, ૨૦; ગલા. ૬:૭, ૮) પણ યહોવા કોઈને તેમની ભક્તિ કરવા જબરજસ્તી કરતા નથી. તેમની ભક્તિ કરવી કે નહિ, એ નિર્ણય તેમણે દરેક વ્યક્તિ પર છોડ્યો છે. પણ જો બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ ઈશ્વરનો નિયમ તોડે અને ગંભીર પાપ કરે, તો શું? જો તે પસ્તાવો ન કરે, તો તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. (૧ કોરીં. ૫:૧૩) તેમ છતાં, યહોવા આશા રાખે છે કે એ વ્યક્તિ તેમની પાસે પાછી ફરશે. હકીકતમાં, યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી એનું એક મહત્ત્વનું કારણ એ જ હતું કે પસ્તાવો કરનાર પાપીને માફી મળે. આપણા ઈશ્વર યહોવા ખૂબ જ પ્રેમાળ છે. તે પાપીઓને અરજ કરે છે કે તેઓ પસ્તાવો કરે.—ઝખા. ૧:૩; રોમ. ૨:૪; યાકૂ. ૪:૮. w૨૪.૦૮ ૧૪ ¶૧-૨