આનો રચનાર કોણ?
બાર્નેકલનો ગુંદર
પ્રાણીઓનો અભ્યાસ કરતા અમુક વૈજ્ઞાનિકોએ ઘણા સમયથી જોયું છે કે બાર્નેકલ્સ (નાના દરિયાઈ જીવો) પથ્થરો, બંદરોના થાંભલાઓ અને વહાણની બહારની સપાટી પર ચોંટી જાય છે. એવું કહેવાય છે કે, માણસોએ બનાવેલા ગુંદર કરતાં બાર્નેકલનો ગુંદર ઘણો મજબૂત અને ટકાઉ હોય છે. પાણીવાળી જગ્યાની સપાટી પર કઈ રીતે બાર્નેકલ્સ ચોંટેલાં રહી શકે છે? પહેલાં એ એક રહસ્ય હતું. પણ હવે એ રહસ્ય ઉકેલવામાં આવ્યું છે.
જાણવા જેવું: અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે બાર્નેકલના લાર્વા થોડા મોટા થયા પછી, પાણીમાં તરીને સૌથી પહેલાં અલગ અલગ જગ્યાની સપાટી તપાસે છે. એ જગ્યા પસંદ કર્યા પછી લાર્વામાંથી બે પદાર્થ નીકળે છે. પહેલો પદાર્થ ચીકણો હોય છે. એ પદાર્થ જે જગ્યા પર લાગે છે ત્યાં, પાણી ટકતું નથી. પછી એ ચીકણા પદાર્થને લીધે લાર્વાનો બીજો પદાર્થ સહેલાઈથી એના પર ચોંટી જાય છે. બીજો પદાર્થ પ્રોટીનથી બનેલો હોય છે, જેને ફોસ્ફોપ્રોટીન કહેવામાં આવે છે.
આ બંને પદાર્થો ભેગા થવાથી એકદમ મજબૂત ગુંદર તૈયાર થાય છે. એ ગુંદર એટલો મજબૂત હોય છે કે બૅક્ટેરિયા પણ એને ખરાબ કરી શકતા નથી. એ મજબૂત ગુંદરને કારણે જ બાર્નેકલ આખું જીવન એક જ જગ્યાએ ચોંટી રહે છે.
બાર્નેકલ્સ; અંદરના ચિત્રમાં બાર્નેકલના ગુંદરના રેસા બતાવવામાં આવ્યા છે
વૈજ્ઞાનિકોને ઘણી નવાઈ લાગી છે કે, બાર્નેકલ કઈ રીતે આટલો મજબૂત ગુંદર તૈયાર કરે છે. જે સંશોધકોએ બાર્નેકલના ગુંદર વિશેનું રહસ્ય શોધ્યું, તેઓમાંના એકનું કહેવું છે કે, “આપણે પહેલાં જાણતા ન હતા, કે ભીની જગ્યામાં કોઈ વસ્તુને કઈ રીતે ચોંટાડી શકાય. પણ હવે સૃષ્ટિ દ્વારા આપણે એ જાણી શક્યા છીએ. એ ખરેખર અદ્દભુત છે.” બાર્નેકલના ગુંદર પર અભ્યાસ કરીને સંશોધકો કદાચ એવો ગુંદર બનાવી શકે, જે પાણીવાળી જગ્યામાં પણ વાપરી શકાય. એવો ગુંદર પણ બનાવી શકે છે, જે સારવારમાં કૃત્રિમ અંગો લગાડવા અને ઇલેક્ટ્રૉનિક સાધનોના નાના ભાગોને ચોંટાડવા વાપરી શકાય.
તમને શું લાગે છે? બાર્નેકલનો ગુંદર શું પોતાની મેળે આવી ગયો, કે પછી એનો કોઈ રચનાર છે?