યુવાન લોકો પૂછે છે . . .
શા માટે હંમેશાં મારો જ વાંક કાઢવામાં આવે છે?
“મારા પપ્પા એલર્જીવાળા છે અને ધૂમ્રપાન કરતા લોકો સાથે કામ કરે છે. તે ઘરે આવે છે ત્યારે, અમુક વખત તે ખૂબ જ વ્યાકુળ હોય છે. વસ્તુઓ તે ખોવી નાખે છે અને એના માટે વાંક મારો કાઢે છે. હું તેમને કહું કે એ તેમણે ખોવી નાખી છે ત્યારે, ગુસ્સે થઈ અને મને કહે છે કે મારે તેમને સુધારવા ન જોઈએ.”—એક તરુણી.
શું તમે કોઈ વાર એવું અનુભવો છો કે ઘરમાં તમને હોળીનું નાળિયેર બનાવવામાં આવે છે? શું એમ લાગે છે કે જે કંઈ ખોટું થાય, દોષનો ટોપલો તો તમારા માથે જ ચઢાવવામાં આવે છે? આ રીતે ૧૪-વર્ષ-વયની જયાનેa લાગે છે. તે એકલવાયા મા/બાપના ઘરબારમાં રહે છે અને હંમેશા તેના નાના ભાઈ અને બહેનને સંભાળે છે. “હું નીચલે માળે હોઉં છું ત્યારે તેઓ લડવાનું શરૂ કરે છે,” જયા ફરિયાદ કરે છે. “તેઓ મૂર્ખ અને નાદાન કાર્યો કરે છે, પરંતુ પપ્પા ઘરે આવે છે ત્યારે, તે મારા પર જ ખીજવાતા કે એ રોકવા માટે હું ત્યાં હાજર નહોતી.”
તમારાં માબાપ તમને નકામા, આળસુ, કે બેજવાબદાર કહેતા હોય અથવા તમારી ઊણપોને જાહેર કરવા બીજા નામ આપે જેનાથી લાગી શકે કે તમે એકદમ નકામા છો તો, એ વખતે એ એમ પણ લાગી શકે કે તેઓ તમારી પાસે નિષ્ફળતાની આશા રાખે છે. રમણના કુટુંબે તેનું આડનામ બેધ્યાન પ્રાધ્યાપક પાડ્યું હતું—એવું હુલામણું નામ કે જે અતિશય માઠું લગાડે છે. તમને પણ એવું હુલામણું નામ કે ખિતાબ ખીજ ચઢાવી શકે કે જે તમારી ખોડખાંપણ દર્શાવે છે, પછી ભલે એ વહાલથી કહેવામાં આવ્યું હોય. તમને સુધારો કરવા માટે પ્રેરણા આપવાને બદલે, નકારાત્મક ખિતાબ એવું ઠસાવી શકે કે હંમેશા તમારો જ વાંક હોય છે.
તરફેણદારીને કારણે વાંક કાઢવામાં આવ્યો છે એમ લાગે ત્યારે, વધારે દુઃખદાયક બની શકે છે. “હું વચેટ બાળક છું,” ફ્રેંકી નામનો એક તરુણ કહે છે, “અને હંમેશા મારી સાથે જ અન્યાય થાય છે.” એવું લાગી શકે કે તમારા નાના ભાઈ-બહેનો પર તો કદી આંગળી ઊઠાવવામાં આવતી નથી પરંતુ તમને દરેક નાની-મોટી ભૂલના અપરાધી જાહેર કરવામાં આવે છે.
શા માટે માબાપો દોષ મૂકે છે
અલબત્ત, માબાપો માટે એ કેવળ સામાન્ય છે કે પોતાના બાળકો આડા માર્ગે જાય ત્યારે તેમને સુધારવા. વિચારયુક્ત, ગુણકારી સુધારો કરાવવા દેવનો-ભય રાખતા માબાપોની પોતાનાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવાની એક રીત છે. (એફેસી ૬:૪) તથાપિ, એ જ સમયે, સારાં માબાપો પણ વધુ પડતું કહી નાખે અથવા ઉતાવળે ખોટા નિર્ણયો લઈ શકે. ઈસુના બાળપણનો એક પ્રસંગ યાદ કરો. એ પ્રસંગે ઈસુ ખોવાઈ ગયા હતા. પછીથી ખબર પડી કે તે દેવના મંદિરમાં બાઇબલ ચર્ચાઓ કરતા હતા. છતાં પણ, તેમના માબાપે તેમને શોધી કાઢ્યા ત્યારે, તેની માએ પૂછ્યું: “દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી.”—લુક ૨:૪૮.
ઈસુ સંપૂર્ણ હોવાથી, એવો કોઈ ડર ન હતો કે તે બેદરકાર વર્તનમાં પરોવાયા હતા. પરંતુ સર્વ પ્રેમાળ માબાપોની જેમ, તેની મા તેના બાળક માટે જવાબદારી અનુભવી અને ભારપૂર્વક પ્રતિક્રિયા કરી, કદાચ ડરતી હતી કે તેને કોઈ નુકશાન ના પહોંચે. એ જ રીતે, કોઈ વખતે તમારા માબાપ પણ વધુ પડતો પ્રત્યાઘાત પાડી શકે, તેઓ તમને હલકા પાડવા કે હેરાન કરવા માંગે છે એ કારણે નહિ, પરંતુ કેવળ એટલા માટે કે તેઓ ખરેખર તમારી કાળજી રાખે છે.
એ પણ સમજો કે, આપણે “સંકટના વખતો”માં જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) તમારા ઘર માટે નોકરી કરતા અને કાળજી લેતા, તમારાં માબાપ ઘણા તણાવ હેઠળ હોય છે, અને આ બાબત તેમની તમારી સાથેની વર્તવાની રીતમાં અસર કરી શકે. (સરખાવો સભાશિક્ષક ૭:૭) એક માનસિક-આરોગ્ય કાર્યકરે અવલોક્યું: “અમુક કુટુંબોમાં, કપરી વેળા ચાલતી હોય છે ત્યારે, માબાપો પોતાનો મિજાજ ગુમાવી શકે છે અને ઉતાવળા નિર્ણયો કરી શકે જ્યારે કે સામાન્ય રીતે તેઓ સારાં લોકો હોય છે.”
એકલવાયાં માબાપ ખાસ કરીને પોતાની હતાશામાંથી નીકળવા પોતાના બાળકો પર ઢળતું વલણ રાખી શકે, કેવળ એટલા માટે કે તેઓને સાથી હોતા નથી કે જેમની સાથે બાબતો ચર્ચી શકે. દેખીતી રીતે, માબાપની વ્યક્તિગત હતાશાનો ભાર અનુભવવો એ વિનોદી બાબત નથી. ૧૭-વર્ષ-વયની લુસી કહે છે: “મેં કંઈક કર્યું હોય અને હું શિક્ષાને પાત્ર ઠરું તો, એમાં કોઈ વાંધો નથી. પરંતુ મારી મમ્મી ખરાબ મિજાજમાં હોવાના કારણે મને શિક્ષા કરતી ત્યારે, એ ખરેખર અનુચિત લાગે છે.”
તરફેણદારી બીજો એક ઘટક છે. સામાન્ય રીતે મા/બાપ પોતાના સર્વ બાળકોને પ્રેમ કરતા હોવા છતાં, ખાસ કરીને એક બાળક વધારે વહાલું હોય એ તેમના માટે અસામાન્ય નથી.b (સરખાવો ઉત્પત્તિ ૩૭:૩.) તમે ઓછા-વહાલા બાળક છો એવી લાગણી આપણા પોતા માટે દુઃખદાયક છે. પરંતુ એમ લાગે કે તમારી જરૂરિયાતોની અવગણના કરવામાં આવે છે કે તમારા ભાઈબહેનોએ કરી હોય એ બાબતો માટે ઘણા વાર તમારા પર દોષ મૂકવામાં આવે ત્યારે, નિશ્ચે રોષ આવે છે. “મારે આ એક નાનો ભાઈ છે, દારેન,” યુવાન રેક્સાના કહે છે. “મમ્મી માટે તે નાનો ફિરસ્તો છે. . . . તે હંમેશા મારા પર જ દોષ મૂકે છે, દારેન પર કદી નહિ.”
વ્યથિત કુટુંબો
સ્વસ્થ કુટુંબોમાં અનુચિત દોષારોપણ જવલ્લે જ થઈ શકે. પરંતુ વ્યથિત કુટુંબોમાં માબાપની દોષારોપણ, લાંછન, અને હલકા પાડવાની ઢબછબ સતત ચાલુ જ હોય શકે. અમુક વખતે દોષારોપણ સાથે “કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ” પણ રાખવામાં આવે છે.—એફેસી ૪:૩૧.
માબાપ આવો ઊભરો કાઢે ત્યારે, શું એક યુવાન પર દોષારોપણ કરી શકાય? એ સાચું છે કે અનાજ્ઞાંકિત દીકરો કે દીકરી મા/બાપને “ખેદરૂપ” બની શકે છે. (નીતિવચન ૧૭:૨૫) તથાપિ, માબાપોને બાઇબલ આમ કહે છે: “તમારાં છોકરાંને ચીડવો [શાબ્દિક રીતે, “ગુસ્સા માટે ઉશ્કેરશો”] નહિ.” (એફેસી ૬:૪) સર્વ ખ્રિસ્તીઓની જેમ, મા/બાપે આત્મ-સંયમ રાખી, “સહનશીલ” બનવું જોઈએ. (૨ તીમોથી ૨:૨૪) એથી મા/બાપ આત્મ-સંયમ ગુમાવે છે ત્યારે, તે પોતાના બાળકની ખામીઓ પર દોષારોપણ કરી શકે નહિ.
બબડાટ પુરાવો આપે છે કે મા/બાપ લાગણીમય સંતાપ, ઉદાસીનતા, કે થોડી સ્વ-મહત્તા સહી રહ્યાં છે. એ વૈવાહિક દુઃખ અથવા દારુડિયાપણું જેવી સમસ્યાઓ પણ દર્શાવી શકે. એક ઉદ્ભવ અનુસાર, બંધાણી માબાપના બાળકો ઘણી વાર હોળીનું નાળિયેર બનતા હોય છે. “તેઓ કરે છે એ કંઈ ખરું હોતું નથી. તેઓને ‘મૂર્ખ,’ ‘નકામા,’ ‘સ્વાર્થી,’ અને વગેરે કહેવામાં આવી શકે. કુટુંબના સભ્યો પછીથી ‘સમસ્યા’ તરીકે ઓળખાવી એ બાળક (કે બાળકો) પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમની પોતાની અસ્વસ્થ લાગણીઓ અને સમસ્યાઓથી વ્યાકુળ બને છે.
અનુચિત દોષારોપણ હાથધરવું
ડૉ. કેથલીન મૅકકોય નોંધે છે: “બાળકના વ્યક્તિત્વને નામ આપવા, નીચા પાડવા અને ટીકા કરવી . . . તરુણો ઓછા સ્વાભિમાની, ઉદાસીન, અને વાતચીતવ્યવહાર ના કરે એવા બનવાના કારણે હોઈ શકે છે.” અથવા બાઇબલ પોતે જ કહે છે, કઠોર નિરૂપણ બાળકોને ‘ચીડવી’ શકે અને તેમને “નિરાશ” બનવાનું કારણ આપે છે. (કોલોસી ૩:૨૧) તમે પોતાને નકામા તરીકે વિચારવાનું શરૂ કરી શકો. તમે તમારા માબાપ તરફ નકારાત્મક લાગણીઓ વિકસાવી શકો. તમે વિચારી શકો કે તેમને રાજી કરી શકો એમ નથી એથી પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી. આવેશ અને ખીજ વધી શકે, તમને દરેક શિષ્ત ત્યજવાની ઇચ્છા થાય—અરે રચનાત્મક વલણવાળી ટીકા પણ.—સરખાવો નીતિવચન ૫:૧૨.
તમે કઈ રીતે સામનો કરી શકો? મોટા ભાગે એ તમારી પોતાની પરિસ્થિતિ પર આધાર રાખશે. શા માટે એને યથાર્થ રીતે બંધ કરી અને મૂલ્યાંકન કરતા નથી? ઉદાહરણ તરીકે, શું એ ખરેખર સાચું છે કે તમારા પર હંમેશાં દોષારોપણ કરવામાં આવે છે? અથવા એ કેવળ તમારા માબાપ ઘણી વખતે વધુ પડતી ટીકા કરી અને ખોટો બબડાટ કરવાનું હોય છે? બાઇબલ કહે છે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ,” અને એ માબાપનો સમાવેશ કરે છે. (યાકૂબ ૩:૨) એથી તમારા માબાપ સમયો સમય બબડાટ કરવામાં વધુ પડતો પ્રત્યાઘાત પણ પાડે તો, શું તમારે પણ વધુ પડતો પ્રત્યાઘાત પાડવાની જરૂર છે? કોલોસી ૩:૧૩ની બાઇબલ સલાહ સારી રીતે લાગુ પડી શકે: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.”
તમારાં માબાપ પ્રત્યેની અનુભૂતિ તમને આ કરવા મદદ કરી શકે. નીતિવચન ૧૯:૧૧ કહે છે: “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.” તમારા પપ્પા કામ પરથી ઘરે આવતા હોય ત્યારે અસાધારણ લાગણી અનુભવતા હોય અને તમે ન કર્યું હોય એવી કોઈ બાબત માટે તમારો દોષ કાઢે તો, શું એનો મોટો વાદવિષય બનાવી દેવાની જરૂર છે? સમજી શકાય એમ છે કે ઉગ્ર અને થાકેલા હોય એથી તમે ફક્ત ‘તેમની ભૂલને જતી કરો.’
તથાપિ, અનુચિત દોષારોપણ ફક્ત ક્યારેક બનતો ઉશ્કેરાટ ન હોય પરંતુ સતત અને આકરી હોય તો શું? ભાવિ લેખ તમારી પરિસ્થિતિ સુધારવા માટેની રીત ચર્ચશે.
[Footnotes]
a અમુક નામો બદલવામાં આવ્યા છે.
b વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્રારા પ્રકાશિત પુસ્તક “પ્રશ્નો જે—યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે”માં પાન ૫૦ પર, પ્રકરણ ૬ “શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?” જુઓ.
[Caption on page ૧૫]
મા/બાપ માટે એ અનુચિત નથી કે એની જરૂર હોય ત્યારે સુધારનાર સલાહ રજૂ કરે