કુટુંબ માટે મદદ| લગ્નજીવન
ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપો
તમે કોઈ પણ પ્લાન ચપટી વગાડતા જ બનાવી દો છો, પણ કદાચ તમારા સાથી કંઈ કરતા પહેલાં દસ વાર વિચારે. તેમને બધી જ વિગતો જાણવી હોય કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને ક્યારે કરવાનું છે.
તમે શાંત અને શરમાળ સ્વભાવના હો, પણ તમારા સાથીને બીજાઓ સાથે વાત કરવાનું અને સમય પસાર કરવાનું વધારે ગમતું હોય.
શું તમારા સાથીમાં એવી કોઈ આદત છે જેનાથી તમને ચીડ ચઢતી હોય? જો તમે એ વિશે જ વિચાર્યા કરશો, તો તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે. બાઇબલમાં લખ્યું છે: “જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.”—નીતિવચનો ૧૭:૯.
જો તમે તમારા સાથીની ખામીઓ પર ધ્યાન આપશો, તો તમારી વચ્ચે ઝઘડા થઈ શકે છે. એટલે તેમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપી શકો.
આ લેખમાં જોઈશું કે
તમારા સાથીની ખામીઓમાં પણ ખૂબીઓ શોધો
તમને તમારા સાથીની કોઈ આદતથી ચીડ ચઢતી હોય, પણ બની શકે કે એની પાછળ કોઈ ખૂબી છુપાયેલી હોય જે તમને બહુ ગમતી હોય. ચાલો જોઈએ કે અમુક યુગલોએ કઈ રીતે પોતાના સાથીની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપ્યું:
“મારા પતિને બધું જ નિરાંતે કરવાની આદત છે. અરે, ક્યાંક જવાનું હોય તોપણ તૈયાર થવા ઘણો સમય જોઈએ. એના લીધે હું ઘણી વાર ચિડાઈ જાઉં છું. તેમની જે વાતથી મને ચીડ ચઢે છે, એ જ વાત મને ગમે પણ છે કેમ કે તે મારી સાથે અને બીજાઓ સાથે ધીરજથી વર્તે છે.”—ચેલ્સી.
“મારી પત્ની કોઈ પણ કામ કરતા પહેલાં નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. તે ચાહે છે કે તેને પહેલેથી બધું ખબર હોય. એની એ વાતથી મને ચીડ ચઢે છે. પણ તેની એ જ આદતના લીધે તે કશું ભૂલતી નથી અને બધું કામ બરાબર થાય છે.”—ક્રિસ્ટોફર.
“ઘણી વાર લાગે છે કે મારા પતિને કોઈ વાતથી કંઈ ફરક જ નથી પડતો, એના લીધે મને ગુસ્સો આવે છે. પણ તેમનો એ શાંત સ્વભાવ જ મારા દિલને સ્પર્શી ગયો હતો. તે અઘરા સંજોગોમાં પણ બધું કામ શાંત મને કરે છે.”—ડેનિયેલ.
ચેલ્સી, ક્રિસ્ટોફર અને ડેનિયેલની વાત સાથે તમે સહમત થશો. એક વ્યક્તિની ખૂબીઓ અને ખામીઓ ઘણી વાર સિક્કાની બે બાજુ હોય છે. તેમની કોઈ ખૂબી, ખામી પણ હોય શકે છે અને કોઈ ખામી, ખૂબી પણ હોય શકે છે. જો તમે ચાહતા હો કે તમારા જીવનસાથીમાં એ ખામી ના રહે જેનાથી તમને ચીડ ચઢે છે, તો તેમનામાં એ ખૂબી પણ નહિ રહે જે તમને ગમે છે.
એ વાત પણ સાચી છે કે દરેક ખામીમાં ખૂબી હોતી નથી. દાખલા તરીકે, બાઇબલમાં લખ્યું છે કે અમુક લોકો ‘ગરમ મિજાજના’ હોય છે. (નીતિવચનો ૨૯:૨૨) એવા સમયે વ્યક્તિએ “દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો”a કાઢી નાખવા પોતાનાથી બનતું બધું કરવું જોઈએ.—એફેસીઓ ૪:૩૧.
બની શકે કે તમારા સાથીની આદતથી તમને ચીડ ચઢતી હોય. હકીકતમાં એ આદત કોઈ ખામી ન હોય. એવા સંજોગોમાં બાઇબલમાં લખેલી આ સલાહ પાળવી જોઈએ, ‘જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાનું સહન કરો.’—કોલોસીઓ ૩:૧૩.
તમારા સાથીની કોઈ આદત તમને ન ગમતી હોય તો, વિચારો કે એ આદતને લીધે તેમનામાં શું સારું છે અથવા કઈ ખૂબી છે. કદાચ એ ખૂબીને લીધે જ તમને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો. જોસેફ જણાવે છે: “તમારા સાથીની ખામીઓ પર ધ્યાન આપવું, એ તો જાણે હીરાની સુંદરતા અને ચમક પર ધ્યાન આપવાને બદલે તેની નાની અમથી ખામી પર ધ્યાન આપવા જેવું છે.”
અમુક સૂચનો
નીચે આપેલા સવાલો વિશે વિચારો. પછી તમારા સાથી જોડે એ વિશે વાત કરો.
શું મારા સાથીમાં એવી કોઈ આદત છે, જેના લીધે અમારા વચ્ચે ઝઘડો થતો હોય? જો હોય તો એ કઈ છે?
શું એ આદત સાચે જ કોઈ ખામી છે કે બસ તમને એનાથી ચીડ ચઢે છે?
શું એ આદતમાં કોઈ ખૂબી છે? જો હોય તો એ કઈ છે? તમને તમારા સાથીની એ ખૂબી કેમ ગમે છે?
a આ લેખો જુઓ: “ગુસ્સાને કઈ રીતે કાબૂમાં રાખવો?,” “કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?” અને “ઝઘડો ન થાય માટે શું કરી શકાય?.”