સંબંધો સુધારવા તરત પગલાં ભરીએ!
શું કોઈ ભાઈ કે બહેનનાં વાણી-વર્તનથી તમને ખોટું લાગ્યું છે? શું એના લીધે તમારા સંબંધો બગડી ગયા છે? જો એમ હોય તો દોસ્તી ટકાવી રાખવા તરત પગલાં ભરીએ અને સંબંધો સુધારવા બનતું બધું કરીએ. એમ કરીને આપણે મંડળની એકતા જાળવવા મદદ કરીએ છીએ.a
એને સમજવા એક દાખલો લઈએ. એક ડૉક્ટર તૂટી ગયેલા હાડકાને તરત બેસાડે છે, જેથી એ હાડકું ફરીથી જોડાઈ શકે અને ધીમે ધીમે દુખાવો ઓછો થઈ શકે. પણ જો તરત કંઈ ન કરવામાં આવે તો એ દુખતું જ રહેશે. કદાચ એનાથી પણ ખરાબ, હાડકું ખોટી રીતે જોડાઈ જશે અને હંમેશાંની ખોડ રહી જશે.
એવી જ રીતે, કોઈ ભાઈ કે બહેન સાથેના સંબંધોમાં તિરાડ પડે તો એને પૂરવા તરત પગલાં ભરવાં જોઈએ, નહિતર એ તિરાડ વધતી જશે. જો કંઈ નહિ કરીએ તો બની શકે કે દોસ્તી હંમેશાં માટે તૂટી જાય. ઈસુએ સલાહ આપી હતી: “બને એટલું જલદી સુલેહ-શાંતિ કરી લો.” (માથ. ૫:૨૫) એ માટે દોસ્તને મળીએ, તેની સાથે દિલ ખોલીને અને પ્રેમથી વાત કરીએ. પણ કયાં બે કારણોને લીધે એમ કરવું અઘરું લાગી શકે?
પહેલું કારણ, મુશ્કેલી વિશે વાત કરવી ગમતી ન હોય, એટલે એને ટાળી દેવાનું મન થાય.b એના લીધે વાત વધારે વણસી શકે છે. પહેલી સદીના મંડળની બે બહેનો, યુવદિયા અને સુન્તુખે સાથે એવું જ કંઈક થયું હતું. એવું લાગે છે કે લાંબા સમયથી તેઓ વચ્ચે કોઈ મતભેદ હતો. વાત એટલી બગડી ગઈ હતી કે પાઉલને પણ એની જાણ થઈ ગઈ, જે દૂર રોમમાં રહેતા હતા. એટલે તેમણે બંનેને અરજ કરી કે તેઓ સુલેહ કરે અને પાછાં ભેગાં થઈ જાય. (ફિલિ. ૪:૨) નમ્ર રહીને, દિલથી વાત કરીને અને એકબીજાને માફ કરીને તેઓ ફરી એકબીજાના દોસ્ત બની શકતા હતા.
બીજું કારણ, આપણને કદાચ લાગતું હોય કે સામેવાળી વ્યક્તિની ભૂલ છે, એટલે તેણે પહેલા આવીને માફી માંગવી જોઈએ. યાદ રાખીએ કે કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવું મહત્ત્વનું નથી. પણ દોસ્તને જીતી લેવો એ મહત્ત્વનું છે. એક ડૉક્ટર તૂટેલા હાડકાને ફરીથી જોડવા પર ધ્યાન આપે છે, એ કઈ રીતે તૂટ્યું એના પર વધારે પડતું ધ્યાન આપતા નથી. એવી જ રીતે, દોસ્ત સાથે વાત કરીએ ત્યારે, કોની ભૂલને લીધે દોસ્તીમાં મુશ્કેલી ઊભી થઈ એના પર ધ્યાન ન આપીએ. એના બદલે યાદ રાખીએ કે એ દોસ્તી આપણા માટે કેટલી મહત્ત્વની છે તેમજ આપણે બગડેલા સંબંધો સુધારવા મહેનત કરવાની છે.
જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થયો હોય તો એ હલ કરવામાં જરાય મોડું ન કરીએ. આજે જ પગલાં ભરીએ અને દોસ્તી ફરી પાકી કરવા બનતું બધું કરીએ. બાઇબલમાં જણાવ્યું છે તેમ, ‘સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહીએ.’ (એફે. ૪:૨૬) આમ, આપણે મંડળની ‘એકતા અને શાંતિ’ ટકાવી રાખવા મદદ કરી શકીશું.—એફે. ૪:૧-૩.
a જો કોઈ નાની વાતને લીધે ખોટું લાગ્યું હોય તો એ વિશે એકબીજા સાથે વાત કરવી જોઈએ અને દિલથી માફ કરવા તૈયાર રહેવું જોઈએ. (માથ. ૫:૨૩, ૨૪) જો વાત મોટી હોય તો વડીલોની મદદ લેવી જરૂરી છે. (માથ. ૧૮:૧૭) પણ એમ કરતા પહેલાં માથ્થી ૧૮:૧૫, ૧૬માં આપેલાં સૂચનો લાગુ પાડવા જોઈએ.
b જો કોઈ ભાઈ કે બહેનથી ખોટું લાગ્યું હોય પણ એના લીધે દોસ્તીમાં તિરાડ ન પડી હોય, તો વાતને જવા દઈ શકીએ.—નીતિ. ૨૬:૨૦