વાચકો તરફથી પ્રશ્નો
પ્રચારકામ ક્યારે પૂરું થશે?
ઈસુએ કહ્યું હતું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” (માથ. ૨૪:૧૪) આ કલમમાં “અંત” માટે જે ગ્રીક શબ્દ વપરાયો હતો, એ ટીલોસ છે. એ જ શબ્દ કલમ ૬ અને ૧૩માં જોવા મળે છે. એ આર્માગેદનમાં થનાર શેતાનની દુનિયાના અંતને બતાવે છે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) એનો અર્થ થાય કે આપણે આર્માગેદન શરૂ થાય એના થોડા સમય પહેલાં સુધી પ્રચાર કરતા રહીશું. એ અગાઉની આપણી સમજણમાં થયેલો ફેરફાર છે.
અગાઉ આપણે સમજતા હતા કે મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે આપણે પ્રચાર કરવાનું બંધ કરી દઈશું. મોટી વિપત્તિ ક્યારે શરૂ થશે? મહાન બાબેલોનના વિનાશથી. (પ્રકટી. ૧૭:૩, ૫, ૧૫, ૧૬) આપણે માનતા હતા કે એ બનાવથી ‘યહોવાની કૃપાના વર્ષનો’ અંત આવશે. એટલે કે, યહોવા હવે કોઈને ખુશખબર સ્વીકારવાનો મોકો નહિ આપે. (યશા. ૬૧:૨) આપણને એવું પણ લાગતું હતું કે જેઓ મોટી વિપત્તિમાંથી બચી જશે, તેઓએ એ બનાવ પહેલાં જ સાબિત કરવું પડશે કે તેઓ યહોવાને વફાદાર છે. આપણે કેમ એવું માનતા હતા? આપણે તેઓની સરખામણી ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમના વિનાશ વખતે બચી ગયેલા યહૂદીઓ સાથે કરતા હતા. એ લોકો બચી જાય એ માટે વિનાશ પહેલાં તેઓ પર નિશાની કરવામાં આવી હતી, કેમ કે તેઓ યહોવાની ભક્તિ કરતા હતા અને બૂરાઈને ધિક્કારતા હતા. (હઝકિ. ૫:૧૧; ૯:૪) જોકે એ સરખામણી માથ્થી ૨૪:૧૪માં ઈસુએ કહેલા શબ્દો સાથે મેળ ખાતી નથી. અગાઉ જોઈ ગયા તેમ, એ કલમના શબ્દોથી જોવા મળે છે કે આર્માગેદન શરૂ થશે એના થોડા સમય પહેલાં સુધી લોકો પાસે ખુશખબર સ્વીકારવાની તક હશે.
માથ્થી ૨૪:૧૪ની આપણી સમજણમાં સુધારો થયો છે, એટલે આપણે પ્રકટીકરણ ૧૬:૨૧ની સમજણમાં પણ સુધારો કરવાની જરૂર છે. એ કલમમાં કરાની આફત વિશે જણાવ્યું છે. વધારે ઊંડા અભ્યાસથી જોવા મળ્યું કે એ બે કલમો એકબીજાને ટેકો આપે છે. કઈ રીતે? એ સવાલનો જવાબ એના પર આધાર રાખે છે કે લોકો રાજ્યના સંદેશા માટે કેવું વલણ બતાવે છે. પ્રેરિત પાઉલે લખ્યું કે “ઉદ્ધાર મેળવનાર લોકો” માટે રાજ્યનો સંદેશો એક ખુશખબર છે. એ “એવી સુગંધ છે, જે જીવન તરફ લઈ જાય છે.” પણ ઈશ્વરના દુશ્મનો માટે એ ખરાબ સંદેશો છે. એ એવી “દુર્ગંધ છે, જે મોત તરફ લઈ જાય છે.” (૨ કોરીં. ૨:૧૫, ૧૬) ઈશ્વરના દુશ્મનો રાજ્યના સંદેશાને ધિક્કારે છે. કેમ કે એ સંદેશાથી તેઓને ગમતી દુનિયાની આ હકીકત ઉઘાડી પડે છે: એ દુષ્ટ છે, એનો શાસક શેતાન છે અને બહુ જલદી એનો નાશ થવાનો છે.—યોહા. ૭:૭; ૧ યોહા. ૨:૧૭; ૫:૧૯.
એ પણ ધ્યાન આપો કે કરાની આફત “એકદમ ભયંકર” હશે. એનો અર્થ થાય કે મોટી વિપત્તિ દરમિયાન આપણા સંદેશાની લોકો પર જોરદાર અસર થશે અને એ સંદેશો દુનિયાના ખૂણે ખૂણે પહોંચશે. આમ, યહોવાનું નામ અગાઉ કદી મનાવવામાં નથી આવ્યું એટલું મોટું મનાવવામાં આવશે. (હઝકિ. ૩૯:૭) એ સમયે મહાન બાબેલોનના વિનાશ પછી શું અમુક લોકો રાજ્યના સંદેશા તરફ ખેંચાઈ આવશે, જાણે મીઠી સુગંધ તરફ ખેંચાતા હોય? એવું બની શકે છે. કદાચ તેઓને યાદ આવે અથવા જાણવા મળે કે યહોવાના સાક્ષીઓ ઘણાં વર્ષોથી મહાન બાબેલોનના વિનાશ વિશે જણાવતા હતા. હવે તેઓ પોતાની સગી આંખે એ સાચું પડતા જોઈ રહ્યા છે.
તેઓની સરખામણી કોની સાથે કરી શકીએ? ધ્યાન આપો કે પ્રાચીન ઇજિપ્તમાં દસ આફતો આવી પછી શું બન્યું હતું. યહોવાએ ‘ઇજિપ્તના દેવોને સજા કરી’ એ પછી ઈશ્વરના લોકો સાથે ઇઝરાયેલી ન હોય એવા “બીજા લોકોનું મોટું ટોળું” જોડાયું હતું. (નિર્ગ. ૧૨:૧૨, ૩૭, ૩૮) એ પરદેશીઓએ જોયું હતું કે મૂસાએ આપેલી દસ આફતોની ચેતવણી સાચી પડી હતી. એ જોઈને તેઓએ કદાચ યહોવાના લોકો સાથે જોડાવાનું પસંદ કર્યું હતું.
જે લોકો મહાન બાબેલોનના વિનાશ પછી યહોવા તરફ ફરશે, તેઓ પાસે ખ્રિસ્તના ભાઈઓને ટેકો આપવાની તક હશે. (માથ. ૨૫:૩૪-૩૬, ૪૦) એ ભાઈઓ એ સમયે હજી પૃથ્વી પર જ હશે. પણ આર્માગેદનના થોડા જ સમય પહેલાં બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. એટલે ઘેટાં તરીકે ગણાવાની તક પણ એ સમય સુધી જ હશે.
આપણી સમજણમાં થયેલા આ સુધારાથી યહોવાના મહાન પ્રેમ અને દયાની જોરદાર સાબિતી મળે છે. હા, યહોવા “ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પિત. ૩:૯.