વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૯/૧ પાન ૨૮-૩૧
  • યહોવાહનાં “વચનો” તમારું રક્ષણ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહનાં “વચનો” તમારું રક્ષણ કરો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરના જ્ઞાનથી ઈસ્રાએલીઓને રક્ષણ મળ્યું
  • પરમેશ્વરના સિદ્ધાંતો રક્ષણ કરે છે
  • યહોવાહનાં ‘વચનોથી’ હૃદયનું રક્ષણ કરીએ
  • ઈશ્વરનું જ્ઞાન તેમના સેવકોનું રક્ષણ કરે છે
  • “મધુર સુવાસરૂપ” રક્ષણ કરે છે
  • યહોવાહ પર શ્રદ્ધા રાખો, તે તમારું રક્ષણ કરશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • તમારાં હૃદયનું રક્ષણ કરો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ‘તમારા હૃદયની સંભાળ રાખો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • તમારા હૃદયની સંભાળ રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૯/૧ પાન ૨૮-૩૧

યહોવાહનાં “વચનો” તમારું રક્ષણ કરો

ઈસવીસન પૂર્વે ૪૯૦માં ગ્રીસની મૅરેથૉન નામની જગ્યાએ ઐતિહાસિક લડાઈ ફાટી નીકળી. ઍથેન્સનું સૈન્ય ફક્ત ૧૦થી ૨૦ હજાર સૈનિકોનું હતું. એની સામે ઈરાની સૈન્ય ખૂબ શક્તિશાળી હતું. તેમ છતાં, ઍથેન્સના સૈન્યએ જીત મેળવી. કઈ રીતે? તેઓએ ગ્રીસની એક ખાસ લશ્કરી વ્યૂહરચના અપનાવી. તેઓએ દરેકે પોતાની ઢાલ એકબીજા સાથે જોડીને એક મોટી ઢાલ બનાવી. તેઓની એ ઢાલો જાણે એક દીવાલ જેવી બની ગઈ. એને ભેદવામાં દુશ્મનોના હાંજા ગગડી જતા હતા. આ ઢાલની દીવાલમાંથી ભાલાઓ તાકી રહ્યા હતા. તેઓએ એકબીજા સાથે એ રીતે જોડાઈને મજબૂત ટુકડીઓ બનાવી અને દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા.

આજે યહોવાહના ભક્તો તરીકે આપણે પણ લડાઈમાં ભાગ લઈ રહ્યા છે. આપણા શત્રુઓ ખૂબ જ શક્તિશાળી છે. આ જગત પર તેઓનું જ રાજ ચાલે છે. બાઇબલ આ શત્રુઓને, “આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓ, . . . આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો” સાથે સરખાવે છે. (એફેસી ૬:૧૨; ૧ યોહાન ૫:૧૯) તેમ છતાં, યહોવાહના ભક્તો તરીકે આપણે જીત મેળવીએ છીએ. જોકે, આ જીત આપણે કંઈ આપણી પોતાની શક્તિથી મેળવતા નથી. પરંતુ યહોવાહ આપણું રક્ષણ કરે છે ને માર્ગદર્શન આપે છે. એક કવિએ કહ્યું: “તેમનાં સર્વ વચનો સત્ય સાબિત થયાં છે. તેમનામાં આશ્રય મેળવનાર દરેકને માટે તે ઢાલ સમાન છે.”—ગીતશાસ્ત્ર ૧૮:૩૦, IBSI.

યહોવાહનાં “વચનો” બાઇબલમાં છે. બાઇબલ દ્વારા યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; ૧૧૯:૯૩) સુલેમાન રાજા જાણતા હતા કે બાઇબલમાં યહોવાહનું જ્ઞાન છે. તેથી, તેમણે લખ્યું: ‘યહોવાહનાં વચનને તું ન તજ, એટલે તે તારૂં રક્ષણ કરશે; તેના પર પ્રીતિ કર, ને તે તને સંભાળશે.’ (નીતિવચનો ૪:૬; સભાશિક્ષક ૭:૧૨) પરમેશ્વરનું જ્ઞાન કેવી રીતે આપણું રક્ષણ કરે છે? ચાલો આપણે પ્રાચીન સમયના ઈસ્રાએલીઓનો વિચાર કરીએ.

ઈશ્વરના જ્ઞાનથી ઈસ્રાએલીઓને રક્ષણ મળ્યું

યહોવાહે ઈસ્રાએલીઓને નિયમો દ્વારા દરેક બાબતમાં માર્ગદર્શન આપ્યું હતું. એનાથી તેઓને રક્ષણ મળ્યું. યહોવાહે તેઓને નિયમ આપ્યા કે તેઓએ શું ખાવું અને શું ન ખાવું જોઈએ. તેઓએ કઈ રીતે ચોખ્ખા રહેવું જોઈએ. તેઓને રોગ અને બીમારીથી રક્ષણ મળે એવા નિયમો પણ આપ્યા હતા. બીજા દેશોના લોકો રોગોથી પીડાતા હતા ત્યારે ઈસ્રાએલીઓ નિયમો પાળવાને લીધે સલામત રહેતા હતા. ઓગણીસમી સદીમાં વિજ્ઞાને જીવાણુની શોધ કરી પછી દુનિયાના લોકો એને લગતા નિયમો પાળવા લાગ્યા, જે સદીઓ પહેલાં બાઇબલમાં પરમેશ્વરે આપ્યા હતા! ઈશ્વરે તેઓને જમીન ખરીદવા-વેચવાના, તેમ જ જમીનના માલિકો માટે કરજ અને વ્યાજના નિયમો પણ આપ્યા હતા. આ બધા નિયમો પાળીને તેઓએ ઘણા લાભો મેળવ્યા હતા. તેઓ સુખ શાંતિમાં રહેતા હતા. અરે, વેપાર ધંધામાં પણ તેઓ સફળ થયા હતા. (પુનર્નિયમ ૭:૧૨, ૧૫; ૧૫:૪,૫) વળી, ઈસ્રાએલ દેશની જમીનને ફળદ્રુપ બનાવી રાખવા વિષે પણ નિયમો આપવામાં આવ્યા હતા! (નિર્ગમન ૨૩:૧૦, ૧૧) યહોવાહે પોતાના લોકોને જૂઠા ધર્મો અને મેલી વિદ્યાથી દૂર રહેવા માટે પણ નિયમો આપ્યા હતા. કેમ કે, જૂઠા ધર્મના લોકો બાળકોનું બલિદાન આપતા અને એવી અનેક ખરાબ વિધિઓમાં ભાગ લેતા હતા. તેમ જ તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા. પરંતુ, યહોવાહના નિયમો પાળીને તેમના ભક્તો શુદ્ધ ભક્તિ કરી શકતા હતા.—નિર્ગમન ૨૦:૩-૫; ગીતશાસ્ત્ર ૧૧૫:૪-૮.

ખરેખર, યહોવાહનાં વચનો ઈસ્રાએલીઓ માટે ‘નકામા ન હતા.’ નિયમ પ્રમાણે રહેવાથી તેઓ જીવન મેળવી શકતા હતા. કેમ કે, એને ધ્યાન આપનારાઓનું આયુષ્ય વધ્યું. (પુનર્નિયમ ૩૨:૪૭) ખરૂં કે આજે યહોવાહના સેવકો આ નિયમ કરારમાં નથી. તેમ છતાં યહોવાહના કહેવા પ્રમાણે ચાલવાથી તેમના સેવકોને ઘણા લાભો થાય છે. (ગલાતી ૩:૨૪, ૨૫; હેબ્રી ૮:૮) જોકે, આજે આપણી પાસે નિયમોની બદલે ઘણા સિદ્ધાંતો છે, જે પાળવાથી આપણને રક્ષણ મળે છે.

પરમેશ્વરના સિદ્ધાંતો રક્ષણ કરે છે

નિયમો અને સિદ્ધાંતોમાં ફરક છે. નિયમ મોટા ભાગે કોઈ એક જ બાબતમાં થોડા સમય માટે જ લાગુ પડતા હોય છે. જ્યારે બાઇબલના સિદ્ધાંતો સત્યનો પાયો છે. એને કાયમ માટે અને ઘણી બાબતોમાં લાગુ પાડી શકાય. દાખલા તરીકે, યાકૂબ ૩:૧૭ ( IBSI) કહે છે, ‘સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ અને . . . શાંતિપ્રિય છે.’ આ સત્ય કેવી રીતે યહોવાહના ભક્તોનું રક્ષણ કરે છે?

નિર્મળનો અર્થ થાય છે કે આપણે શુદ્ધ રહીને સારા સંસ્કાર પાળીએ. સારા સંસ્કાર જાળવી રાખવા માટે આપણે વ્યભિચારથી તેમ જ, ગંદા કામો અને વિચારોથી દૂર રહેવું જોઈએ. અશ્લીલ ચિત્રો પણ ન જોઈએ. (માત્થી ૫:૨૮) લગ્‍ન કરવાનું વિચારતા હોય એવા યુગલો પણ યાકૂબ ૩:૧૭ના સિદ્ધાંતો લાગુ પાડી શકે. કઈ રીતે? તેઓ શુદ્ધ રહેવા માટે એકબીજા સાથે એવી રીતે નહિ વર્તે કે જેનાથી તેઓ વ્યભિચારના ફાંદામાં પડે. તેઓએ એવું ન વિચારવું જોઈએ કે યહોવાહના નિયમો ન તૂટતા હોય ત્યાં સુધી તેઓ એકબીજાની સાથે ગમે તેટલી છૂટ લઈ શકે છે. તેઓ જાણે છે કે યહોવાહ તેઓના ‘હૃદય તરફ જોઈને’ ન્યાય કરે છે. (૧ શમૂએલ ૧૬:૭; ૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવાહના સિદ્ધાંતોને વળગી રહેવાથી તેઓ સેક્સથી ફેલાતા અનેક જાતના રોગોથી રક્ષણ મેળવે છે. તેમ જ તેઓને મનની શાંતિ મળે છે અને પોતાની લાગણીઓ પણ કાબૂમાં રાખી શકે છે.

યાકૂબ ૩:૧૭ એમ પણ કહે છે કે પરમેશ્વરનું જ્ઞાન “શાંતિપ્રિય” છે. આપણને ખબર છે કે શેતાન આપણા દિલમાં ક્રોધ અને હિંસા ભડકાવવાની કોશિશ કરે છે જેથી, આપણે યહોવાહની ભક્તિમાંથી પાછા પડીએ. તે પુસ્તકો, ફિલ્મો અને સંગીતમાં એવી હિંસક લાગણી ભડકાવે છે જે આપણને યહોવાહથી દૂર લઈ જઈ શકે. કૉમ્પ્યુટરની અમુક રમતો પણ હિંસક હોય છે. એમાં ખેલાડીને ઉશ્કેરવામાં આવે છે કે તે અતિશય હિંસક અને ખૂની બની જાય! (ગીતશાસ્ત્ર ૧૧:૫) આખા જગતમાં હિંસાનો પાર નથી. આ બતાવે છે કે શેતાન સફળ થઈ રહ્યો છે. અમુક વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાના ધ સિડની મૉર્નિંગ હેરાલ્ડ છાપામાં હિંસા વિષે રોબર્ટ રેસલરએ જણાવ્યું કે ૧૯૭૦ના દાયકામાં રોબર્ટે અમુક ખૂનીઓની પૂછપરછ કરી હતી. તે કહે છે કે આ ખૂનીઓ અશ્લીલ ચિત્રો જોઈને ખૂની બન્યા હતા. રોબર્ટના કહેવા પ્રમાણે ‘એ અશ્લીલ ચિત્રો આજના જેટલા ખરાબ ન હતા.’ તેથી, તે કહે છે કે ‘ભાવિ ખૂબ જ ક્રૂર હશે. નવી સદીમાં, ઘણા લોકોનું ખૂન કરનારાઓની સંખ્યા વધી જશે. તેથી ખૂનખરાબી પણ એટલા જ પ્રમાણમાં વધશે.’

છાપામાં એ લેખ છપાયો એના થોડા જ મહિના પછી ડનબ્લેન, સ્કોટલૅન્ડમાં એક માણસે ૧૬ નાના ભૂલકાંઓ અને તેઓના ટીચરને બંદૂકથી મારી નાખ્યા. પછી પોતે પણ આપઘાત કરી લીધો. એના પછીના મહિનામાં ઑસ્ટ્રેલિયાના ટેઝ્મેનિયા ટાપુ પર, પોર્ટ આર્થર નામના શાંત નગરમાં બીજા એક પાગલ માણસે ૩૨ લોકો પર ગોળી ચલાવી તેઓની હત્યા કરી નાખી. અમેરિકામાં પણ હાલમાં વર્ષોમાં કેટલીય સ્કૂલોમાં આ રીતે કત્લેઆમ ચાલી છે. તેથી લોકો પૂછે છે, ‘હે ઈશ્વર, શા માટે?’ જૂન ૨૦૦૧માં, જાપાનમાં એક પાગલે જે કર્યું એના વિષે આખી દુનિયા જાણે છે. તેણે સ્કૂલમાં પહેલા અને બીજા ક્લાસના આઠ બાળકોને છરીથી મારી નાખ્યા. બીજા પંદર જણાને ઘાયલ કર્યાં. આપણે સમજી શકતા નથી કે શા માટે લોકો આવાં કામો કરે છે. પરંતુ, ટીવી, છાપા અને ફિલ્મોમાં વધુને વધુ હિંસા બતાવવામાં આવે છે જેની બહુ જ ખરાબ અસર પડે છે. ઑસ્ટ્રેલિયાના એક છાપાના લેખક, ફિલીપ આદમ્સે કહ્યું, ‘ટીવી પર આવતી ફક્ત એક મિનિટની જાહેરાતથી જો બજારની વસ્તુ ચપોચપ ઊપડી જતી હોય તો જરા વિચારો, મોટા બજેટવાળી બે કલાકની ફિલ્મની લોકો પર કેટલી અસર પડતી હશે!’ પોર્ટ આર્થર નામના ખૂનીના ઘરમાંથી, પોલીસને ૨,૦૦૦ હિંસક અને ગંદી ફિલ્મો મળી આવી.

જોકે, બાઇબલના સિદ્ધાંતોને વળગી રહે છે, તેઓ પોતાના મન અને હૃદયનું રક્ષણ કરે છે. તેઓ પોતાના મનમાં ક્રોધના બી વાવે એવી ફિલ્મો જોતા નથી. આપણે આ ‘જગતના આત્માથી’ દૂર રહેવું જોઈએ. એના બદલે આપણે પરમેશ્વરના ‘પવિત્ર આત્માની’ મદદથી યહોવાહના ગુણો કેળવવા જોઈએ. એ ગુણોમાં શાંતિનો પણ સમાવેશ થાય છે. (૧ કોરીંથી ૨:૧૨, ૧૩; ગલાતી ૫:૨૨, ૨૩) નિયમિત પ્રાર્થના કરવાથી, બાઇબલ વાંચવાથી ને એના પર મનન કરવાથી આપણે યહોવાહના ગુણો કેળવી શકીશું. તેમ જ આપણે ક્રોધી લોકોની સંગત નહિ રાખીએ. પણ યહોવાહની નવી પૃથ્વી પર શાંતિમાં રહેવા ચાહતા હોય તેઓ સાથે સંગત રાખીશું. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; નીતિવચનો ૧૬:૨૯) હા, પરમેશ્વરનું જ્ઞાન ખરેખર આપણું રક્ષણ કરે છે!

યહોવાહનાં ‘વચનોથી’ હૃદયનું રક્ષણ કરીએ

શેતાને રાનમાં ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે, તેમણે પરમેશ્વરનાં વચન, બાઇબલમાંથી શેતાનને જોરદાર જવાબ આપ્યો. (લુક ૪:૧-૧૩) તોપણ, ઈસુએ એ સાબિત કરવા શેતાન સાથે દલીલબાજી કરી નહિ કે પોતે વધારે બુદ્ધિશાળી છે. તેમણે તો બાઇબલનો ઉપયોગ કરીને પોતાનું રક્ષણ કર્યું અને દિલથી જવાબ આપ્યો. આમ શેતાનની ચાલાકી ઈસુ આગળ ચાલી નહિ, જેમ તે એદન બાગમાં ચાલાકી વાપરીને સફળ થયો હતો. આપણા દિલમાં પણ યહોવાહનાં વચનો હશે તો, આપણે શેતાનની કુયુક્તિઓ પર જીતી મેળવીશું. યહોવાહનાં વચન આપણા દિલમાં હોય એ કરતા બીજું કંઈ મહત્ત્વનું નથી. કારણ કે “તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.”—નીતિવચનો ૪:૨૩.

ખરું કે રાનમાં ઈસુનું પરીક્ષણ કરવામાં શેતાન સફળ થયો નહિ. તોપણ તેણે ઈસુની વારંવાર પરીક્ષા કરી. તેથી, આપણે પણ સતત આપણા હૃદયનું રક્ષણ કરવું જોઈએ. (લુક ૪:૧૩) શેતાન આપણને પણ છોડશે નહિ. આપણો વિશ્વાસ તોડવા તે બનતું બધું જ કરશે. (પ્રકટીકરણ ૧૨:૧૭) તેથી, આપણે ઈસુની જેમ યહોવાહનાં વચનને વળગી રહેવું જોઈએ. તેમ જ, હંમેશા પ્રાર્થના કરવી જોઈએ કે યહોવાહ આપણને તેમની શક્તિ અને ડહાપણ આપે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; હેબ્રી ૫:૭) આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીશું તો, તે ખાતરી આપે છે કે આપણને કદી નહિ છોડશે.—ગીતશાસ્ત્ર ૯૧:૧-૧૦; નીતિવચનો ૧:૩૩.

ઈશ્વરનું જ્ઞાન તેમના સેવકોનું રક્ષણ કરે છે

મહાન વિપત્તિમાંથી એક “મોટી સભા” ચોક્કસ બચી જશે. એમ થતા શેતાન રોકી શકશે નહિ. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) તોપણ, અમુક લોકોને ભ્રષ્ટ કરવા શેતાન રાત-દિવસ કોશિશ કરે છે, જેથી તેઓને યહોવાહનો આશીર્વાદ ન મળે. પ્રાચીન ઈસ્રાએલીઓ સાથે પણ શેતાને એમ જ કર્યું હતું. એ વખતે યહોવાહનાં ભક્તો વચનના દેશમાં પ્રવેશ કરવાના જ હતા, ને શેતાનની ચાલાકીને લીધે લગભગ ૨૪,૦૦૦ લોકોએ પોતાનાં જીવન ગુમાવ્યાં. (ગણના ૨૫:૧-૯) જો આપણે ભૂલ કરી હોય અને ખરેખર પસ્તાવો કરીશું, તો આપણને મદદ મળશે. પણ એ સમયના ઝિમ્રીની જેમ આપણે પસ્તાવો નહિ કરીએ તો પોતાની સાથે બીજાઓનું જીવન પણ જોખમમાં નાખી શકીએ. (ગણના ૨૫:૧૪) આથેન્સના લશ્કરની જેમ, એકબીજા સાથે મળીને કામ કરવાથી જ રક્ષણ મળે છે. પરંતુ, જો એમાંના કોઈએ પોતાની ઢાલ ફેંકી દીધી હોત, તો તેણે પોતાની સાથે સાથે બીજાઓનું જીવન પણ જોખમમાં મૂક્યું હોત.

તેથી, બાઇબલ કહે છે: “જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ; અને એવાની સાથે બેસીને ખાવું પણ નહિ. . . . તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.” (૧ કોરીંથી ૫:૧૧, ૧૩) શું એ ખરું નથી કે આવી ‘સલાહ’ મંડળના સંસ્કારો અને ભક્તિ શુદ્ધ રાખી શકે?

યહોવાહના સેવકો અને કહેવાતા ખ્રિસ્તીઓમાં કેટલો તફાવત છે. કહેવાતા ખ્રિસ્તીઓ અને ધર્મભ્રષ્ટ લોકો આજની દુનિયાના સંસ્કારો અપનાવે છે. બાઇબલ સિદ્ધાંતો તેઓની માન્યતા વિરુદ્ધ હોય છે, ત્યારે તેઓ એનો ત્યાગ કરે છે. એના લીધે તેઓ ઘોર પાપમાં પડે છે. પાદરીઓ પણ ગંદા કામોનો ભોગ બને છે. (૨ તીમોથી ૪:૩, ૪) નીતિવચનો ૩૦:૫ કહે છે, કે પરમેશ્વરનાં દરેક “વચન” ઢાલ જેવાં છે. પછી છઠ્ઠી કલમ કહે છે કે “તેનાં વચનોમાં તું ઉમેરો ન કર, રખેને તે તને ઠપકો દે, અને તું જૂઠો ઠરે.” હા, જેઓ બાઇબલમાં ફેરફાર કરે છે, તેઓ સાચી ભક્તિ કરતા નથી. આ તો બહુ મોટું પાપ કહેવાય! (માત્થી ૧૫:૬-૯) પરમેશ્વરનાં વચનને માન આપે છે એવી સંસ્થાનો આપણે ભાગ છીએ એ જાણીને આપણું દિલ ખુશીથી છલકાય છે.

“મધુર સુવાસરૂપ” રક્ષણ કરે છે

યહોવાહના સેવકો તરીકે આપણે પરમેશ્વરનાં વચનને વળગી રહીએ છીએ. આપણે બીજાઓને પણ પરમેશ્વરનાં વચનમાંથી દિલાસો આપીએ છીએ. એમ કરીને આપણે જીવનની “મધુર સુવાસ” બધે ફેલાવીએ છીએ અને યહોવાહને ખુશ કરીએ છીએ. જોકે, આ સુગંધ તો દુષ્ટ લોકો માટે ‘મરણની દુર્ગંધ’ જેવી છે. શેતાનના જગતની હવાએ તેઓની સૂંઘવાની શક્તિને નષ્ટ કરી દીધી છે. એટલે જ ‘ખ્રિસ્તની મધુર સુગંધ’ ફેલાવે છે તેઓની હાજરીમાં દુષ્ટોને બેચેની થાય છે. અરે, તેઓ યહોવાહના સેવકોની નફરત પણ કરે છે. બીજી બાજુ, જેઓ પૂરા જોશથી પરમેશ્વરની ખુશખબરી ફેલાવે છે, તેઓ ‘તારણ પામનારાઓ માટે ખ્રિસ્તના સુગંધરૂપ છે.’ (૨ કોરીંથી ૨:૧૪-૧૬) આવા નમ્ર દિલના લોકોને ધર્મને નામે થતા ધતિંગ અને એના જૂઠા શિક્ષણથી ખૂબ નફરત થાય છે. એટલે જ આપણે તેઓને યહોવાહનાં વચન, બાઇબલમાંથી રાજ્યનો સંદેશ જણાવીએ છીએ ત્યારે તેઓ ઈસુ તરફ ખેંચાઈ આવે છે અને વધુ જાણવા ઉત્સુક બને છે.—યોહાન ૬:૪૪.

તેથી, યહોવાહના રાજ્ય વિષે અમુક લોકો તમારું ન સાંભળે તો નિરાશ ન થાઓ. એને એ રીતે જુઓ કે જાણે ‘ખ્રિસ્તની મધુર સુવાસ’ તમારું રક્ષણ કરે છે. એની સુવાસ લઈને દુષ્ટ લોકો આપણી સેવાની સુખ-શાંતિથી દૂર જતા રહેશે. પણ નમ્ર હશે તેઓ રાજીખુશીથી એ સુવાસ તરફ ખેંચાઈ આવશે.—યશાયાહ ૩૫:૮, ૯.

લેખની શરૂઆતમાં જોઈ ગયા તેમ, ગ્રીસનું નાનકડું સૈન્ય એક મોટા સૈન્ય સામે જીતી ગયું હતું. તેઓએ પોતપોતાની ઢાલ એકબીજા સાથે જોડીને દીવાલ જેવી મોટી ઢાલ બનાવી, આમ જોરદાર લડાઈ કરીને જીત મેળવી. એવી જ રીતે, યહોવાહના સેવકોને પણ પૂરી ખાતરી છે કે, જીત તેઓની જ છે. કેમ કે એ જીત તેઓનો “વારસો છે.” (યશાયાહ ૫૪:૧૭) તેથી ચાલો આપણે ‘જીવન આપનાર વચનને’ પકડી રાખીએ અને ઈશ્વરની છાયા હેઠળ રહીએ.—ફિલિપી ૨:૧૬, IBSI.

[પાન ૩૧ પર ચિત્રો]

‘સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ અને શાંતિપ્રિય છે’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો