“તમે મફત પામ્યા, મફત આપો”
ઈસુએ તેમના શિષ્યોને પ્રચારમાં મોકલતી વખતે કહ્યું: “તમે મફત પામ્યા, મફત આપો.” (માત્થી ૧૦:૮) આ શિષ્યો ઈસુના મરણ પછી મફતમાં સત્ય ફેલાવતા રહ્યા.
દાખલા તરીકે, સીમોને જોયું કે પીતર અને યોહાન પાસે લોકોને સાજા કરવાની શક્તિ હતી. એનાથી સીમોને પોતાના સ્વાર્થ માટે પ્રેષિતો તરફથી એ શક્તિ ખરીદવા માગી. પરંતુ, પીતરે તેને ધમકાવતા કહ્યું: “દેવનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.”—પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૮-૨૦.
પ્રેષિત પાઊલે પણ સત્યને મફત ફેલાવ્યું. વળી, મંડળના ભાઈબહેનો પર બોજરૂપ બનવાને બદલે, તેમણે જાતે કામ કરીને પોતાનો ખર્ચો કાઢ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩) એટલે તે ખુશીથી કહી શક્યા કે “હું સુવાર્તા પ્રગટ કરૂં ત્યારે તે મફત પ્રગટ કરૂં” છું.—૧ કોરીંથી ૪:૧૨; ૯:૧૮.
પરંતુ, આજે શું જોવા મળે છે? ઘણા ચર્ચના પાદરીઓ નામ પૂરતા ખ્રિસ્તીઓ છે. આ પાદરીઓ “પગાર લઈને બોધ” આપે છે. (મીખાહ ૩:૧૧) અરે, એમ કરીને અમુક તો કરોડપતિ બન્યા છે! અમેરિકાના એક પાદરીનો વિચાર કરો. “વર્ષોથી તે લોકોના લાખો ડૉલર પચાવી પાડીને રાજાની જેમ જીવતો હતો. તેણે અનેક ઘરો અને ગાડીઓ ખરીદ્યા હતા. ઘડી ઘડી તે દૂર દેશોમાં ફરવા જતો. અરે, તેણે તેના કૂતરા માટે ઘર બનાવ્યું અને પછી એમાં એ.સી. પણ ફીટ કરાવ્યું હતું!” પરંતુ, ૧૯૮૯માં તે પકડાઈ ગયો અને તેને ૪૫ વર્ષની જેલની સજા થઈ.—ઑક્ટોબર ૭, ૧૯૮૯નો પીપલ્સ ડેઈલી ગ્રાફીક છાપાનો રિપોર્ટ.
આફ્રિકાના ગાનેયાન ટાઈમ્સ છાપામાં (માર્ચ ૩૧, ૧૯૯૦) એક રોમન કૅથલિક પાદરીનો રિપોર્ટ હતો. એમાં જણાવ્યું હતું કે એક વાર બોધ આપ્યા પછી તે તપી ઊઠ્યો અને દાન પેટી ચર્ચના લોકો સામે ફેંકી. કેમ? કારણ કે તેઓએ એમાં બસ છૂટા પૈસા જ નાખ્યા હતા. આ પાદરીએ કહ્યું કે “તમે બાળકો જેવા નથી કે બે બે પૈસા આપવાથી અમે ખુશ થઈએ. તમે મોટા છો, તમારે નોટોની થપ્પી આપવી જોઈએ!” એવા વલણથી ઘણા પાદરીઓ રંગાયેલા છે. એટલે તેઓ ચર્ચને જુગારનો અડ્ડો બનાવે છે. તેમ જ લોકોના લોભને જગાડવા તેઓ અનેક રમતો ચલાવે છે.
આ બાબતમાં યહોવાહના સાક્ષીઓ એકદમ જુદાં છે. આશરે ૬૦ લાખથી વધારે સાક્ષીઓ ઈસુના પગલે ચાલીને સર્વને યહોવાહના ‘રાજ્યની સુવાર્તા’ મફત જણાવે છે. (માત્થી ૨૪:૧૪) તેઓમાંથી કોઈ એટલે કોઈને પગાર મળતો નથી. તેઓ જગતના ચારે ખૂણે જઈને સત્ય જે “જીવનનું પાણી” છે, એ લોકોને મફત પીવડાવે છે. (પ્રકટીકરણ ૨૨:૧૭) આમ, ‘જેઓ પાસે પૈસા ન હોય’ તેઓ પણ બાઇબલ સંદેશનો લાભ મેળવી શકે છે. (યશાયાહ ૫૫:૧) તો પછી, સાક્ષીઓનું છાપ-કામ અને બીજી પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલે છે? એ લોકોના દાનથી ચાલે છે. સાક્ષીઓ કદી પૈસા માંગતા નથી. એના બદલે લોકો ચાહે તો ફંડ-ફાળો આપી શકે છે. સાક્ષીઓ એવા લોકો જેવા નથી જેઓ “શુભસંદેશના પ્રચારમાંથી લાભ મેળવવાની ઇચ્છા રાખે છે.” ના, તેઓ ખરા દિલથી ઈશ્વરનું કામ કરે છે, અને ઈશ્વરની ‘નજર તેવા લોકો’ પર છે.—૨ કરિંથી ૨:૧૭, IBSI.
શા માટે યહોવાહના સાક્ષીઓ પોતાના ખર્ચે બીજાઓને મદદ કરવા તૈયાર છે? મહેનત માટે શું તેઓને કોઈ બદલો મળે છે?
અયૂબે શેતાનને ચૂપ કર્યો
શું યહોવાહના ભક્તો પોતાના લાભ માટે જ યહોવાહની ભક્તિ કરે છે? જરાય નહિ. પણ શેતાન એવું ઠસાવવા માંગે છે કે મનુષ્યો પોતાના લાભ માટે જ યહોવાહની ભક્તિ કરે છે. એટલે જ હજારો વર્ષ પહેલાં તેણે યહોવાહની સામે થઈને કહ્યું: ‘શું અયૂબ કારણ વગર તમારી ભક્તિ કરે છે?’ શેતાને આરોપ મૂક્યો કે યહોવાહ અયૂબને ઘણા આશીર્વાદ આપી રહ્યા હતા, એટલે જ અયૂબ તેમને ભજતા હતા. શેતાને એમ પણ કહ્યું કે જ્યારે અયૂબ પાસેથી બધું લઈ લેવામાં આવશે, ત્યારે તે ચોક્કસ યહોવાહનો ‘મોઢે ચઢીને ઇનકાર કરશે!’—અયૂબ ૧:૭-૧૧.
આ આરોપનો જવાબ મેળવવા, યહોવાહે શેતાનને કહ્યું: “એની સંપત્તિનું તારે જે કરવું હોય તે કરવાની હું તને પરવાનગી આપું છું.” (યોબ ૧:૧૨, IBSI) એક દિવસમાં શેતાને અયૂબને રાજામાંથી રંક બનાવી દીધો. શું અયૂબે યહોવાહનો ઇનકાર કર્યો? જરાય નહિ, યહોવાહ માટેનો તેમનો પ્રેમ ઠંડો થયો નહિ. અયૂબે દિલથી પોકાર કર્યો: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઇનકાર કરીશ નહિ.”—અયૂબ ૨૭:૫, ૬.
હા, અયૂબે શેતાનને ચૂપ કરી દીધો. તેમ જ આજે યહોવાહના ભક્તો કોઈ ફાયદા માટે નહિ, પણ પ્રેમને કારણે યહોવાહને ભજે છે. આમ તેઓ પણ શેતાનને ચૂપ કરી દે છે.
યહોવાહે કંઈ માગ્યા વગર કૃપા વરસાવી
રૂમીઓને પત્ર ૫:૧૨ કહે છે કે આદમથી “જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ” આવ્યું. તેથી, આપણને પાપ અને મરણની જાળમાંથી બચાવવા યહોવાહે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપ્યું. આમ, આપણે યહોવાહની કૃપા “મફત પામ્યા” છીએ. એટલે યહોવાહના સાક્ષીઓ ખુશખબરીને “મફત” ફેલાવે છે.—રૂમીઓને પત્ર ૪:૪; ૫:૮; ૬:૨૩.
પાઊલે રૂમી ૩:૨૩, ૨૪માં કહ્યું: “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે; પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.” હા, યહોવાહે આપણને પણ “વિનામૂલ્યે” પૃથ્વી પર અનંતજીવનના સુખી જીવનનું વરદાન આપ્યું છે. તેમની ભક્તિ કરવાથી આપણે ‘ન્યાયી ગણાઈએ’ છીએ અને તેમના મિત્રો બનીએ છીએ.—યાકૂબ ૨:૨૩; પ્રકટીકરણ ૭:૧૪.
પાઊલે લખ્યું: “દેવના કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થએલો છું.” (એફેસી ૩:૪-૭) વિચાર કરો કે યહોવાહે ઈસુની કુરબાની મફત આપી. તે સત્ય મફત આપે છે. તે કૃપા બતાવીને પાઊલને અને આપણને પણ કામ સોંપે છે. તો પછી, લોકોને બાઇબલ વિષે શીખવવા માટે શું આપણે ખરેખર પૈસા માંગી શકીએ?
શું યહોવાહ આપણને લાલચ આપે છે?
શું યહોવાહ એવું ઇચ્છે છે કે આપણે કોઈ ફળની આશા રાખ્યા વગર તેમની ભક્તિ કરીએ? ના, બાઇબલ કહે છે: “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) પ્રેષિત પાઊલે પણ કહ્યું: ‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને વિસરે એવા અન્યાયી નથી.’ યહોવાહ ‘ન્યાયી દેવ’ છે. (હેબ્રી ૬:૧૦; પુનર્નિયમ ૩૨:૪) હા, યહોવાહ તેમના ભક્તોને નજીકમાં અનંતજીવનનું ફળ આપશે. (લુક ૨૩:૪૩) પરંતુ, શું એમ લાગતું નથી કે યહોવાહ તેમની ભક્તિ કરવા માટે આપણને લાલચ આપે છે?
જરાય નહિ. પ્રથમ યુગલ, આદમ અને હવાથી યહોવાહ ચાહતા હતા કે સર્વ લોકો સુંદર પૃથ્વી પર સદા સુખચેનમાં જીવે. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫-૧૭) વળી, જ્યારે આ યુગલે એ ભેટને ફેંકી દીધી, ત્યારે યહોવાહે ફરીથી ઈસુ દ્વારા માણસજાતને આશા આપી. બાઇબલ કહે છે કે “સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનાં સંતાનોની સાથે પાપમાંથી મળતી મુક્તિનો અદ્ભૂત આનંદ માણશે.” (રોમન ૮:૨૧, IBSI) તેથી, આપણે યહોવાહ તરફથી બદલો મેળવવાની આશા રાખીએ એમાં કંઈ ખોટું નથી. મુસાએ પણ ઈશ્વર તરફથી ‘જે ફળ મળવાનું હતું તે તરફ જ લક્ષ રાખ્યું.’ (હેબ્રી ૧૧:૨૬) ખરેખર, યહોવાહ તેમના ભક્તોને કોઈ જાતની લાલચ આપતા નથી. તે આપણને ખૂબ ચાહતા હોવાથી આશીર્વાદ આપે છે. (૨ થેસ્સાલોનીકી ૨:૧૬, ૧૭) તેથી, આપણે પણ યહોવાહને ચાહીએ છીએ, ‘કેમકે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહાન ૪:૧૯.
તમે શા માટે યહોવાહને ભજો છો?
યહોવાહના ભક્તોએ વિચાર કરવો જોઈએ કે તેઓ શા માટે યહોવાહને ભજે છે. કદાચ તેઓ કોઈ ફાયદો મેળવવા માટે જ તેમની ભક્તિ કરતા હોય શકે. દાખલા તરીકે, યોહાન ૬:૧૦-૧૩ બતાવે છે કે ઈસુએ ૫,૦૦૦થી વધારે લોકોને ખવડાવ્યું. ત્યાર પછી, અમુક જણ સ્વાર્થને લીધે જ ઈસુ પાછળ ચાલવા લાગ્યા. તેથી ઈસુએ તેઓને કહ્યું: “તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો.” (યોહાન ૬:૨૬) વર્ષો પછી પણ અમુક ખ્રિસ્તીઓ “શુદ્ધ મનથી નહિ,” પણ કોઈ ફાયદા માટે યહોવાહને ભજતા હતા. (ફિલિપી ૧:૧૬) અરે, કેટલાક લોકોએ તો ઈસુના ‘સત્ય વચનોનો’ નકાર કર્યો. તેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરતા હતા, પણ ખરેખર તો મંડળના ભાઈ-બહેનોનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવતા હતા.—૧ તીમોથી ૬:૩-૫.
શું આજે કોઈ ખ્રિસ્તી સ્વાર્થથી યહોવાહની ભક્તિ કરી શકે? હા, આ દાખલાનો વિચાર કરો: એક ભાઈ સપના જ જોઈ રહ્યા છે કે નજીકમાં તેમને અનંતજીવન મળશે. પણ વર્ષો નીકળી ગયા ત્યારે, તે નારાજ થઈને કહે છે કે ‘હજી અંત આવ્યો નથી.’ તેમનું સપનું દિવસે-દિવસે ધૂંધળું થતું જાય છે. તેમને ગુસ્સો આવે છે, કેમ કે તેમણે વર્ષોના વર્ષો આરામમાં નહિ, પણ રાત-દિન યહોવાહની સેવામાં ગાળ્યા છે. છેવટે તે યહોવાહથી ‘થાકી’ જાય છે. (ગલાતી ૬:૯) હા, આ ભાઈ સ્વાર્થના લીધે યહોવાહને ભજતા હતા. તેથી ઈસુ આપણને અરજ કરે છે કે યહોવાહને “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭) જો આપણા દિલમાં યહોવાહ માટે પ્રેમ ઊભરાતો હશે, તો આપણે હંમેશાં રાજી-ખુશીથી તેમની ભક્તિ કરીશું. (મીખાહ ૪:૫) તેમ જ તેમની સેવા માટે આપણે કોઈ પણ ખર્ચ કરવા તૈયાર હોઈશું. (હેબ્રી ૧૩:૧૫, ૧૬) હા, પ્રેમના લીધે આપણે યહોવાહની ભક્તિ જીવનમાં પહેલી મૂકીશું.—માત્થી ૬:૩૩.
આજે લગભગ ૬૦ લાખથી વધારે લોકો પોતાનું જીવન “ખુશીથી અર્પણ” કરીને યહોવાહને ભજે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) શું તમે તેઓમાંના એક છો? જો તમે ન હોવ, તો વિચાર કરો: ૧. યહોવાહ તમને મફત સનાતન સત્ય આપે છે. (યોહાન ૧૭:૩) ૨. તે તમને માણસો તરફથી આવેલા જૂઠા ધર્મોથી મુક્ત કરે છે. (યોહાન ૮:૩૨) ૩. તે તમને હંમેશ માટેના સુખી જીવનનું વરદાન મફત આપે છે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) તો કેમ નહીં કે તમે યહોવાહના સાક્ષીઓ પાસેથી મફતમાં સત્ય વિષે શીખો. પછી તમે પણ યહોવાહ તરફથી આ બધા આશીર્વાદો મેળવશો!
[પાન ૨૨ પર બ્લર્બ]
સાક્ષીઓ કોઈ પણ ફાયદો મેળવવા માટે નહિ, પણ પ્રેમના લીધે યહોવાહને ભજે છે
[પાન ૨૧ પર ચિત્ર]
યહોવાહે આપણા માટે મફતમાં ઉદ્ધારનો માર્ગ ખોલ્યો, તેથી સાક્ષીઓ મફતમાં એ ખુશખબરી ફેલાવે છે