‘કેમ મારું બાળક બદલાઈ ગયું?’
પંદર વર્ષની છોકરીએ પોતાના વાળને રંગ કરાવ્યો. એ જોઈને તેના મમ્મી-પપ્પાએ પૂછ્યું, અરે આ તે શું કર્યું!
કોને પૂછીને રંગ કર્યો?
કોઈને નહિ. મને મન થયું એટલે કર્યા!
કેમ અમને પૂછ્યું નહિ?
પૂછત તો તમે થોડા હા પાડત!
ઉપરની વાતચીત એક મમ્મી-પપ્પા તેમની ટીનેજર દીકરી સાથે કરી રહ્યા છે. તેઓએ કબૂલ્યું કે ટીનેજરને મોટા કરવા એ કંઈ રમત વાત નથી. દુનિયાના મોટા ભાગના મમ્મી-પપ્પા આવું જ અનુભવે છે. એનું એક કારણ એ છે કે યુવાની શરૂ થતાં તેઓના શરીર અને સ્વભાવમાં અનેક ફેરફારો થાય છે. કૅનેડાની બીનાએ પોતાની દીકરી વિષે કહ્યું કે ‘મારી ઢીંગલી જેવી દીકરી જાણે અચાનક બદલાઈ ગઈ.a તેનો સ્વભાવ અને દેખાવ બદલાવા લાગ્યા.’
બીના જેવો અનુભવ બીજાઓને પણ થયો છે. ચાલો જોઈએ કે અમુક માબાપ પોતાનાં ટીનેજર વિષે શું કહે છે.
“મારો દીકરો ટીનેજર થયો ત્યારે મારું તરત માનતો નહીં. અરે મારી સામે થવા લાગ્યો!”—લીલી, બ્રિટન.
“અમારી બંનેવ દીકરીઓ અરીસા આગળથી ખસતી જ નથી.”—જોન, ઘાના.
“મારો દીકરો મન ફાવે એમ કરે છે. કશું જ કહ્યું કરતો નથી.”—સીલીન, બ્રાઝિલ.
“મારી દીકરીને વહાલ કરું તો તેને ના ગમે. વાત-વાતમાં ગુસ્સે થઈ જાય.”—અનિષ, કૅનેડા.
“અમારા ત્રણ છોકરાઓનો સ્વભાવ એકદમ અક્કડ થઈ ગયો છે. કંઈ પણ કહીએ તો સામે દલીલો કરે છે.”—સમીર, ઑસ્ટ્રેલિયા.
‘દીકરીને મારી સાથે વાત કરવી જ નથી ગમતી. વાત કરવા જઉં તો ચિડાઈ જાય.’—જોસ્ફીન, મેક્સિકો.
‘અમારા છોકરાઓ પોતાના રૂમમાં જ ભરાઈ રહે, અથવા ફ્રેન્ડસ સાથે ટાઇમ પાસ કરે. અમને તો ગણકારતા જ નથી.’—ડેવિડ, ફિલિપાઈન્સ.
શું તમારે પણ યુવાન સંતાનો છે? તમને પણ આવો અનુભવ થયો હોઈ શકે. પણ નિરાશ ન થાવ. યુવાનોને કેવું માર્ગદર્શન આપી શકીએ એ વિષે બાઇબલમાં સરસ સલાહ આપી છે.
સમજશક્તિ ને જ્ઞાન
બાઇબલ જણાવે છે કે “સુખી કોણ હોઈ શકે જેને જ્ઞાન મળ્યું છે અને જેણે સમજશક્તિ મેળવી છે.” (નીતિવચનો ૩:૧૩, ઇઝી ટુ રીડ વર્શન) માબાપે આ કલમને દિલમાં ઉતારવી જોઈએ. યુવાન કંઈક ખોટું કરે ત્યારે ગુસ્સો આવે તોપણ તેની સાથે સમજીને વર્તવું જોઈએ. આવા સમયે માબાપે પોતાને પૂછવું જોઈએ કે શા માટે મારું સંતાન આ રીતે વર્તે છે? આ પ્રશ્ન પર વિચાર કરીને માબાપે સમજી-વિચારીને સંતાનને માર્ગદર્શન આપવું જોઈએ.
અમુક વખતે તમને લાગશે કે સંતાનને તમારી કંઈ પડી નથી. આવા કિસ્સામાં તમને ચિંતા થશે કે તેને કેવી રીતે માર્ગદર્શન આપી શકાય. પણ યાદ રાખજો કે તેના જીવનમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે. તેઓ ખરું શું ને ખોટું શું એ પારખી શકતા નથી. તમે શાંતિથી અને સમજી-વિચારીને સમજણ આપશો તો તેઓ સ્વીકારશે. એ માટે જરૂરી છે કે માબાપે સંતાનના વર્તનને સમજવું જોઈએ. એ વિષે આગળનો લેખ વાંચો. (g 6/08)
[Footnote]
a આ લેખ અને પછીના બે લેખોમાં નામ બદલ્યા છે.