બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવામાં શું ખોટું છે?
“આપણે વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવાને શા માટે લુચ્ચાઈ, કપટીપણું, કે ખોટું ગણીએ છીએ? ખરેખરે એમ નથી! એ તો રમત છે! એમાં બંને વ્યક્તિને મઝા આવે છે.” — સુઝાન રાબીન, ન્યૂયોર્ક સિટીની વિરુદ્ધજાતિને આકર્ષવાની કળા શીખવતી શાળાની નિર્દેશિકા.
ઘણા લોકોને વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવા સામાન્ય, ભોળપણ, અને માનવ સંબંધો બાંધવા અને જાળવવા જરૂરી પણ લાગે છે. પશ્ચિમી દેશોમાં, તાજેતરમાં પુસ્તકો, સામયિકાના લેખો, અને ખાસ વર્ગો ઠેરઠેર ફૂટી નીકળ્યા છે. એમાં હાવભાવ, ઢબછબ, નજર મિલાવવી, અને એકનજરે જોઈ રહેવું જેવી બાબતો શીખવવામાં આવે છે, જે “ચેનચાળાની કળા” માટે મહત્ત્વના છે.
ચેનચાળા કરવા એટલ શું? એની જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવે છે. એક શબ્દકોશ અનુસાર એ “ઉપરછલ્લા પ્રેમ કે જાતીય લાગણી ઉશ્કેરતુ” વર્તન છે. બીજા શબ્દકોશ અનુસાર એ “કોઈ જવાબદારી વિના પ્રેમ હોવાનો ડોળ કરવો” છે. આમ, સામાન્યપણે એવું મંતવ્ય છે કે ચેનચાળા કરનાર પરણવાના કોઈ પણ હેતુ વિના પ્રણયચેષ્ટાઓ કરે છે. શું ચેનચાળા કરવા બિનહાનિકારક છે? એ વિષે બાઇબલનું દૃષ્ટિબિંદુ શું છે?a
જોકે, શાસ્ત્રવચનો ખાસ કરીને ચેનચાળા વિષે કંઈ જણાવતા નથી, છતાં આપણે દેવની દૃષ્ટિ નક્કી કરી શકીએ. કઈ રીતે? આ બાબત સાથે સંબંધિત બાઇબલ સિદ્ધાંતો તપાસીને. આમ આપણે આપણી ‘ઇંદ્રિયો તેજ કરીશું, જે ખરૂંખાટું પારખવામાં કેળવાએલી છે.’ (હેબ્રી ૫:૧૪) પ્રથમ, આપણે વિચારીએ કે પરિણીત લોકો માટે ચેનચાળા કરવા યોગ્ય છે કે નહિ.
પરિણીતો વિષે શું?
અંગત જીવનમાં પરિણીત યુગલો એકબીજાને પ્રેમ બતાવે એ સામાન્ય છે. (સરખાવો ઉત્પત્તિ ૨૬:૮.) પરંતુ લગ્ન બહાર આવું વર્તન કરવું દેવના સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે. યહોવાહ દેવે એવી રચના કરી છે કે પરિણીત યુગલ ગાઢ અને વિશ્વાસપાત્ર સંબંધનો આનંદ માણે. (ઉત્પત્તિ ૨:૨૪; એફેસી ૫:૨૧-૩૩) તે લગ્નને પવિત્ર, કાયમી બંધન તરીકે જુએ છે. માલાખી ૨:૧૬ દેવ વિષે જણાવે છે: ‘યહોવાહ પત્નીત્યાગ ધિક્કારે છે.’b
લગ્ન વિષેની દેવની દૃષ્ટિ સાથે શું પરિણીત વ્યક્તિના લગ્ન બહારના ચેનચાળા સુમેળ ધરાવે છે? એ ગંભીર બાબત છે, કારણ કે પરિણીતના ચેનચાળા દેવની વૈવાહિક ગોઠવણની પવિત્રતા માટે બિનઆદર બતાવે છે. તેમ જ, એફેસી ૫:૩૩ ખ્રિસ્તી પતિઓને “જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ” રાખવા, અને પત્નીને “પોતાના પતિનું માન” રાખવાની આજ્ઞા આપે છે. શું આવા ઇર્ષા ઉશ્કેરતા ચેનચાળા, પોતાના સાથીને પ્રેમ અને આદર બતાવે છે?
એથીય વધુ ગંભીર તો, આવા ચેનચાળા વ્યભિચારમાં દોરી લઈ જઈ શકે. જે એક એવું પાપ છે જેની યહોવાહ ઘૃણા કરે છે, અને એને દગાખોરી તરીકે વર્ણવે છે. (નિર્ગમન ૨૦:૧૪; લેવીય ૨૦:૧૦; માલાખી ૨:૧૪, ૧૫; માર્ક ૧૦:૧૭-૧૯) ખરેખર, યહોવાહ વ્યભિચારને એટલો ગંભીર ગણે છે કે બિનવફાદારીનો ભોગ બનેલાને છૂટાછેડાની છૂટ આપે છે. (માત્થી ૫:૩૨) તો પછી, આપણે એવી કલ્પના કઈ રીતે કરી શકીએ કે યહોવાહ આવા ખતરનાક, ફક્ત મઝા ઊઠાવવાના ચેનચાળાને પરવાનગી આપશે? એક પ્રેમાળ માબાપ જેમ પોતાના બાળકને ધારદાર ચપ્પુથી રમવા નહિ દે, તેમ જ યહોવાહ દેવ પણ એની જરૂર એની સંમતિ નહિ આપ.
વ્યભિચાર વિષે બાઇબલ ચેતવે છે: “કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે, તો શું તેનાં લૂગડાં બળ્યા વગર રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે? જે કોઈ પોતાના પડોશીની વહુ પાસે જાય છે તેને એમજ થાય છે; જે કોઇ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે.” (નીતિવચન ૬:૨૭-૨૯) જોકે, વ્યભિચાર કરવામાં ન આવ્યો હોય છતાં, ચેનચાળા કરનાર પરિણીત વ્યક્તિ એક વધુ જોખમને આમંત્રણ આપે છે—એ એવી બાબતમાં ફસાય છે જેને કહેવાય છે, “હૃદયમાં કરેલો વ્યભિચાર.”
હૃદયમાં કરેલો વ્યભિચાર
કેટલાક લોકોએ લગ્ન બહાર એવા સંબંધા વિકસાવ્યા છે, જેમાં આકર્ષતો રોમાંચ વધે છે, ભલે કોઈ જાતીય સંબંધો ન હોય. તેમ છતાં, ઈસુએ ચેતવણી આપી: “પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) ઈસુએ હૃદયની બહાર ન જતી ખોટી નજરનો શા માટે વાંધો ઉઠાવ્યો?
એક હકીકત એ છે કે “વ્યભિચારો, . . . હૃદયમાંથી નીકળે છે.” (માત્થી ૧૫:૧૯) જોકે, વ્યભિચારની શક્યતા સુધી બાબત પહોંચી ન હોય તોપણ, આવો સંબંધ હાનિકારક છે. શા માટે? આ વિષય પર એક પુસ્તક સમજાવે છે: “જીવનનો ઘણો સમય અને શક્તિ લઈ લેતી કોઈ પણ પ્રવૃત્તિ કે સંબંધ, તમારા સાથી સાથે બિનવફાદારી બરાબર છે.” હા, હૃદયમાં કરેલો વ્યભિચાર વ્યક્તિના સાથીનો સમય, ધ્યાન, અને લાગણી ઝૂંટવી લે છે. આપણી સાથે જેવું વર્તન આપણે ઇચ્છીએ એવી જ રીતે બીજાઓ સાથે વર્તવાની ઈસુની આજ્ઞા અનુસાર, ચેનચાળા કરનાર પરિણીત વ્યક્તિ પૂછી શકે, ‘મારા/મારી સાથી લગ્ન બહાર બીજા કોઈ સાથે ચેનચાળા કરે તો મને કેવું લાગશે?’—નીતિવચન ૫:૧૫-૨૩; માત્થી ૭:૧૨.
કોઈ વ્યક્તિએ એવા સંબંધો બાંધ્યા હોય, તો તેણે શું કરવું જોઈએ? આડા સંબંધોવાળી પરિણીત વ્યક્તિ એક ડ્રાઈવર જેવી છે, જેને વાહન ચલાવતી વખતે ઝોકું આવી જાય છે. તેણે પોતાના લગ્ન અને દેવ સાથેના તેના સંબંધો તૂટી જવાનો ભારે અકસ્માત સર્જાય એ પહેલાં, જાગ્રત થઈને તાબડતોબ, સત્વરે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. ઈસુએ અસરકારક પગલાંની જરૂર વિષે ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે દેવ સાથેના સારા સંબંધની આડે આવતા આંખ કે હાથ જેવા મૂલ્યવાન અવયવો પણ ફેંકી દેવા જોઈએ.—માત્થી ૫:૨૯, ૩૦.
તેથી, એમાં શાણપણ હશે કે તમે બીજી વ્યક્તિને બને એટલું ઓછું મળો. નિશ્ચે, એ વ્યક્તિ સાથે એકલા મળવાનું ટાળો, અને નોકરીની જગ્યા હોય તો, બિનજરૂરી વાતચીત ઓછી કરો. એ વ્યક્તિ સાથેનો સંપર્ક સાવ બંધ પણ કરી દેવો પડે. પછીથી, પોતાની નજર, વિચારો, લાગણીઓ, અને વર્તન પર કડક આત્મ-સંયમ રાખવો જ જોઈએ. (ઉત્પત્તિ ૩૯:૭-૧૨; ગીતશાસ્ત્ર ૧૯:૧૪; નીતિવચન ૪:૨૩; ૧ થેસ્સાલોનીકી ૪:૪-૬) પરિણીત માણસ, અયૂબે આ બાબતે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું. તેણે કહ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઇએ?”—અયૂબ ૩૧:૧.
સ્પષ્ટપણે, પરિણીત વ્યક્તિ માટે ચેનચાળા કરવા જોખમી અને બીનશાસ્ત્રીય છે. તેમ છતાં, કુંવારા વ્યક્તિઓ વચ્ચેના ચેનચાળા વિષે બાઇબલનું દૃષ્ટિબિંદુ શું છે? શું વિરુદ્ધ જાતિ સાથે સંબંધ બાંધવા સામાન્ય, ભોળપણ, અથવા જરૂરી ગણવા જોઈએ? શું એનાથી ખરેખર કાઈ હાનિ થઈ શકે?
અપરિણીતો વિષે શું?
બે કુંવારી વ્યક્તિઓ એકબીજા પ્રત્યે આકર્ષાય એમાં કંઈ ખોટું નથી. તેમ છતાં પણ, તેઓ લગ્ન વિષે ગંભીર હોવા જોઈએ, અને તેઓએ અશુદ્ધ આચરણો ટાળવા જોઈએ. (ગલાતી ૫:૧૯-૨૧) આવું આકર્ષણ સહચર્યની શરૂઆતમાં હોય શકે, જ્યારે લગ્ન હજુ તો દૂર ભાવિની વાત હોય. ઇરાદા સારા હોય તો, આ અયોગ્ય કહેવાય એવું જરૂરી નથી. અને એને ખરેખર ચેનચાળા પણ ન કહેવાય.
કુંવારી વ્યક્તિઓ એકબીજાને રોમાંચ જગાડનાર સંકેત ફક્ત મજાક માટે આપતા હોય તો શું? તેઓ અપરિણીત હોવાથી, એ બિનહાનિકારક લાગી શકે. જોકે, એનાથી થઈ શકે એવી લાગણીમય હાનિનો વિચાર કરો. આવા સંકેતાનો અર્થ ધાર્યા કરતાં ગંભીર ગણી લેવામાં આવે તો, એ કચડી નાખતા દુઃખ અને હૃદયભંગમાં પરિણમી શકે. નીતિવચન ૧૩:૧૨ના શબ્દો કેટલા સાચા છે: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝુરે છે; પણ ઈચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે”! ભલેને બંને વ્યક્તિઓ એ જાણવાનો દાવો કરતી હોય કે તેઓને ખરેખર એકબીજામાં રસ નથી. તેમ છતાં, તેઓ કહી શકે કે સામેની વ્યક્તિ શું વિચારે છે કે અનુભવે છે? બાઇબલ જવાબ આપે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?”—યિર્મેયાહ ૧૭:૯; સરખાવો ફિલિપી ૨:૪.
વ્યભિચારનું જોખમ, જેનાથી સંભવિતઃ રોગ અને ગેરકાયદેસર ગર્ભના પરિણામોનો પણ વિચાર કરો. વ્યભિચાર શાસ્ત્રીય રીતે દોષિત ગણાય છે, અને સ્વચ્છાએ એમ કરનાર દેવની કૃપાદૃષ્ટિ ગુમાવે છે. પ્રેષિત પાઊલે ડહાપણભરી રીતે ખ્રિસ્તીઓને ચેતવ્યા, કે લાલચનો નકાર કરવો તેઓએ ‘વ્યભિચાર સંબંધી તેઓના અવયવો . . . મારી નાખવા’ જોઈએ, અને “વિષયવાસના” ટાળવી જોઈએ, જે વ્યભિચારમાં દોરી જાય છે. (કોલોસી ૩:૫; ૧ થેસ્સાલોનીકી ૪:૩-૫) એફેસી ૫:૩માં, તે આપણને સલાહ આપે છે કે ખોટી ઇચ્છાઓ જગાડે એમ, વ્યભિચારનું ‘નામ પણ તમારે ન લવું.’ વિરુદ્ધ જાતિ સાથેના ચેનચાળા આ સલાહ સાથે સુમેળ ધરાવતા નથી. વળી, દેવ જાતીયતા વિષે અહિતકર વાતચીતની પણ મના કરે છે.
બાઇબલ સિદ્ધાંતો જણાવે છે કે વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવા સાથી માનવ પ્રત્યે નિર્દય, અને લગ્નના રચયિતા, યહોવાહ દેવ માટે બિનઆદરપૂર્ણ બની શકે. અયોગ્ય ચેનચાળા વિષે બાઇબલનું દૃષ્ટિબિંદુ નિશ્ચે જ પ્રેમાળ અને વાજબી છે, કેમ કે તે લોકોને હાનિ પામવાથી રક્ષે છે. તેથી, દેવને ચાહનારાઓ અયોગ્ય ચેનચાળાથી દૂર રહી, અને વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વિનય અને આદરથી વર્તશે.—૧ તીમોથી ૨:૯, ૧૦; ૫:૧, ૨.
[Footnotes]
a વિરુદ્ધ જાતિ સાથેના ચેનચાળાને પ્રણયનો કોઈ આશય વિનાની મિત્રતા કે દોસ્તી સાથે ગૂંચવવા જોઈએ નહિ.
b “દેવ કયા પ્રકારના છૂટાછેડા ધિક્કારે છે?” લેખ સજાગ બનો! (અંગ્રેજી), ફેબ્રુઆરી ૮, ૧૯૯૪ના અંકમાં જુઓ.
[Caption on page ૨૬]
© The Curtis Publishing Company