રાજગરો
એઝટેક્સ તરફથી ખોરાક
મૅક્સિકોમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
એલ્ગ્રિયા, સ્વાદિષ્ટ મીઠાઈ છે જેના સ્પેનિશ નામનું “આનંદ” કે “સુખ” ભાષાંતર કરવામાં આવ્યું છે, જે મૅક્સિકોનાં બજારોની રંગીન દુકાનોમાં સામાન્ય રીતે જોવા મળે છે. એ રાજગરાના બીમાંથી બનાવવામાં આવે છે, એ રાતા રંગના ફૂલોવાળો ઉષ્ણ કટિબંધીય છોડ છે. રાજગરાની મીઠાઈ મધથી બનાવવામાં આવે છે અને એને પ્રસંગોપાત્ત અખરોટ, ખજૂર, અને કીસમિસથી સજાવવામાં આવે છે. રાજગરાના લોટનો ઉપયોગ બ્રેડ કે કેક બનાવવામાં થઈ શકે.
એઝટેક રાજગરાના લોટમાંથી પાપડ બનાવે છે. વધુમાં, રાજગરાએ તેઓના ધાર્મિક રિવાજોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મૅક્સિકો શહેરનું ધ ન્યૂઝ કહે છે: “તેઓના ઘણા રિવાજોમાંનો એક, જેમાં એઝટેક્સ તેઓના બંદીવાન દુશ્મનોનું [ખૂન કરીને] એ લોહીમાં રાજગરાની બ્રેડનો ટુકડો બોળીને ખાય છે.” બીજા રિવાજમાં રાજગરાનો અને મકાઈનો લોટ, તથા મધ સાથે મેળવીને એમાંથી નાની મૂર્તિ કે દેવદેવીઓ બનાવવામાં આવે છે. પછીથી એ મૂર્તિઓને ખાવાનો રિવાજ હતો જે કૅથલિક કૉમુનિયોના વિધિને મળતો આવે છે.
એ બંને રિવાજોથી સ્પેનિશ વિજેતા અરનાન કૉર્ટ્સ બહુ જ ગુસ્સે થયા અને તેમણે રાજગરાની ખેતી અને એના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો. જે કોઈ તેના હુકમને ન માને, તેને મારી નાખવામાં આવે, કે એ ગુનો કરનારના હાથ કાપી નાખવામાં આવે. આમ, એ સમયે જે ધાન્ય મૅક્સિકોનું સૌથી મહત્ત્વનું હતું, એ લગભગ અદૃશ્ય થઈ ગયું.
તેમ છતાં, રાજગરો બચી ગયો, અને કોઈ રીતે મધ્ય અમેરિકાથી હિમાલય સુધી પહોંચી ગયો. છેલ્લી સદી દરમિયાન, એ ચીન, ભારત, નેપાળ, પાકિસ્તાન, અને તિબેટની પહાડી જાતિઓનો મુખ્ય ખોરાક છે.
મૅક્સિકોમાં, સંશોધકો રાજગરામાંથી પ્રોટીન જુદું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી ગાયના દૂધ જેવું પૌષ્ટિક રાજગરાનું દૂધ બનાવી શકે. તેઓનો હેતુ એનો ઉપયોગ એવા લોકો માટે ખોરાક અને પીણાંઓ તરીકે કરવાનો છે, જેઓ ઈંડા, દૂધ, માછલી, અથવા લાલ માંસ ખરીદી શકતા નથી.
રાજગરાનો દુઃખભર્યો ઇતિહાસ હોવા છતાં, આ વિવિધતાવાળા, પ્રોટીનયુક્ત ખોરાકનો આનંદ હજુ ઘણા લોકો આજે માણે છે.