ધિક્કાર કરવાનું શીખવવામાં આવેલ જગત
લોકો જન્મથી સ્વાર્થી હોય છે. અને સ્વાર્થીપણાને કાબૂમાં રાખવામાં ન આવે તો, ધિક્કારમાં પરિણમી શકે. જન્મથી જ સ્વાર્થીપણું પૂરતું ન હોય તેમ, માનવ સમાજ વાસ્તવમાં લોકોને સ્વાર્થી બનવાનું શીખવે છે!
અલબત્ત, સામાન્ય રીતે અમુક વૃંદના લોકોનાં વલણો વિષે કરવામાં આવેલાં સામાન્ય કથનો યોગ્ય હોતા નથી, તોપણ અમુક વલણો એટલા સામાન્ય હોય છે કે તેમને માત્ર મનોવિકાર ગણી નિવારી શકાતા નથી. શું ઘણી વાર રાજકારણીઓ પોતાની પ્રજાને મદદ કરવા કરતાં ચૂંટણી જીતવામાં વધારે રસ ધરાવતા નથી? શું વેપારીઓ ઘણી વાર બજારમાં નુકસાનકારક ઉત્પાદન પહોંચતા અટકાવવા કરતાં, જરૂર પડે તો અયોગ્ય રીતે પણ પૈસા બનાવવામાં વધારે રસ ધરાવતા નથી? શું પાદરી વર્ગ ઘણી વાર પોતાના ટોળાઓને નૈતિક અને પ્રેમના માર્ગ પર સાથે દોરવા કરતાં લોકપ્રિય બનવા કે પૈસા કમાવવામાં વધારે રસ ધરાવતા નથી?
તરુણોથી શરૂઆત
બાળકો છૂટછાટવાળા વાતાવરણમાં ઉછરે છે ત્યારે, વાસ્તવમાં તેઓ સ્વાર્થીપણાનું પ્રશિક્ષણ મેળવતા હોય છે, તેથી તેઓની બાળપણની ઇચ્છાઓની વેદી પર વિચારણા અને નિઃસ્વાર્થપણાનું બલિદાન ચઢાવવામાં આવે છે. શાળા અને વિશ્વવિદ્યાલયમાં, વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવવા મહેનત કરવાનું શીખવવામાં આવે છે, ફક્ત કેળવણીને લગતી બાબતમાં જ નહિ પરંતુ રમતગમતમાં પણ. તેઓનો મુદ્રાલેખ છે, “તમે બીજા હોવ તો, તમે છેલ્લાની બરાબર જ છો!”
વિડીયો રમતો હિંસા બતાવીને યુવાન લોકોને સ્વાર્થી રીતે સમસ્યાઓ હલ કરવાનું શીખવે છે—શત્રુને કાઢી નાખવામાં આવે છે! સાચે જ આ વલણ પ્રેમને ઉત્તેજન આપતું નથી! એક દાયકા અગાઉ, યુ.એસ. સર્જન જનરલે ચેતવણી આપી કે વિડીયો રમત યુવાનો માટે ભય ઊભો કરે છે. તેણે કહ્યું કે: “આ સર્વ બાબતો શત્રુને મારી નાખવાનું શીખવે છે. રમતોમાં કંઈ પણ રચનાત્મક હોતું નથી.” ધ ન્યૂયૉર્ક ટાઇમ્સને એક પત્રએ નોંધ્યું કે ઘણી વિડીયો રમતો “માણસોની પતિત કામનાઓને પૂરી કરે છે” અને ઉમેર્યું: “એઓ અક્કલવિહોણી, કજિયાખોર યુવા પેઢીને ઉત્પન્ન કરે છે.” જર્મનીના એક વિડીયો રમતના ઉત્સાહીએ આ પત્રમાં નિરૂપેલી સત્યતાને પ્રમાણિકપણે સ્વીકારતા કહ્યું: “હું વિડીયો રમત રમતો હતો ત્યારે, એવી જુદી સ્વપ્નની દુનિયામાં જતો રહ્યો કે જ્યાં પ્રાચીન ઢબનું સૂત્ર હતુ: ‘મારી નાખો અથવા મરી જાવ.’”
ધિક્કારમાં જાતિવાદને જોડવામાં આવે છે ત્યારે એ વધારે અનિષ્ટસૂચક બને છે. એ કારણે દેખીતી રીતે જર્મનીઓ પ્રતિક્રિયા કરનાર વિડીયોના અસ્તિત્વ વિષે ચિંતિત છે કે જે વિદેશીઓ, ખાસ કરીને તુર્કીઓ વિરુદ્ધની હિંસાને બતાવે છે. ચિંતા કરવાનું તેઓ પાસે સબળ કારણ છે, કેમ કે જાન્યુઆરી ૧, ૧૯૯૪માં જર્મનીના ૬૮,૭૮,૧૦૦ વિદેશી રહેવાસીઓમાંથી ૨૭.૯ ટકા તુર્કીઓ હતા.
બાળકોને નાનપણથી રાષ્ટ્રવાદની ભાવના શીખવવામાં આવે છે કે જે જાતિવાદની લાગણીને પોષે છે, એટલે કે તમારા રાષ્ટ્રના દુશ્મનોને ધિક્કારવું ખોટું નથી. ટાઈમના એક લેખક જ્યોર્જ એમ. ટેબરે એક નિબંધની નોંધમાં ફાળો આપ્યો: “ઇતિહાસના બધા રાજનૈતિકવાદમાં, કદાચ રાષ્ટ્રવાદ વધારે મજબૂત છે.” તે સમજાવવાનું ચાલુ રાખે છે: “ધર્મ સિવાયના બીજા કોઈ પણ કારણ માટે એના નામે વધારે લોહી વહેવડાવવામાં આવ્યું છે. કેટલાક પડોશી કોમનાં વૃંદો પર પોતાની બધી મુશ્કેલીઓનો દોષ આપીને, લાગણી ઉશ્કેરનાર નેતાઓએ સદીઓથી ટોળાને ઉશ્કેર્યું છે.”
બીજી કોમનાં વૃંદો, જાતિઓ, કે રાષ્ટ્રવાદ માટેના લાંબા કાળના ધિક્કારે આજના જગતમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી છે. અને ઝેનોફોબિયા એટલે અજાણ્યા કે વિદેશીઓનો ભય, વધી રહ્યો છે. તેમ છતાં, રસપ્રદ પણે, જર્મન સમાજશાસ્ત્રીઓના વૃંદે શોધી કાઢ્યું કે થોડા વિદેશીઓ રહે છે ત્યાં ઝેનોફોબિયા વધારે ધ્યાન ખેંચે એવું છે. આ એવું પુરવાર કરતું લાગે છે કે વ્યક્તિગત અનુભવો કરતાં પૂર્વધારણા વધારે કારણભૂત હોય છે. સમાજશાસ્ત્રીઓને જોવા મળ્યું કે “યુવાન લોકોમાં પૂર્વધારણાને મુખ્યત્વે તેમના મિત્રો અને કુટુંબો પોષે છે.” ખરેખર, ઇન્ટર્વ્યૂં લેવામાં આવેલા ૭૭ ટકા, પૂર્વધારણાનું સમર્થન કરે છે છતાં, વિદેશીઓ સાથે એકદમ ઓછો કે બિલકુલ સબંધ ન હતો.
સ્વાર્થીપણું શીખવાડવું એ મુશ્કેલ નથી, કેમ કે અપૂર્ણ માબાપ પાસેથી આપણ સર્વને અમુક હદે સ્વાર્થીપણું વારસામાં મળ્યું છે. પરંતુ પ્રેમ અને ધિક્કાર વચ્ચેના વિસંવાદમાં ધર્મ કઈ ભૂમિકા ભજવે છે?
ધર્મ શું શીખવે છે?
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે ધર્મ પ્રેમને પોષે છે. પરંતુ એમ હોય તો, માત્ર ત્રણ ઉલ્લેખવામાં આવેલાં ઉદાહરણો ઉત્તરીય આયર્લૅન્ડ, મધ્ય પૂર્વ અને ભારતમાં ધાર્મિક મતભેદનું મુખ્ય કારણ શું છે? અલબત્ત, કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ધાર્મિક નહિ, પણ રાજકીય મતભેદો ખલેલ માટે જવાબદાર છે. એ સંશયાત્મક મુદ્દો છે. ગમે તે રીતે, એ દેખીતું છે કે સંયોજિત ધર્મ રાજકીય અને કોમી પક્ષપાતને જીતવા લોકોમાં પૂરતો મજબૂત પ્રેમ સિંચવામાં નિષ્ફળ ગયો છે. હકીકતમાં, ઘણા કૅથલિક અને ઑર્થોડૉક્સ વિશ્વાસીઓ અને અન્ય ધર્મના લોકો, હિંસા તરફ દોરી જતી પૂર્વધારણાની નિંદા કરતા નથી.
વ્યક્તિને અમુક ધર્મ વૃંદનાં આચરણો અને શિક્ષણો અયોગ્ય લાગે તો એને રદિયો આપવામાં કંઈ ખોટું નથી. પરંતુ શું આ તેને તેની કે તેના સભ્યોની વિરુદ્ધ હિંસા કરવાનો અધિકાર આપે છે? ધર્મ જ્ઞાનકોશ (અંગ્રેજી) નિખાલસતાથી સ્વીકારે છે: “પૂર્વીય અને યુરોપનો ઇતિહાસમાં વારંવાર ધાર્મિક નેતાઓએ બીજાં ધાર્મિક વૃંદો પર હિંસક હુમલો કરવાની આજ્ઞા આપી છે.”
આ જ્ઞાનકોશ બતાવે છે કે હિંસા ધર્મનો અંતર્ગત ભાગ છે, એ કહે છે: “સામાજિક અને માનસશાસ્ત્રની પ્રગતિ માટે વિસંગતતા જરૂરી છે એવું સ્વીકારનાર ફક્ત ડાર્વિનવાદીઓ જ નથી. ધર્મ વિસંગતતા, હિંસા અને એ પ્રકારના વિકાસ માટે અનંત ઉદ્ભવનું કામ કરે છે.”
વૃદ્ધિ માટે હિંસા જરૂરી છે એમ કહી એને વ્યાજબી પુરવાર કરવું યોગ્ય નથી, કેમ કે આ, પ્રેષિત પીતરે ઈસુ ખ્રિસ્તને બચાવવા પ્રયત્ન કર્યો ત્યારે તેમણે આપેલા પ્રખ્યાત સિદ્ધાંતની વિરુદ્ધ છે. પીતરે “પોતાની તરવાર કાઢી, ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો. ત્યારે ઈસુ તેને કહે છે, કે તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.”—માત્થી ૨૬:૫૧, ૫૨; યોહાન ૧૮:૧૦, ૧૧.
વ્યક્તિઓ સાથે હિંસા કરવી—પછી તેઓ સારા હોય કે ખરાબ—એ પ્રેમનો માર્ગ નથી. આમ, હિંસાનો આધાર લે છે એ લોકો પોતાને પ્રેમાળ દેવનું અનુસરણ કરવાના તેઓના દાવાને જૂઠો ઠરાવે છે. બીજા લેખક એમોસ ઑજે તાજેતરમાં જ નોંધ્યું: “આ ધાર્મિક તરંગની લાક્ષણિક વાત છે . . . દેવ પાસેથી મળેલી આજ્ઞાઓ સરખી હોય છે જે ‘આજ્ઞાઓ’ તેઓને મળે છે કે જે હંમેશા એક જેવી હોય છે: તું ખૂન ન કર. સર્વ તરંગીના દેવ શેતાન જેવા છે.”
બાઇબલ કંઈક આમ જ કહે છે: “એથી દેવનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે દેવનો નથી. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે; અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી. જો કોઇ કહે, કે હું દેવ પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમકે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે દેવ પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેના તરફથી આપણને મળી છે.”—૧ યોહાન ૩:૧૦, ૧૫; ૪:૨૦, ૨૧.
સાચા ધર્મએ પ્રેમના નમૂનાનું અનુસરણ કરવું જોઈએ, કે જેમાં દુશ્મનોને પણ પ્રેમ કરવાનો સમાવેશ થાય છે. યહોવાહ વિષે આપણે વાંચીએ છીએ: “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૪, ૪૫; વળી ૧ યોહાન ૪:૭-૧૦ પણ જુઓ.) ધિક્કારના દેવ શેતાનથી કેટલું ભિન્ન! તે લોકોને લંપટતા, ગુના, અને સ્વાર્થીપણામાં જીવવા માટે લલચાવી અને કુમાર્ગે દોરે છે, એ રીતે તેઓનાં જીવનો દુઃખ અને દરિદ્રતાથી ભરી દે છે. તેને એ સારી રીતે ખબર છે કે આ જીવન-ઢબ આગળ જતાં તેનો વિનાશ કરશે છતાં, એ આ કરવાનું ચાલુ રાખે છે. શું આ પ્રકારના દેવની સેવા કરવી યોગ્ય છે, કે જે તેના પોતાનાનો બચાવ કરવા—દેખીતી રીતે અનિચ્છાથી પણ—અશક્તિમાન છે?
ભય, ગુસ્સા કે હાનિની લાગણી
એ સહેલાયથી પુરવાર થાય છે કે આ ઘટકો ધિક્કારને ઉત્પન્ન કરે છે. ટાઈમ અહેવાલ આપે છે: “સમસ્યાઓથી ભરેલા ૧૯૩૦ના દાયકા પછી ઘણાં બધાં આંદોલનોને વધારવાની તક મળી . . . તેઓની નોકરીઓના ભયના કારણે, લોકો મધ્યમાર્ગી સરકારોની અસરહીનતાની વિરુદ્ધ ભાવશૂન્ય રીતે ગુસ્સો બતાવી રહ્યા છે, અને પોતાની મધ્યેના વિદેશીઓને હોળીનું નાળિયેર બનાવી રહ્યા છે.” જ્યોર્જ સિંડલરએ રાઇનઇશર મરકૂર/ક્રિસ્ત ઉન્ત વૅલ્તમાં એ છેલ્લા બે દાયકાઓના જર્મનીથી આવેલા શરણાર્થીઓની તરફ ધ્યાન દોર્યું છે. ધ જર્મન ટ્રિબ્યૂન ચેતવણી આપે છે: “સંપૂર્ણ યુરોપમાં જાતિવાદ વધી રહ્યો છે.” આટલા બધા દેશાંતરિયોના આવવાથી ધિક્કારની લાગણી ઉત્પન્ન થાય છે. લોકો આ ફરિયાદ કરતા સાંભળવામાં આવ્યા છે: ‘તેઓ અમારા પૈસાનો વ્યય કરે છે, તેઓ અમારી નોકરીઓ લઈ લે છે, તેઓ અમારી છોકરીઓ માટે જોખમકારક છે.’ સેંટ એન્ટનીજ કૉલેજ, ઑક્ષફર્ડના એક ફૅલો થીઅડોર જેલડને કહ્યું લોકો “હિંસક છે કારણ કે તેઓ ભય અને અપમાન અનુભવે છે. એ તેઓના ગુસ્સાનું કારણ છે કે જે ધ્યાન માંગી લે છે.”
બ્રિટીશ દૂરદર્શનના પત્રકાર જોન બેકવેલ આપણા જગતનું વર્ણન કરવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે કે જે નાગરિકોને ધિક્કાર કરવાનું શીખવે છે. તે લખે છે: “હું રૂઢિચુસ્ત ખ્રિસ્તી નથી, પરંતુ હું ઈસુના શિક્ષણમાં ગહન અને સંપૂર્ણ સત્યને જોઉં છું: પ્રેમની ખામી આફતમય દુષ્ટતા છે. . . . હું જાણું છું આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જે પ્રેમના સિદ્ધાંતમાં ખૂબ ઓછો ભરોસો રાખે છે. ખરેખર, આ સમાજ એટલો ચાલાક છે એ આવા સિદ્ધાંતોને સાદાસરળ, લાગણીવશ, તરંગી ગણીને નકારી કાઢે છે, કે જે આ ખ્યાલની હાંસી ઉડાવે છે કે કાળજી અને સ્વાર્થીપણાને લાભ અને આત્મહિતની પહેલાં મૂકે છે. જ્યારે તેઓ નવો નવો વેપાર કરે છે, પોતાના કાનૂનોનો ભંગ કરે છે અને એમની ભૂલ છે એવું સ્પષ્ટ દેખાડનાર પુરાવાને હલકા ગણે છે ત્યારે કહે છે કે ‘વાસ્તવિક બનો.’ આવું જગત નિષ્ફળ, એકલવાયા લોકોને ઉત્પન્ન કરે છે કે જે સફળતા અને આત્મ-સન્માન અને સુખી કુટુંબ જેવી સમાજની અગ્રતા મેળવી શકતા નથી.”
સ્પષ્ટપણે, આ જગતનો દેવ શેતાન, માણસજાતને ધિક્કાર કરવાનું શીખવે છે. પરંતુ વ્યક્તિગતપણે, આપણે પ્રેમ કરવાનું શીખી શકીએ. હવે પછીનો લેખ બતાવશે કે આ શક્ય છે.
[Caption on page ૭]
વિડીયો રમત તમારાં બાળકોને ધિક્કાર કરવાનું તો શીખવતી નથીને?
[Caption on page ૮]
યુદ્ધની હિંસા અવગણના અને ધિક્કારના લક્ષણ છે
[Caption on page ૮]
Pascal Beaudenon/Sipa Press