શું
જગતના
ધર્મોનો અંત નજીક છે?
સજાગ બનો!ના સ્વીડનમાંના
ખબરપત્રી તરફથી
શું એ શિર્ષક તમને વિચારતા કરે છે: ‘એ કઈ રીતે થઈ શકે? શું આજે જગતના ધર્મો પૃથ્વી ફરતે ઘણા જ શક્તિશાળી અને વગ ધરાવતા નથી?’
હા, તેઓ મુશ્કેલીઓના સાગરમાંથી પસાર થતા હોવા છતાં પણ, ઘણા જ શક્તિશાળી અને વગ ધરાવતા લાગે છે. આ ૨૦મી સદીમાં, ધર્મ વિષે શંકા ઉઠાવવામાં આવી છે અને માનવ ઇતિહાસમાં એનો અગાઉ કરતાં વધારે ઘટસ્ફોટ થયો છે. ખગોળવેત્તાઓએ પોતાના પ્રચંડ ટેલિસ્કોપથી વિશ્વનું સંશોધન કર્યું છે, અને અવકાશયાત્રીઓએ અવકાશમાં વારંવાર આંટા માર્યા છે, અને એક સોવિયેટ અવકાશયાત્રીએ વ્યક્ત કર્યું તેમ, તેઓએ “કોઈ દેવ કે દૂતો ન” જોયા. ભૌતિકશાસ્ત્રીઓએ દૈવી તેજની કોઈ ચિનગારી શોધ્યા વગર પદાર્થનું અતિસુક્ષ્મ કણોમાં વિભાજન કર્યું છે. જીવવિજ્ઞાનીઓ તથા જીવાશ્મવિજ્ઞાનીઓ (paleontologists) અમીબાથી માણસ સુધી જીવનની ઉત્ક્રાંતિની લાંબી સાંકળમાં કોઈ પણ જગ્યાએ સર્જનાત્મક હસ્તક્ષેપની નાનામાં નાની કડી મળ્યા વગર એ સાંકળનું પુન:બંધારણ કર્યું હોવાનો દાવો કરે છે.
જોકે, દુન્યવી ડહાપણ અને ભૌતિકવાદી ફિલસૂફી ધાર્મિક ભાવાવેશને આ ગ્રહ પરથી દૂર કરવામાં નિષ્ફળ ગયાં છે, અને નાસ્તિક રાજકીય સત્તાઓ તથા ફિલસૂફીઓ પણ સફળ થઈ નથી. આપખુદ, નાસ્તિક સામ્યવાદે ૭૦થી વધુ વર્ષો સુધી ધર્મોને અંધશ્રદ્ધા તથા “લોકોનું અફીણ” હોવા તરીકે બદનામ કર્યા, ધાર્મિક આગેવાનોને તેઓની પદવી પરથી દૂર કર્યા અને તેઓની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, ચર્ચો તથા મંદિરોનો નાશ કર્યો કે લૂંટી લીધાં, અને બળજબરીથી ઉપાસકોનાં મનપરિવર્તન તથા ખૂન કર્યાં. તોપણ, એવા કૃત્યોએ ધાર્મિક મનોભાવને દૂર ન કર્યો. જેવી એ સરકારો ભાંગી પડી કે તરત જ, ધર્મોને જાણે નવું જોશ મળ્યું હોય એમ ધૂળમાંથી ઊભા થયા. અગાઉના સામ્યવાદી દેશોમાં, લોકો ફરીથી પોતાના જૂના મંદિરોમાં ભેગા થઈ પોતાના પૂર્વજોની જેમ ઘૂંટણે પડીને ધર્મનિષ્ઠ ઉપાસના કરી રહ્યા છે.
જગતના બીજા ભાગોમાં ધાર્મિક મનોભાવ હજુ પણ તીવ્ર છે. દર વર્ષે સાઉદી અરેબિયાનું મક્કા શહેર જગતભરના લાખો મુસ્લિમ યાત્રાળુઓનું યજમાન બને છે. વેટિકનમાંનું સેન્ટ પીટર્સ સ્ક્વેર અવારનવાર કેથલિક શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરાયેલું હોય છે જેઓ પોપને જોવા માંગતા હોય છે અને તેમનો આશીર્વાદ મેળવવાની આશા સેવતા હોય છે. લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ ભારતની “પવિત્ર” નદીઓના કિનારા પરના સેંકડો યાત્રાધામોએ જવાનું ચાલું રાખે છે. ધર્મનિષ્ઠ યહુદીઓ યરૂશાલેમમાંની વેઈલીંગ વોલ પાસે પ્રાર્થના કરવા અને પોતાની લખેલી પ્રાર્થનાઓ દીવાલની ફાટમાં મૂકવા ટોળે વળતા હોય છે.
હા, માનવજાતમાંથી ધર્મને દૂર કરવો અશક્ય હોય એમ લાગે છે. “માણસ તેના પ્રાકૃતિક બંધારણથી જ એક ધાર્મિક પ્રાણી છે,” એમ આયર્લેન્ડમાં જન્મેલા રાજનીતિજ્ઞ એડમન્ડ બર્કે કહ્યું. આંકડાનુસાર, પૃથ્વી પરની ૬માંથી ૫ વ્યક્તિઓ કંઈક અંશે કોઈક ધર્મ સાથે સંકળાએલી હોય છે. તાજેતરના આંકડાનુસાર, જગતના સ્થાપિત ધર્મોના કંઈક ૪.૭ અબજ જેટલા અનુયાયીઓ છે, જ્યારે કે ફક્ત એક અબજ કરોડ લોકો જ બિનધાર્મિક છે.a
a “બિનધાર્મિક”માં આવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે: “ધર્મ ન પાળતી હોવાનો દાવો કરનાર વ્યક્તિઓ, અશ્રદ્ધાળુઓ, અજ્ઞેયવાદીઓ, મુક્ત ચિંતકો, સર્વ ધર્મો પ્રત્યે તટસ્થ હોય એવા બિનસાંપ્રદાયિકવાદમાં માનનારાઓ.”
એ દૃષ્ટિએ, શું એ માનવું વાજબી છે કે જગતના ધર્મોનો અંત નજીક છે? અને એમ હોય તો, તેઓ ક્યારે અને કઈ રીતે એનો અનુભવ કરશે? શું કોઈ ધર્મ બાકી રહેશે? ચાલો આપણે એ પ્રશ્નો હવે પછીના બે લેખોમાં વિચારણામાં લઈએ.
વેટિકન સિટીનું સેન્ટ પીટર્સ સ્ક્વેર