યુદ્ધ વિનાનું જગત જલદી જ
યશાયાહની બાઇબલ ભવિષ્યવાણીને ફરીથી જુઓ જે કહે છે: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધ શીખશે નહિ.” સંદર્ભમાં નોંધ લો કે જેઓએ પોતાની તરવારો ટીપી છે તેઓ “ઘણા લોકો” છે જેઓ દેવના માર્ગમાં ચાલે છે. (યશાયાહ ૨:૨-૪, કિંગ જેમ્સ વર્શન) એનો અર્થ એ થયો કે એ લોકો યહોવાહ દેવની ઉપાસના કરે છે અને તેમના નિયમો પાળે છે. તેઓ કોણ છે?
તેઓ બહુરાષ્ટ્રીય લોકો હોવા જ જોઈએ જેઓએ માત્ર યુદ્ધના શસ્ત્રોનો જ નકાર કર્યો નથી પરંતુ તેઓએ પોતાનાં હૃદય અને મનમાંથી સંઘર્ષ તથા લડાઇ તરફ દોરી જતાં વલણો અને મિજાજ સંપૂર્ણપણે દૂર કર્યાં છે. (રૂમી ૧૨:૨) તેઓ પોતાના પડોશીને મારી નાખવાને બદલે, પ્રેમ કરે છે. (માત્થી ૨૨:૩૬-૩૯) શું તમે એવા લોકો વિષે સાંભળ્યું છે?
કદાચ તમે યહોવાહના સાક્ષીઓ વિષે સાંભળ્યું હશે જેઓ આંતરરાષ્ટ્રીય ભ્રાતૃત્વ ધરાવે છે અને બીજાઓને મારી નાખવા શસ્ત્રો ઉપાડવાનો વિરોધ કરે છે. એ વિષે વિચારો: પૃથ્વી પરનાં સર્વ એવું જ દૃષ્ટિબિંદુ ધરાવે તો, શું આ ગ્રહ શાંતિ અને સલામતીનું સ્થળ બની ચૂક્યું ન હોય?
અલબત્ત, સર્વ એ દૃષ્ટિબિંદુ ધરાવતા નથી. એ સુલેમાન રાજાએ લગભગ ૩,૦૦૦ વર્ષો અગાઉ લખ્યું: “મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો; જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું.”—સભાશિક્ષક ૪:૧.
શાંતિચાહકોને બોલાવવા
શું કદી યુદ્ધ વિનાનું જગત હશે? હા. શું એ માણસોના પ્રયત્નો મારફતે આવશે? ના. શું એ સાચા ધર્મમાં મોટા ધર્મપલટાથી આવશે? ના. બાઇબલનું ગીતશાસ્ત્રનું પુસ્તક જવાબ આપે છે? “આવો, યહોવાહનાં કૃત્યો જુઓ, . . . તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯, અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.
યહોવાહ દેવ એ કઈ રીતે કરશે? નીતિવચનનું પુસ્તક જવાબ આપે છે: “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”—નીતિવચન ૨:૨૧, ૨૨.
દેવે અત્યાર સુધી પગલું ભર્યું નથી એનું મુખ્ય કારણ આ છે: તે લોકોને તેમના માર્ગો શીખવાની તક આપે છે જેથી તેઓ તેમના માર્ગમાં ચાલી શકે. પ્રેષિત પીતરે લખ્યું: “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ [“યહોવાહ,” NW] પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) આમ, દેવના લોકો યહોવાહ વિષે શીખવામાં બીજાઓને નિસ્વાર્થપણે મદદ કરે છે. યશાયાહે વ્યક્ત કર્યું તેમ, તેઓ પોકારે છે: “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે . . . ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શિખવશે.”—યશાયાહ ૨:૩.
“છેલ્લા કાળમાં”
યશાયાહનું શાસ્ત્રવચન એ પણ ભાખે છે કે શાંતિના માર્ગોમાં લોકોને શીખવવાનું કામ “છેલ્લા કાળમાં” થશે. (યશાયાહ ૨:૨) આપણે અત્યારે એ સમયમાં જીવી રહ્યા છીએ. વ્યંગાત્મકપણે, આ સદીના યુદ્ધો દર્શાવે છે કે આપણે એ સમયમાં જીવી રહ્યાં છીએ.
ઈસુનાં શિષ્યોએ તેમને પૂછ્યું કે આ વસ્તુવ્યવસ્થાના અંતની શું નિશાની હશે, ત્યારે તેમણે ભાખ્યું કે “મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠામેઠામ દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે.” (લુક ૨૧:૧૧; માત્થી ૨૪:૩) તેમણે એમ પણ કહ્યું: “જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો મા; કેમકે આ બધું પ્રથમ થવું જોઈએ; પણ એટલેથી જ અંત નથી. વળી તેણે તેઓને કહ્યું, કે પ્રજા પ્રજાની વિરૂદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે.”—લુક ૨૧:૯, ૧૦.
હજારો વર્ષોથી યુદ્ધો થયાં હોવા છતાં, માત્ર આ સદી બે વિશ્વયુદ્ધની સાક્ષી બની છે, અને કેટલીક ગણતરી અનુસાર શાબ્દિક રીતે હજારો નાનાં યુદ્ધો થતાં રહ્યાં છે. આ સદીમાં યુદ્ધમાં માર્યા ગયેલાં લોકોની હકીકત આઘાતજનક છે. વર્લ્ડ વોચ સામયિક અનુસાર, ૨૦મી સદી અગાઉના ૨,૦૦૦ વર્ષો દરમ્યાન, સરેરાશ યુદ્ધમાં દસ લાખ લોકો મરી ગયાં એને ૫૦ વર્ષો લાગ્યાં. આ સદી દરમ્યાન, યુદ્ધમાં ૧૦ લાખ લોકોને મરતાં સરેરાશ માત્ર એક જ વર્ષ લાગ્યું.
યુદ્ધ વિનાનું જગત
આપણી આ સદીનાં ભયંકર યુદ્ધો, તે ઉપરાંત બાઇબલ ભવિષ્યવાણીમાં ભાખ્યા મુજબનાં બીજા ઘણાં સંઘર્ષો બતાવે છે કે આપણે દેવ બનાવે છે એ નવી દુનિયાને ઉંબરે આવી ઊભા છીએ. જૂની જગત અવ્યવસ્થા દૂર કરવામાં આવશે જેને ઠેકાણે “નવી પૃથ્વી” આવશે જ્યાં શાંતિ અને ન્યાયીપણું પાંગરશે. (૨ પીતર ૩:૧૩) દેવનો શબ્દ કહે છે: “દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૧.
આજે આખી પૃથ્વી ફરતે, અગણિત લાખો લોકો યુદ્ધ વિનાના જગત માટે તલપે છે. દેવ એવું જગત બનાવવાનું પોતાનું વચન ચોક્કસ પરિપૂર્ણ કરશે એમ બતાવતાં, દેવના એક પ્રબોધકે ઘણા સમય અગાઉ લખ્યું: “એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમકે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમકે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.”—હબાક્કૂક ૨:૩.
તેથી, ડહાપણભરી રીતે, તમારો ભરોસો દેવમાં મૂકો અને તેમના વચનની પરિપૂર્ણતામાં આનંદ કરો: “દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
(g96 4/22)
[પાન ૯, ૧૦ પર બૉક્સ/ચિત્રો]
બાઇબલ એ નવી દુનિયા માટે જે વચનો આપે છે:
ગુના, હિંસા, કે દુષ્ટતા નહિ હોય
“[દેવ] પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.
“દુષ્કર્મીઓનો સંહાર થશે; . . . થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦.
સર્વ માણસજાત શાંતિમાં
“આપણે સારૂ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને શાંતિનો સરદાર, . . . એ નામ આપવામાં આવશે. તેના રાજ્ય ઉપર, તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.”—યશાયાહ ૯:૬, ૭.
આખી પૃથ્વી એક પારાદેશ
ઈસુએ કહ્યું: “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.”
“ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
એક પ્રેમાળ જગતવ્યાપી ભ્રાતૃત્વ
“દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.
મરણ પામેલા સ્નેહીજનોનું પુનરુત્થાન
“એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે; અને . . . નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.
માંદગી, વૃદ્ધાવસ્થા,
કે મરણ રહ્યું નથી
“તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૪.