વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૧૬
  • નીરઃસાક્ષરતાથી સાવધ રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નીરઃસાક્ષરતાથી સાવધ રહો
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • વાચનના લાભ
  • સંતુલિત દૃષ્ટિ
  • માબાપ કઈ રીતે મદદ કરી શકે
  • બાઇબલ—એક ઉત્કૃષ્ટ સહાય
  • પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શા માટે તમારાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૨
  • શું કામ વાંચવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૬
  • બાઇબલની વાતો સારી રીતે સમજવા હું શું કરી શકું?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૧૬

નીરઃસાક્ષરતાથી સાવધ રહો

આપણા જગતમાં વાચનને લગતો એક નવો કોયડો વ્યાપ્યો છે. એને નીરઃસાક્ષરતા (aliteracy) કહેવામાં આવે છે. એની વ્યાખ્યા “એવો ગુણ કે સ્થિતિ જેમાં વ્યક્તિ વાંચી શકે છે પરંતુ એમ કરવામાં નીરસ હોય છે”a કરવામાં આવી છે. (મરિયમ-વેબર્સ્ટ કલીજિયેટ ડિક્ષનરી, ટેન્થ એડિશન) હા, વાચન—એક સમયે જેની મઝા માણવામાં આવતી—ને હવે ઘણી વાર એક માથાકૂટ તરીકે હડસેલી દેવામાં આવે છે. “વાંચવા માટે તમારે મહેનત કરવી પડે,” ૧૨ વર્ષની એક છોકરીએ ફરિયાદ કરી, “અને એમાં કંઈ મઝા નથી.”

a નીરઃસાક્ષરતાને “નિરક્ષરતા” સાથે ગૂંચવવાની નથી, જે નિરક્ષરતાનો અર્થ “વાંચવા કે લખવા અશક્તિમાન” થાય છે.

ઘણી પુખ્ત વયની વ્યક્તિઓ પણ નીરઃસાક્ષર હોય છે. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્‌સ ૯૭ ટકા સાક્ષરતામાં ગર્વ લે છે; તોપણ, અમેરિકાની પુખ્ત વયની અડધોઅડધ વ્યક્તિઓ ભાગ્યે જ પુસ્તકો કે સામયિકો વાંચે છે! સ્પષ્ટપણે જ, વાંચી શકવું વાંચવાની ઇચ્છા ધરાવવા સાથે હંમેશા બંધબેસતું હોતું નથી. સુશિક્ષિત વ્યક્તિઓ મધ્યે પણ એમ જ હોય છે. “હું આખા દિવસની મહેનત પછી થાકીને ઘરે આવું છું ત્યારે,” હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સ્નાતક કહે છે, “હું પુસ્તક ઉપાડવાને બદલે ટીવી ચાલુ કરું છું. એ સહેલું છે.”

વાચનને શું થયું છે? તાજેતરના દાયકાઓમાં એની લોકપ્રિયતા ધ્યાનાકર્ષક સમાચાર માધ્યમ સમક્ષ નમી ગઈ છે. “હવે આપણી પાસે એમટીવી—અને વીસીઆર તથા નિન્ટેન્ડો [વિડીયો રમતો] અને વોકમેન—હોવાથી પુસ્તક વાંચવામાં પરસેવો પાડવો એ સાદગીભર્યા સમયમાં હતું એટલું સહેલું લાગતું નથી,” ફોર્ચ્યુન સામયિકમાં સ્ટ્રેટફર્ડ પી. શર્મન લખે છે. કદાચ ટેલિવિઝન વાચનનું સૌથી વધુ સમય ખાઈ જનાર હરીફ છે. ખરેખર, ૬૫ વર્ષની વય સુધીમાં સરેરાશ અમેરિકને ટીવી જોવામાં પોતાના આયુષ્યનાં નવ વર્ષ પસાર કર્યાં હશે!

અનેક વાર ટેલિવિઝનની ખાતર વાચનના બદલાઓનો ભોગ આપવામાં આવે છે તેથી, નીચેની બાબતોનો વિચાર કરવો સારું થશે.

વાચનના લાભ

વાચન કલ્પના શક્તિને ઉત્તેજિત કરે છે. તમારું વિચારવું ટેલિવિઝન પોતે જ કરી આપે છે. બધી બાબતો રજૂ કરી આપવામાં આવે છે: ચહેરાના હાવભાવ, અવાજનું નિયમન, અને પાર્શ્વભૂમિકા.

જોકે, વાચનમાં તમે પોતે પાત્રો પસંદ કરો છો, મંચ ગોઠવો છો, અને હાવભાવને નિર્દેશન આપો છો. “તમે ઘણા જ સ્વતંત્ર હો છો,” એક દસ વર્ષનો છોકરો કહે છે. “તમે દરેક પાત્રનો દેખાવ પોતાની ઇચ્છા પ્રમાણે બનાવી શકો છો. તમે ટીવી પર કંઈક નિહાળતા હો એના કરતાં વાંચતા હો ત્યારે તમારી પાસે બાબતો પર વધુ કાબૂ હોય છે.” ડો. બ્રુનો બેટલહાઈમે અવલોક્યું તેમ, “ટેલિવિઝન કલ્પના ઝડપે છે પરંતુ એને મુક્ત કરતું નથી. સારું પુસ્તક તરત જ મનને ઉત્તેજિત અને મુક્ત કરે છે.”

વાચન બોલવાની આવડત વિકસાવે છે. “કોઈ બાળક કે પુખ્ત વયની વ્યક્તિ વધારે ટેલિવિઝન જોવાથી એ જોવામાં વધારે કુશળ બનતું નથી,” યુનિવર્સિટી ઓફ માસાચ્યુસેટ્‌સના રેજીનાલ્ડ ડેમરોલ નોંધે છે. “એ માટે જરૂરી આવડત એટલી બધી પ્રાથમિક હોય છે કે હજુ સુધી આપણે ટેલિવિઝન જોવાની અક્ષમતા વિષે સાંભળ્યું નથી.”

એથી ભિન્‍ન, વાચન બોલવાની આવડત જરૂરી બનાવે છે અને વિકસાવે છે; એ વક્તૃત્વ અને લેખન સાથે અનિવાર્યપણે જોડાયેલું છે. એક માધ્યમિક શાળાના અંગ્રેજીના શિક્ષક કહે છે: “એમાં કોઈ સવાલ જ નથી કે વિદ્યાર્થી તરીકેની તમારી સફળતા તમારા શબ્દભંડોળ પર ઘણો જ આધાર રાખે છે, અર્થાત્‌ તમે વાંચો ત્યારે સમજો તે અને તમે લખો ત્યારે જેની વિચારદલીલ કરો તે, અને સારું શબ્દભંડોળ ભેગું કરવા માટે વાચન વિના બીજો કોઈ માર્ગ નથી—બીજો એક પણ નથી.”

વાચન ધીરજ પ્રોત્સાહિત કરે છે. ટીવીની સ્ક્રીન પર ફક્ત એક કલાકમાં જ એક હજારથી વધુ પ્રતિમાઓ ચમકી શકે, જે નિહાળનારને પોતે જોઈ રહ્યો છે એનો વિચાર કરવા માટે જરા પણ સમય આપતું નથી. “એ કુશળતા શાબ્દિક રીતે ટૂંકી એકાગ્રતાની ટેવ પાડે છે,” ડો. મેથ્યુ ડ્યુમોન્ટ કહે છે. એમાં કંઈ નવાઈ નથી કે, કેટલાક અભ્યાસો વધુ પડતા ટીવી જોવાને અવિચારી નિર્ણયો કરવા અને ચંચળતા સાથે સાંકળે છે—બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓ બન્‍નેમાં.

વાચન ધીરજ માગી લે છે. “વાક્યો, ફકરાઓ, અને પાનાઓ ધીમે ધીમે ક્રમમાં, અને સાહજિક ન હોય એવા તર્ક અનુસાર પ્રગટ થાય છે,” એમ સંચાર નિષ્ણાત નીલ પોસ્ટમેન લખે છે. વાચકે પાન પરની બાબતોનું પોતાની ગતિએ અર્થઘટન, મૂલ્યાંકન, અને પુનરાવર્તન કરવાનું હોય છે. વાચન અર્થઘટન કરવાની એવી જટિલ પ્રક્રિયા છે જે ધીરજ માગી લે છે—અને વિકસાવે છે.

સંતુલિત દૃષ્ટિ

વાચનના લાભો હોવાં છતાં, એ સ્વીકારવું જ જોઈએ કે ટેલિવિઝનના લાભો પણ છે. અમુક પ્રકારની માહિતી રજૂ કરવામાં એ વાચન કરતા આગળ વધી જઈ શકે.b ટીવીની મુગ્ધ કરતી રજૂઆત વાચનમાં રસ પણ પ્રોત્સાહિત કરી શકે. “એવો અહેવાલ આપવામાં આવ્યો છે કે બાળકોના સાહિત્ય અને વિજ્ઞાનને નાટકીય રૂપમાં રજૂ કરતા કાર્યક્રમો બાળકોને એ અને એની સાથેના સંબંધિત વિષયો પરનાં પુસ્તકો શોધીને વાંચવાનું ઉત્તેજન આપે છે,” એમ ધ એન્સાયક્લોપેડિયા અમેરિકાના કહે છે.

b એ સ્વીકારીને, વોચ ટાવર સોસાયટીએ તાજેતરના વર્ષોમાં એની છાપેલી માહિતીના ઉત્પાદનમાં બાઇબલ સાથે સંબંધિત વિવિધ વિષયો પર વિડીયોકેસેટો ઉમેરી છે.

સંતુલિત દૃષ્ટિ જરૂરી છે. છાપેલા પાના અને ટેલિવિઝન બે ભિન્‍ન માધ્યમો છે. દરેકના અંતર્ગત સારા ગુણો અને નબળાઈઓ છે. દરેકનો ઉપયોગ—કે દુરુપયોગ—થઈ શકે છે. હા, પોતાને એકલા પાડી દેવાની હદ સુધીનું વધુ પડતું વાચન પણ વધુ પડતું ટીવી જોવા જેટલું જ નુકસાનકારક બની શકે છે.—નીતિવચન ૧૮:૧; સભાશિક્ષક ૧૨:૧૨.

તોપણ, ઘણી વાર ચક્ષુગમ્ય મનોરંજનને માટે વાચન પડતું મૂકવામાં આવે છે. જાપાનનો એક સમાચાર વિતરક વિલાપ કરે છે: “આપણે વાચકોની સંસ્કૃતિમાંથી નિહાળનારાઓની સંસ્કૃતિમાં ફેરવાઈ જઈ રહ્યાં છીએ.” એ ખાસ કરીને યુવાનો મધ્યે નોંધવામાં આવ્યું છે. પરિણામે, તેઓમાંના ઘણા નીરઃસાક્ષર તરીકે મોટા થાય છે અને પછીથી માઠાં પરિણામો ભોગવે છે. તેથી, માબાપ પોતાનાં બાળકોને વાંચવાની ઇચ્છા કેળવવામાં કઈ રીતે મદદ કરી શકે?

માબાપ કઈ રીતે મદદ કરી શકે

દાખલો બેસાડો. “સારા વાચકો કઈ રીતે ઉછેરવા” શીર્ષકવાળો ન્યૂઝવીકમાંનો એક લેખ આ મુદ્દાસરની શિખામણ આપે છે: “તમે ટીવીની સામે પડી રહેશો તો, તમારું બાળક પણ એમ જ કરશે. બીજી તર્ફે, તમારું બાળક તમને આનંદથી એક સારું પુસ્તક વાંચવામાં ઓતપ્રોત થયેલા જોશે તો, તેઓને એવો સંદેશ મળશે કે તમે વાચન વિષે ફક્ત ઉપદેશ જ આપતા નથી, પરંતુ પોતે પણ એ પાળો છો.” એથી પણ વધુ સારું તો, કેટલાક માબાપ પોતાનાં બાળકોને મોટેથી વાંચી સંભળાવે છે. એમ કરવામાં, તેઓ ઉષ્માભર્યું બંધન પેદા કરે છે—એવું કંઈક જેની આજે ઘણાં કુટુંબોમાં અછત વર્તાય છે.

પુસ્તકાલયની શરૂઆત કરો. “આસપાસમાં પુસ્તકો રાખો—ઘણાં બધાં પુસ્તકો,” ડો. થીયોડોર આઇઝક રુબન ભલામણ કરે છે. “મને યાદ છે કે હું પુસ્તકો વાંચતો કેમ કે એ પ્રાપ્ય હતાં અને બીજું એ કે બીજાં બધાં પણ એ વાંચી રહ્યાં હતાં.” પુસ્તકો સહેલાયથી પ્રાપ્ય હોય તો બાળકો એ વાંચશે. પુસ્તકો તેઓના વ્યક્તિગત પુસ્તકાલયનો ભાગ હોય તો એ વાંચવાનું પ્રોત્સાહન હજુ પણ વધુ મળે છે.

વાચન આનંદમય બનાવો. એમ કહેવામાં આવે છે કે બાળકને વાંચવાનું ગમતું હોય તો, શીખવાની લડત અડધી જીતી લેવામાં આવી છે. તેથી તમારા બાળક માટે વાચનને એક મઝાનો અનુભવ બનાવો. કઈ રીતે? પ્રથમ, ટેલિવિઝન જોવાના સમય પર મર્યાદા ઠરાવો; એ વાચનની સામે હંમેશા જીતી જશે. બીજું, વાચનને સાનુકૂળ હોય એવું વાતાવરણ પેદા કરો; શાંતિપૂર્ણ સમય અને સારા ઉજાશવાળા વ્યક્તિગત પુસ્તકાલય જેવા વિસ્તારો વાચન આમંત્રે છે. ત્રીજું, વાંચવા માટે બળજબરી ન કરો. વાંચવા માટેની સામગ્રી અને તક પ્રાપ્ય બનાવો, પરંતુ બાળકને પોતાને ઇચ્છા કેળવવા દો.

કેટલાક માબાપ પોતાનાં બાળકો નાનાં હોય ત્યારથી જ તેઓને વાંચી સંભળાવે છે. એ લાભદાયી બની શકે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ત્રણ વર્ષની ઉંમર સુધીમાં, બાળક સામાન્ય પુખ્ત વયની વ્યક્તિઓની વાતચીતમાં વપરાતી ભાષાનો ઘણો ખરો ભાગ સમજી શકે છે—તે એ શબ્દો અસ્ખલિતપણે વ્યક્ત કરી શકતું ન હોવાં છતાં. “બાળકો ભાષાનો મૌખિક રીતે ઉપયોગ કરતાં શીખે એના કરતાં પહેલાં અને વધુ ઝડપી દરે એને સમજતાં શીખે છે,” ધ ફર્સ્ટ થ્રી યર્સ ઓફ લાઈફ પુસ્તક કહે છે. બાઇબલ તીમોથી વિષે કહે છે: “તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે.” (૨ તીમોથી ૩:૧૫) બાળક (infant) શબ્દનું મૂળ લેટિન ઇન્ફન્સમાં મળે છે, જેનો શાબ્દિક અર્થ “ન બોલતું” થાય છે. હા, તીમોથી શાસ્ત્રવચનોના શબ્દો બોલી શકે એના કરતાં ઘણે અગાઉ તેણે એ સાંભળ્યા.

બાઇબલ—એક ઉત્કૃષ્ટ સહાય

“બાઇબલ સાહિત્યિક કૃતિનો વિશાળ સંગ્રહ છે,” ધ બાઇબલ ઇન ઇટ્‌સ લિટરરી મિલિયર પુસ્તક કહે છે. ખરેખર, એના ૬૬ પુસ્તકો કાવ્યો, ગીતો, અને ઐતિહાસિક અહેવાલો ધરાવે છે જેમાંથી આબાલવૃદ્ધ બધાં જ શીખી શકે છે. (રૂમી ૧૫:૪) તદુપરાંત, બાઇબલ “ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.”—૨ તીમોથી ૩:૧૬.

હા, પ્રાપ્ય હોય એવી સૌથી વધુ અગત્યની વાચન સામગ્રી દેવનો શબ્દ, બાઇબલ, છે. સારા કારણસર જ એ જરૂરી બનાવવામાં આવ્યું હતું કે દરેક ઈસ્રાએલી રાજા શાસ્ત્રવચનોની વ્યક્તિગત પ્રત રાખે અને “તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે.” (પુનર્નિયમ ૧૭:૧૮, ૧૯) અને યહોશુઆને શાસ્ત્રવચનોનું ‘દિવસે તથા રાત્રે મનન કરવાની’—એટલે કે, ધીમે સાદે પોતાને વાંચી સંભળાવવાની—આજ્ઞા આપવામાં આવી હતી.—યહોશુઆ ૧:૮.

કબૂલ કે, બાઇબલના કેટલાક હિસ્સા વાંચવામાં સહેલા નથી. એ એકાગ્રતા માગી લઈ શકે. યાદ રાખો કે, પીતરે લખ્યું: “નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા કેળવો.” (૧ પીતર ૨:૨, NW) મહાવરો કરવાથી, દેવના શબ્દના “દૂધ” માટેની ઇચ્છા શિશુની પોતાની માતાના દૂધ માટેની ઝંખના જેટલી સ્વાભાવિક બનાવી શકાય. બાઇબલ વાચનની કદર વિકસાવી શકાય એવી બાબત છે.c એ જરૂરી પ્રયત્ન કરવાને યોગ્ય છે. “મારા પગોને સારૂ તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે,” ગીતકર્તાએ લખ્યું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) શું આપણા મુશ્કેલીભર્યા સમયમાં આપણ સર્વને એવા માર્ગદર્શનની જરૂર નથી?

(g96 1/22)

c બાળકોમાં બાઇબલના જ્ઞાન માટેની ઇચ્છા પેદા થાય એ માટે, વોચ ટાવર સોસાયટીએ બાઇબલ અભ્યાસને સાદો બનાવવા પુસ્તકો તૈયાર કર્યાં છે, જેમ કે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અને લિશનીંગ ટૂ ધ ગ્રેટ ટીચર. બન્‍ને પુસ્તકો અંગ્રેજીમાં ઓડિયોકેસેટોમાં પણ પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો