અજોડ
મેળાપ
બ્રિટનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
બ્રુસ બે વર્ષનો હતો ત્યારે, ૧૯૪૫માં, તેની માતા, મેરીએ તેને છેલ્લી વખત જોયો હતો. મેરીને છૂટાછેડા આપ્યા પછી, બ્રુસના પિતાને તેના ભરણ-પોષણનો કાયદેસરનો અધિકાર મળ્યો. પોતાની કુદરતી લાગણીઓને દબાવી દઈને, મેરીએ નક્કી કર્યું કે પોતાના પુત્રના ભલા માટે એ સારું થશે કે તે પોતાના પિતા અને પિતાની નવી પત્ની સાથે, મેરીના કોઈપણ પ્રકારના લાગણીમય ટેકા વગર ઉછરીને મોટો થાય. પરિણામે, તેનો બ્રુસ સાથેનો પૂરેપૂરો સંપર્ક તૂટી ગયો.
થોડાં વર્ષો પછી મેરીએ ફરી લગ્ન કર્યું અને તેને બીજો પુત્ર જન્મ્યો, પરંતુ હજુ પણ તે બ્રુસ વિષે વિચારતી હતી. તે ક્યાં હશે? તેનું શું થયું હશે?
બ્રુસના પિતાનું ૧૯૭૬માં મરણ થયું ત્યારે, મેરીએ તેમની અંતિમક્રિયામાં હાજરી આપી. બ્રુસ, હવે ૩૦-૩૫ વર્ષનો દેખાવડો યુવાન પુરુષ હતો, જે તેની સાવકી માતા સાથે હાજર હતો. પરંતુ મેરી હજુપણ માનતી હોવાથી કે બ્રુસ તેની સાવકી માતાને જ કુદરતી માતા ગણતો હશે, માટે તેને લાગ્યું કે બ્રુસ સાથે ઓળખાણ કાઢવી વાજબી નહિ ગણાય, અને એમાંય તેના પિતાના મરણ સમયે. પણ મેરી જાણતી હોત કે બ્રુસના પિતાએ ફરી લગ્ન કર્યા પછી તરત તેને છોડી દીધો હતો અને તે પોતાની દાદીમા સાથે ઉછરીને મોટો થયો હતો, તો તેનું વર્તન જુદું જ હોત.
લગભગ એ જ સમયે મેરીની મુલાકાત સૂ નામની એક યહોવાહની સાક્ષી સાથે થઈ, અને તે તાત્કાલિક ગૃહ બાઇબલ અભ્યાસ માટે સહમત થઈ ગઈ. એ જ સમયે, સંજોગવશાત્, બ્રુસ અને તેની પત્નીએ પણ સૂના પતિ, એલન સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેમ છતાં, સ્વાસ્થ્યની સમસ્યાઓને કારણે, જલદી જ મેરીએ તેનો અભ્યાસ બંધ કર્યો અને ઘર બદલી નાખ્યું.
ફરીથી ૧૯૯૫માં યહોવાહના સાક્ષીઓએ મેરીની મુલાકાત લીધી. તેણે ફરીથી તેનો બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને તેણે ઝડપથી પ્રગતિ કરી. તે બાપ્તિસ્મા સુધી પહોંચી ત્યારે, મેરીએ ખ્રિસ્તી વડીલને બ્રુસ વિષેની અંગત વાત જણાવી. વડીલે તપાસ કરી અને જાણ્યું કે બ્રુસ અને તેનું કુટુંબ યહોવાહના સાક્ષીઓ છે એટલું જ નહિ પરંતુ બ્રુસ મેરીના પોતાના શહેરમાં મંડળનો વડીલ હતો!
બ્રુસના મંડળના બીજા વડીલો અચકાતા હતા. તેઓ બ્રુસને જણાવે કે તેની માતા હવે પછીના ખાસ સંમેલન દિવસે બાપ્તિસ્મા લઈ રહી છે તો, તેનો પ્રત્યાઘાત કેવો હશે? શું તે જાણે પણ છે કે તેણી જીવે છે? તેમ છતાં, બ્રુસને હકીકતની ખબર પડી કે તરત જ, તે તેના કુટુંબ સાથે મેરીને મળવા નીકળી પડ્યો. પોતાની માતાને ભેટતી વખતે તેના શબ્દો હતા, “ભૂતકાળ ગમે તે હોય; સત્યમાં ભવિષ્યને મહત્ત્વ છે!”
માર્ચ ૧૯૯૬માં, ૭૮ વર્ષની વયે, મેરી, ઇંગ્લૅંડના ઈસ્ટ પેનિનમાં, યહોવાહના સાક્ષીઓના સંમેલન હોલમાં બાપ્તિસ્મા પામી. પોતાની માતાને એક આત્મિક બહેન તરીકે પાછી મેળવતા બ્રુસ કેટલો રોમાંચ અનુભવતો હતો!
બ્રુસ, તેની માતા
સાથે