Good News for People of All Nations
આ પુસ્તિકા ૨૦૦૪-૨૦૦૫માં યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં બહાર પડી હતી. એનાથી ઘણા લોકો પોતાની ભાષામાં વાંચી શકશે કે પરમેશ્વર થોડા સમયમાં જ પૃથ્વી પર કયા આશીર્વાદો વરસાવશે. પણ એક પુસ્તિકામાંથી ઘણા લોકો કેવી રીતે એ સંદેશ પોતાની ભાષામાં વાંચી શકે? એમાં અનેક ભાષાઓમાં એ સંદેશો છે. એક પુસ્તિકામાં ૯૬ પાન છે ને ૯૨ ભાષાઓ છે. (માત્થી ૨૪:૧૪) યહોવાહના ભક્તોને પ્રચારમાં એ વાપરીને સારા અનુભવો થયા છે. નીચે અમુક અનુભવો છે.
• એક કુટુંબે સંમેલનમાં એ પુસ્તિકા મેળવી. સંમેલન પછી તેઓ ત્રણેક બગીચા કે પાર્કમાં ફરવા ગયા. ત્યાં તેઓ નેધરલૅન્ડ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ અને ભારતના લોકોને મળ્યા. પછી શું થયું એ વિષે પતિ જણાવે છે: ‘બધાને થોડું અંગ્રેજી આવડતું હતું. પણ જ્યારે તેઓએ પુસ્તિકામાંથી પોતાની ભાષામાં વાંચ્યું કે પરમેશ્વર થોડા સમય પછી પૃથ્વી પર શું કરશે, ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા. તેઓ વતનથી ઘણા દૂર હોવા છતાં, એ સંદેશ પોતાની ભાષામાં વાંચી શક્યા. તેઓ ખરેખર સમજી શક્યા કે યહોવાહના ભક્તો આખી દુનિયામાં સંપથી પ્રચાર કામ કરે છે.’
• એક બહેન જે યહોવાહની ભક્ત છે, તેણે નોકરી પર બે વ્યક્તિને પુસ્તિકા બતાવી. એક વ્યક્તિ ભારતની છે. એ ભાઈએ જોયું કે પુસ્તિકાનો સંદેશ અલગ અલગ ભાષાઓમાં છે. તેમણે પોતાની ભાષામાં સંદેશો વાંચ્યો અને એનાથી તેમને ખૂબ જ આનંદ થયો. ત્યાર પછી, એ ભાઈ સાથે બાઇબલમાંથી વધારે ચર્ચા કરી. બીજી વ્યક્તિ ફિલિપાઈન્સથી આવે છે. તેણે પુસ્તિકામાં પોતાની ભાષામાં સંદેશો વાંચીને યહોવાહના ભક્તો વિષે વધારે સવાલો પૂછ્યા.
• કૅનેડામાં યહોવાહની એક સાક્ષી બહેન નેપાળી સ્ત્રી સાથે બાઇબલમાંથી ચર્ચા કરે છે. આ નેપાળી સ્ત્રીને બાઇબલમાંથી વધારે શીખવું હતું, પણ તેને યહોવાહની સાક્ષીને ઘરમાં બોલાવવાનો ડર લાગતો હતો. એટલે તેણે બહેનને કહ્યું કે ‘આપણે ફોન પર વાત કરીશું’. પણ એક વખત તેઓ ફોન પર વાત કરતા હતા ત્યારે યહોવાહની સાક્ષીએ નેપાળી સ્ત્રીને જણાવ્યું કે પુસ્તિકામાં નેપાળી ભાષામાં સંદેશ છે. એ સાંભળીને પેલી સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ અને કહ્યું કે ‘મારા ઘરે આવો.’ તેને નેપાળી ભાષામાં બાઇબલનો સંદેશ વાંચવાની એટલી તરસ હતી. એ મુલાકાત પછી તેઓ બાઇબલની ચર્ચા તેમના ઘરમાં જ કરે છે.