શું પરમેશ્વર આપણી કાળજી રાખે છે?
શુંતમે આ જીવનની ચિંતાઓ નીચે દબાઇ ગયા છો? હા, આજે ઘણા એવું અનુભવે છે. વધુમાં મોટા ભાગના લોકો અન્યાય, ગુના કે હિંસાનો ભોગ પણ બને છે. બાઇબલ કહે છે: “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રૂમીઓને પત્ર ૮:૨૨) તેથી, આજે ઘણા પૂછે છે: ‘શું પરમેશ્વર ખરેખર આપણી કાળજી રાખે છે? શું તે આપણને મદદ કરશે?’
રાજા સુલેમાને પરમેશ્વરને પ્રાર્થના કરતા કહ્યું: “તું, કેવળ તું જ, સર્વ મનુષ્યોનાં અંતઃકરણો જાણે છે.” સુલેમાન રાજાને પૂરો ભરોસો હતો કે પરમેશ્વર આપણને ફક્ત જાણતા જ નથી પણ તે આપણા દરેકની કાળજી રાખે છે. આથી, તેમણે પરમેશ્વરને પ્રાર્થના સાંભળવાની આજીજી કરી. તેમણે પરમેશ્વરને એવી વિનંતી પણ કરી કે જ્યારે ઈશ્વરભક્તો પ્રાર્થનામાં “પોતપોતાની પીડા ને પોતપોતાનું દુઃખ” જણાવે, ત્યારે તેઓની વિનંતી સાંભળે.—૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦.
આજે પણ યહોવાહ પરમેશ્વર આપણી કાળજી રાખે છે. તે આપણી પ્રાર્થનાઓ સાંભળવા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૫૦:૧૫) તે આપણને વચન આપે છે કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરીશું તો, તે જરૂર જવાબ આપશે. (ગીતશાસ્ત્ર ૫૫:૧૬, ૨૨; લુક ૧૧:૫-૧૩; ૨ કોરીંથી ૪:૭) “કોઈ વ્યક્તિ પોતાના દુઃખને કારણે પ્રાર્થના કરે અથવા સર્વ લોક સમુહમાં મંદિર તરફ ફરીને પ્રાર્થના કરે તો,” યહોવાહ ચોક્કસ સાંભળે છે. (૨ કાળવૃત્તાંત ૬:૨૯, IBSI) તેથી, આપણે પણ પરમેશ્વર પર પૂરો ભરોસો મૂકવો જોઈએ. તેમ જ, મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરીશું તો, તે આપણી કાળજી રાખશે. (નીતિવચનો ૩:૫, ૬) બાઇબલ આપણને ખાતરી આપે છે: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકોબ ૪:૮.