“જોજે, એનાથી દુખશે”
શું તમે ક્યારેય આવા શબ્દો સાંભળ્યા છે? કોઈ ડૉક્ટર અથવા નર્સે તમારી સારવાર કરતાં પહેલાં જરૂર આવું કહ્યું હશે.
તમારે સાજા થવા અમુક દરદ સહન કરવું પડશે એમ વિચારીને તમે સારવાર કરાવવાનું પડતું નહિ મૂકો. એને બદલે, તમે જલદી સાજા થવા ગમે તેવી પીડાને સહન કરો છો. અમુક ગંભીર બનાવોમાં, પીડાકારક સારવાર કરાવવી કે નહિ એ જીવન મરણની બાબત બની શકે છે.
હા, આપણને હંમેશાં ડૉક્ટરની જરૂર પડતી નથી પરંતુ, આપણે સર્વ અપૂર્ણ મનુષ્યો હોવાથી આપણને હંમેશાં શિસ્ત અને સુધારણાની જરૂર પડે છે પછી ભલેને એ દુઃખદાયક હોય. (યિર્મેયાહ ૧૦:૨૩) બાળકોને શિસ્તની જરૂર છે એના પર ભાર મૂકતા બાઇબલ કહે છે: “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.”—નીતિવચનો ૨૨:૧૫.
આ ઉદાહરણમાં સોટી એ માબાપના અધિકારનું ચિહ્ન છે. એ સાચું છે કે બહુ થોડાં બાળકોને શિસ્ત ગમે છે. અમુક પ્રકારની શિક્ષાથી તેઓને ગુસ્સો આવી શકે. તેમ છતાં, સમજુ અને પ્રેમાળ માબાપો શિસ્તથી બાળકોને દુઃખ થાય છે એના પર નહિ, પરંતુ તેઓના ભાવિ હિતને ધ્યાન આપે છે. ખ્રિસ્તી માબાપો જાણે છે કે પરમેશ્વરનો શબ્દ સાચો છે કેમ કે એ કહે છે: “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.”—હેબ્રી ૧૨:૧૧; નીતિવચનો ૧૩:૨૪.
જોકે, ફક્ત બાળકોને જ શિસ્તની જરૂર નથી. મોટેરાઓને પણ એની જરૂર છે. બાઇબલ તેઓને સલાહ આપતા કહે છે: “શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમકે તે તારૂં જીવન છે.” (નીતિવચનો ૪:૧૩) હા, બાળકો અને પુખ્ત વયની સર્વ સમજુ વ્યક્તિઓ પરમેશ્વરના શબ્દ બાઇબલમાંથી મળતી શિસ્તને સ્વીકારશે. કેમ કે એમ કરવાથી આખરે તેઓનું જીવન બચશે.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી અથવા બાઇબલ વિષે વધુ જાણવું હોય તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.