શું તમે સમજુ છો?
ઈસ્રાએલ પર ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે, મુસાએ “ડાહ્યા, અનુભવી અને સમજુ . . . માણસોને” શોધવાનો પ્રયત્ન કર્યો. (પુનર્નિયમ ૧:૧૩, IBSI) ઉંમર પ્રમાણે અનુભવ આવે છે, પરંતુ એટલું જ મહત્ત્વનું ન હતું. એ ઉપરાંત ડહાપણ અને સમજણ પણ મહત્ત્વના હતા.
સમજુ વ્યક્તિ વાણી અને વર્તનમાં વાજબી હોય છે. વેબસ્ટર્સ નાઈન્થ ન્યૂ કોલેજીએટ ડિક્ષનરી પ્રમાણે સમજુ વ્યક્તિ “શાંતિ જાળવી શકે છે.” હા, “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” પણ હોય છે, અને સમજુ વ્યક્તિ આ બે વચ્ચેના તફાવતની કદર કરે છે. (સભાશિક્ષક ૩:૭) ચૂપ રહેવા પાછળ ઘણા સારાં કારણો હોય છે, કેમ કે બાઇબલ કહે છે: “ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.”—નીતિવચન ૧૦:૧૯.
ખ્રિસ્તીઓ બીજાઓ સાથે સમજી વિચારીને વર્તે છે. વધારે બોલનાર કે દબાણ કરનાર વ્યક્તિ હંમેશાં સૌથી મહત્ત્વની હોતી નથી. ભૂલશો નહિ કે મુસા પણ “બોલવા ચાલવામાં બાહોશ” હતા, પરંતુ તેમણે ધીરજ, નમ્રતા અને સંયમ જેવા ગુણો ન કેળવ્યા ત્યાં સુધી તે ઈસ્રાએલપુત્રોને સારી રીતે દોરી ન શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨) તેથી, જે ભાઈઓ પાસે બીજાઓની દેખરેખ રાખવાની જવાબદારી હોય છે, તેઓએ ખાસ કરીને વિનમ્ર અને સમજુ બનવું જોઈએ.—નીતિવચન ૧૧:૨.
ઈસુ ખ્રિસ્તે “પોતાની બધી સંપત્તિનો” કારભાર સોંપ્યો છે તેઓનું બાઇબલ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન” તરીકે વર્ણન કરે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) તેઓ અહંકારી રીતે યહોવાહ પરમેશ્વર આગળ દોડી જતા નથી, તેમ જ તેમનું માર્ગદર્શન દીવા જેવું સ્પષ્ટ હોય ત્યારે તેઓ પગ ઘસડતા નથી. તેઓ જાણે છે કે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે તેઓએ ચૂપચાપ રાહ જોવી જોઈએ. આમ, આપણે ફક્ત ચાકર વર્ગના વિશ્વાસનું અનુકરણ જ ન કરવું જોઈએ, પરંતુ તેઓની જેમ સમજુ પણ બનવું જોઈએ.—હેબ્રી ૧૩:૭.