દૈવી ડહાપણ કઈ રીતે દેખાય છે?
“ડાહ્યો માણસ ગરીબ હોય તો કોઈ તેની કિંમત કરતું નથી અને તેની સલાહને આવકારતું નથી.” અહીંયા સુલેમાન રાજા એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ વિષે વાત કરે છે જેણે સલાહ આપીને એક શહેરનો વિનાશ થતાં અટકાવ્યો હતો. પરંતુ દુઃખની વાત છે કે “થોડા વખત પછી સર્વ તેને ભૂલી ગયા.”—સભાશિક્ષક ૯:૧૪-૧૬, IBSI.
ગરીબ લોકોનો તિરસ્કાર કરવામાં આવે છે, પછી ભલેને તેઓએ સારાં કાર્યો કર્યા હોય. ઈસુ ખ્રિસ્તનો પણ લોકોએ તિરસ્કાર કર્યો હતો, જેમના વિષે પરમેશ્વરના સેવક યશાયાહે ભાખ્યું: માણસોએ “તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. દુઃખી માણસ અને ભયંકર વેદના પામેલો તે હતો.” (યશાયાહ ૫૩:૩, IBSI.) અમુક લોકોએ ઈસુ ખ્રિસ્તને ધિક્કાર્યા કારણ કે તેમની પાસે મોભો કે પ્રખ્યાત આગેવાનો જેવી માલમિલકત ન હતી. તોપણ, તેમની પાસે કોઈ પણ પાપી માનવ કરતાં વધારે ડહાપણ હતું. તેમ છતાં, ઈસુ ઉછર્યા હતા ત્યાંના લોકો એ સ્વીકારી શકતા ન હતા કે “સુથારનો દિકરો” આવું ડહાપણ ધરાવે છે, અને ચમત્કારો પણ કરી શકે છે. અહેવાલ બતાવે છે કે “તેઓના અવિશ્વાસને લીધે ઈસુએ ત્યાં થોડા જ ચમત્કારો કર્યા.” એ લોકોએ કેટલું બધુ ગુમાવ્યું!—માત્થી ૧૩:૫૪-૫૮.
આપણે એવી ભૂલ કદી ન કરીએ. ઈસુએ કહ્યું, “જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.” પરમેશ્વરનું કાર્ય કરનારાઓ મોભો કે સામાજિક પદવીને આધારે નહિ, પરંતુ “સારાં ફળ” અને બાઇબલ આધારિત વિશ્વાસ તથા કાર્યોને લીધે ઓળખાય છે.—માત્થી ૭:૧૮-૨૦; ૧૧:૧૯.