પાઠ ૯૫
તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ
એક માણસ લંગડો હતો. તે દરરોજ મંદિરના દરવાજા પાસે બેસીને ભીખ માંગતો હતો. એક બપોરે તેણે પિતર અને યોહાનને મંદિરમાં જતા જોયા. તેણે તેઓને કહ્યું: ‘મને કંઈક આપો.’ પિતરે કહ્યું: ‘મારી પાસે પૈસા કરતાં પણ કંઈક વધારે છે, જે હું તને આપવા માંગું છું. ઈસુના નામમાં કહું છું, ઊભો થા અને ચાલ!’ પિતરે તેને ઊભો કર્યો અને એ માણસ ચાલવા લાગ્યો. એ ચમત્કાર જોઈને લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા અને ઘણા બધા લોકો ઈસુના શિષ્યો બન્યા.
પણ યાજકો અને સાદુકીઓ ખૂબ ગુસ્સે થયા. તેઓ પ્રેરિતોને પકડીને ન્યાયસભામાં લઈ ગયા અને કડક અવાજે પૂછ્યું: ‘એ માણસને સાજો કરવાની શક્તિ તમને કોણે આપી?’ પિતરે કહ્યું: ‘અમને ઈસુ ખ્રિસ્તે એ શક્તિ આપી છે, જેમને તમે મારી નાખ્યા હતા.’ ધર્મગુરુઓએ મોટેથી કહ્યું: ‘ઈસુ વિશે વાત કરવાનું બંધ કરો.’ પણ પ્રેરિતોએ કહ્યું: ‘અમે તો તેમના વિશે વાત કરીશું જ. અમે એ બંધ નહિ કરીએ.’
ન્યાયસભાએ પિતર અને યોહાનને છોડી દીધા. તેઓ તરત શિષ્યો પાસે ગયા અને જે બન્યું હતું એ બધું જણાવ્યું. તેઓએ ભેગા મળીને પ્રાર્થના કરી: ‘હે યહોવા, અમને હિંમત આપો જેથી તમે સોંપેલું કામ કરતા રહીએ.’ યહોવાએ તેઓને પવિત્ર શક્તિ આપી. તેઓએ લોકોને પ્રચાર કરવાનું અને સાજા કરવાનું ચાલુ રાખ્યું. વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો બન્યા, એટલે સાદુકીઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા. તેઓએ પ્રેરિતોને પકડીને જેલમાં નાખી દીધા. પણ યહોવાએ રાતે એક દૂત મોકલ્યો. તેણે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેરિતોને કહ્યું: ‘મંદિરમાં પાછા જાઓ અને લોકોને શીખવો.’
બીજા દિવસે સવારે ધર્મગુરુઓની ન્યાયસભાને ખબર આપવામાં આવી: ‘જેલના દરવાજે હજુ તાળાં છે, પણ તમે જે માણસોને પકડ્યા હતા તેઓ અંદર નથી. તેઓ મંદિરમાં લોકોને શીખવી રહ્યા છે.’ તેઓએ પ્રેરિતોને ફરીથી પકડ્યા અને ન્યાયસભા આગળ ઊભા કર્યા. પ્રમુખ યાજકે કહ્યું: ‘અમે તમને હુકમ આપ્યો હતો કે તમારે ઈસુના નામે કંઈ કહેવું નહિ.’ પણ પિતરે કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”
ધર્મગુરુઓ એટલા ગુસ્સે થયા કે પ્રેરિતોને મારી નાખવા માંગતા હતા. પણ ગમાલિયેલ નામના એક ફરોશીએ ઊભા થઈને કહ્યું: ‘ધ્યાન રાખજો! કદાચ ઈશ્વર એ માણસો સાથે હોય. શું તમે ખરેખર ઈશ્વર સામે લડવા માંગો છો?’ તેઓએ ગમાલિયેલની વાત માની. ધર્મગુરુઓએ પ્રેરિતોને ફટકા મરાવ્યા, પ્રચાર બંધ કરવાનો હુકમ ફરીથી આપ્યો અને પછી છોડી દીધા. પણ પ્રેરિતોએ પ્રચાર કરવાનું છોડ્યું નહિ. તેઓ મંદિરમાં અને ઘરે ઘરે જઈને હિંમતથી ખુશખબર જણાવતા રહ્યા.
“અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯