પાઠ ૭૫
શેતાને ઈસુની કસોટી કરી
ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી, પવિત્ર શક્તિ તેમને વેરાન વિસ્તારમાં દોરી ગઈ. ઈસુએ ૪૦ દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તેમને બહુ ભૂખ લાગી હતી. એટલે શેતાને તેમને લાલચ આપવાની કોશિશ કરી. શેતાને પહેલી લાલચ આપતા ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે એ રોટલી બની જાય.’ પણ ઈસુએ શાસ્ત્રમાંથી જવાબ આપ્યો: ‘લખ્યું છે કે માણસ ફક્ત ખોરાકથી જીવતો નથી. જીવતા રહેવા જરૂરી છે કે તે યહોવાની દરેક વાત માને.’
બીજી લાલચ આપતા શેતાને ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો મંદિરની ટોચ પરથી કૂદી જા. કેમ કે એમ લખેલું છે કે ઈશ્વર પોતાના દૂતોને મોકલીને તને ઝીલી લેશે.’ ઈસુએ ફરી એક વાર શાસ્ત્રમાંથી જણાવ્યું: ‘લખેલું છે કે તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર.’
શેતાને ત્રીજી લાલચ આપતા ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં અને કહ્યું: ‘જો તું ફક્ત એક વાર મારી ભક્તિ કરીશ, તો હું આ બધાં રાજ્યો અને એની જાહોજલાલી તને આપી દઈશ.’ ઈસુએ તેને કહ્યું: ‘અહીંથી ચાલ્યો જા શેતાન! એમ લખેલું છે કે ફક્ત ઈશ્વર યહોવાની ભક્તિ કરવી જોઈએ.’
એ સાંભળીને શેતાન ત્યાંથી જતો રહ્યો અને દૂતોએ આવીને ઈસુને ખાવાનું આપ્યું. પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા લાગ્યા. ઈસુ ધરતી પર એ જ કામ માટે આવ્યા હતા. ઈસુ જે શીખવતા, એ લોકોને ખૂબ ગમતું. તે જ્યાં પણ જતા લોકો તેમની પાછળ પાછળ જતા.
“તે [શેતાન] પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪