ભાગ ૧૨
ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે
નીતિવચનો પુસ્તકમાં ઈશ્વરથી આવેલાં સલાહ-સૂચનો છે. મોટા ભાગનાં સુલેમાને લખ્યાં છે. એનાથી રોજિંદા જીવનમાં ફાયદો થાય છે
યહોવા હંમેશા માણસનું ભલું ચાહે છે. એ માટે તેમણે નીતિવચનો પુસ્તકમાં પુષ્કળ સલાહ-સૂચનો આપ્યાં છે. સુલેમાન રાજાએ એ મોટા ભાગે કહેવતોના રૂપમાં લખ્યાં હતાં. એમાં યહોવાનું જ્ઞાન અને ડહાપણ જોવા મળે છે. રોજિંદા જીવનમાં એ ઘણી મદદ કરે છે. અમુક દાખલા જોઈએ.
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા વગર યહોવાના સારા ભક્ત બની જ ન શકીએ. એટલે સુલેમાને લખ્યું: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.” (નીતિવચનો ૩:૫, ૬) ઈશ્વર જીવનનો માર્ગ બતાવે છે. એ જાણવા તેમને અરજ કરવી જોઈએ. તે જીવનમાં રાહ બતાવશે. પછી એ પ્રમાણે જીવવું જોઈએ. એનાથી યહોવા ખુશ થશે. તે સાબિત કરશે કે શેતાન સાવ જૂઠો છે.—નીતિવચનો ૨૭:૧૧.
એકબીજા સાથે સારું વર્તન રાખો. યહોવાએ પતિ, પત્ની અને બાળકો માટે સૌથી સારી સલાહ આપી છે. એ આજે બહુ જરૂરી છે. એમાં પતિ માટે આ સલાહ છે: ‘તારી પત્નીમાં આનંદ માણ.’ એટલે કે જીવનભર તેને વફાદાર રહે. (નીતિવચનો ૫:૧૮-૨૦) નીતિવચનો એ પણ જણાવે છે કે સારી પત્ની કોને કહેવાય. એ સલાહ પાળીને પત્ની પોતાના પતિ અને બાળકોનું માન પામશે. (નીતિવચનો ૩૧મો અધ્યાય) માબાપનું સાંભળવા બાળકો માટે સરસ સલાહ છે. (નીતિવચનો ૬:૨૦) એ પણ જણાવે છે કે આપણને દોસ્તોની જરૂર છે. દોસ્ત નહિ હોય તો આપણે જાણીજોઈને એકલા રહેવા લાગીશું, બધામાં પોતાનો સ્વાર્થ શોધીશું. (નીતિવચનો ૧૮:૧) પણ કેવા દોસ્ત પસંદ કરીએ એનો ખ્યાલ રાખવો જોઈએ. જેવો સંગ તેવો રંગ.—નીતિવચનો ૧૩:૨૦; ૧૭:૧૭.
પોતાનું ધ્યાન રાખો. નીતિવચનો ચેતવે છે કે શરાબી ન બનવું જોઈએ. નફરત કે ઇર્ષા જેવી લાગણીઓ દિલમાંથી કાઢી નાખવી જોઈએ. સદ્ગુણો કેળવીએ. મહેનતુ બનીએ. (નીતિવચનો ૬:૬; ૧૪:૩૦; ૨૦:૧) એમ પણ જણાવે છે કે ઈશ્વરને બદલે માણસની સલાહ સાંભળીશું તો પોતાનું જ નુકસાન થશે. (નીતિવચનો ૧૪:૧૨) એ પણ અરજ કરે છે કે આપણા દિલને ખોટા વિચારોથી ભ્રષ્ટ થવા ન દઈએ, કેમ કે ‘દિલ તો જીવનનો ઝરો છે.’—નીતિવચનો ૪:૨૩
દુનિયામાં લાખો લોકોને નીતિવચનોની સલાહ પાળવાથી જીવનમાં ઘણા ફાયદા થયા છે. તેઓને પૂરી ખાતરી છે કે યહોવાનું કહેવું માનવામાં જ આપણું ભલું છે.
—આ માહિતી નીતિવચનોમાંથી છે.