‘આવજો’
કહેવાનું દુઃખ
“મારા પતિએ મને પ્રથમ બાળક થયું એ જ દિવસે ચેતવી
હતી—‘મધુ, બાળકો ઉછેરવા એક લંબાવેલી વિદાય છે’”
—આપણે અને આપણાં બાળકો—માબાપ તરફથી માબાપ માટે પુસ્તક. (અંગ્રેજી)
મોટ ભાગના માબાપ પોતાનું પ્રથમ બાળક જન્મે છે ત્યારે, આનંદી—અરે ખુશખુશાલ હોય છે. ઘણી અગવડતાઓ, મુશ્કેલીઓ, હતાશા, અને ચિંતાઓ હોવા છતાં, માબાપ બનવું ઘણો આનંદ લાવી શકે છે. લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં, બાઇબલે જાહેર કર્યું: “છોકરાં તો પ્રભુએ આપેલી ભેટ છે; તેઓ તો સાચો આશીર્વાદ છે.”—ગીતશાસ્ત્ર ૧૨૭:૩, ટુડેઝ ઇંગ્લીશ વર્શન.
તથાપિ, બાઇબલ આ બાબત પણ ભાખે છેઃ ‘માણસ પોતાનાં માબાપને છોડશે.’ (ઉત્પત્તિ ૨:૨૪) શિક્ષણ કે કારકિર્દી આગળ ધપાવવા, તેઓનું ખ્રિસ્તી સેવાકાર્ય વધારવા, કે લગ્ન કરવા જેવાં વિવિધ કારણોસર મોટા થયેલાં છોકરાં સામાન્યપણે ઘર છોડે છે. પરંતુ કેટલાંક માબાપ માટે, આ બાબત ઘણી દુઃખદાયી હોય છે. તેઓ પોતાનાં બાળકોના સ્વતંત્ર બનવાના કુદરતી સંઘર્ષને કારણે પોતાને—એક લેખિકા કહે છે તેમ—“અપમાનની, ક્રોધની, નીચું જોવડાવવાની, ધમકીરૂપ અથવા ત્યજી દેવાની લાગણી અનુભવવા દે છે.” આ મોટાભાગે કાયમી કૌટુંબિક કલહ અને તણાવમાં દોરી જાય છે. કેટલાંક માબાપ, પોતાનાં બાળકો માળો છોડી ઊડી જશે એ દિવસ જોવાનું ટાળતા, તેઓને પુખ્તતા માટે તૈયાર કરવામાં નિષ્ફળ જાય છે. આવી અવગણનાનું કરુણ પરિણામ આવી શકે: એ એવી પુખ્ત વ્યક્તિમાં પરિણમી શકે જે ઘર ચલાવવા, કુટુંબની કાળજી લેવા અને નોકરી સાચવી રાખવા પણ અક્ષમ હોય.
વિખૂટા પડવાનું દુઃખ એકલા-મા કે બાપવાળા કુટુંબોમાં ખાસ કરીને અતિશય હોય શકે. કેરન નામની એકલી માતા કહે છેઃ “મારી દીકરી અને હું નિકટ છીએ; અમે ખાસ મિત્રો બની ગયા છીએ. હું જ્યાં ગઈ ત્યાં તેને પણ લઈ ગઈ.” એકલા મા કે બાપવાળા ઘરોમાં મા કે બાપ અને બાળકનો નિકટ સંબંધ હોવો સામાન્ય છે. સમજી શકાય કે, આવી નિકટતા જતી કરવાનો વિચાર માત્ર નાસીપાસ કરનારો બની શકે.
તેમ છતાં, ટ્રેઈટ્સ ઑફ એ હેલ્થી ફેમીલી પુસ્તક માબાપને યાદ કરાવે છેઃ “કૌટુંબિક જીવનની એ જ તો ખૂબી છે: એક પરાવલંબી બાળકને સ્વાવલંબી વ્યક્તિ તરીકે ઉછેરવું.” પછી એ ચેતવણી આપે છેઃ “કુટુંબમાં ઘણી સમસ્યા છોકરાંને ‘આવજો’ કહેવાની માબાપની અક્ષમતાથી ઊભી થાય છે.”
તમારા વિષે શું? શું તમે માબાપ છો? એમ હોય તો, તમારાં છોકરાંને ‘આવજો’ કહેવાના દિવસ માટે તમે તૈયાર છો? અને તમારાં બાળકો વિષે શું? શું તમે તેઓને એકલા સફળતાપૂર્વક જીવવા તૈયાર કરી રહ્યા છો?