દેવના જ્ઞાનને પૃથ્વીના છેડા સુધી લઈ જવું
આંદામાન અને નિકોબાર ટાપુઓ હિન્દી મહાસાગરમાં, ભારતના પૂર્વ કિનારેથી કંઈક ૧,૨૦૦ કિલોમીટર દૂર, રમણીય દ્વીપસમૂહ રચે છે. એમાં ૫૭૨ ટાપુઓ, નાના ટાપુઓ, પરવાળાઓ અને ખડકો છે, જેની જમીનનો કુલ વિસ્તાર ૮,૨૪૯ ચોરસ કિલોમીટર થાય છે, પરંતુ ફક્ત ૩૮ ટાપુઓ પર જ વસ્તી છે.
સદીઓથી ત્યાંના વતનીઓ પસાર થતા દરિયાખેડુઓને પરોણાગત બતાવતા ન હતા. કેટલાય યુરોપીય રાષ્ટ્રો નિષ્ફળ ગયા પછી, બ્રિટિશરો પ્રથમ હતા જેઓએ એ ટાપુઓ પર વસાહત સ્થાપી. તેઓએ ૧૯મી સદીમાં એમ કરવામાં દક્ષિણ આંદામાન ટાપુનો ઉપયોગ કર્યો, જે ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન કાળાપાણીની સજા માટે સૌથી આગવો ટાપુ હતો. વિશ્વયુદ્ધ ૨ દરમ્યાન જાપાનના ટૂંકા શાસન બાદ, એ ટાપુઓ ભારતીય પ્રજાસત્તાકના વહીવટ હેઠળ આવ્યા. વહાણ અને વિમાન દ્વારા સહેલાયથી પહોંચી શકાય એવા એ ટાપુઓ કંઈક ૩,૦૦,૦૦૦ લોકોનું ઘર છે—આદિવાસીઓની થોડીક વસ્તી અને બાકીના ભારતના પૂર્વીય કિનારેથી આવેલા લોકો.
બંગાળી, તામિલ, અને તેલુગુ ભાષાઓ વિસ્તૃત પ્રમાણમાં બોલાય છે. મલયાલમ ભાષી લોકોની વસ્તી પણ મોટી છે, પરંતુ એ ટાપુઓની મુખ્ય ભાષા હિન્દી છે. પૃથ્વીના છેવાડેના એ ભાગમાં યહોવાહના સાક્ષીઓના ચાર મંડળો તેમ જ બે છુટાછવાયા વૃંદો અને દૂરના ટાપુઓ પર વિખેરાયેલા બીજા સાક્ષીઓ છે. બધા પ્રકારના લોકોને પહોંચવાની ઇચ્છાનું પ્રતિબિંબ પાડવા, આ વર્ષના વિષયની કલમ ટાપુઓ પરના સૌથી મોટા બે મંડળોના રાજ્યગૃહોમાં પાંચ ભાષાઓમાં પ્રદર્શિત કરવામાં આવી છે. એ વંચાય છે: “વચનના પાળનારા થાઓ.”—યાકૂબ ૧:૨૨.
ડિસેમ્બર ૨૨થી ૨૪ દરમ્યાન, વહીવટી પાટનગર પોર્ટ બ્લેર ૧૯૯૫-૯૬માં ભારતમાં ભરવામાં આવેલા ૧૬ “આનંદી સ્તુતિકર્તાઓ” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાંના એકનું યજમાન હતું. શિખર હાજરી ૨૯૦ હતી, અને ૧૧ વ્યક્તિઓએ યહોવાહને પોતાના સમર્પણની જાહેરાત કરી. મહાસંમેલનમાં હાજરી આપનારાઓને, ફક્ત અંગ્રેજીમાં જ નહિ, પરંતુ હિન્દી અને સ્થાનિકપણે બોલાતી બધી મુખ્ય ભાષાઓમાં, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક મેળવવાને લીધે ઘણો જ આનંદ થયો. અંગ્રેજી ભાષાની આવૃત્તિની સાથે સાથે નવ ભારતીય ભાષાઓમાં બહાર પાડવામાં આવ્યું હોય એવું આ પ્રથમ પુસ્તક છે.
બીજે જ દિવસે, જે જાહેર રજાનો દિવસ હતો, યહોવાહના કંઈક ૬૦ આનંદી સ્તુતિકર્તાઓ બીજાઓ સાથે દેવના રાજ્યના સુસમાચારના સહભાગી થવા માટે એક ટાપુના દૂરના ભાગમાં મુસાફરી કરીને ગયા. સાક્ષીઓ નાનાં વૃંદોમાં વહેંચાઇને ધૂળવાળી પગદંડીઓ પર ચાલીને, ખેતરોમાંથી, અને નાની ટેકરીઓ પરથી ગયા. તેઓનો હેતુ દૂરના ગામડાં અને ગાઢાં જંગલોના વિસ્તારોમાંના નમ્ર ખેડૂતોને શોધી કાઢવાનો હતો. સાક્ષીઓએ તેઓને તેઓની ભાષામાં એક કે બે શાસ્ત્રવચનો વાંચી સંભળાવ્યા અને પત્રિકા, સામયિક, કે તેઓની પોતાની ભાષામાં જ્ઞાન પુસ્તક રજૂ કર્યું. દરિયાકાંઠે ઉજાણી કર્યા પછી, સાક્ષીઓ પોતાને ઘરે પાછા ફર્યા. તેઓ કેટલા ખુશ હતા કે તેઓ પોતાનાં સમય અને શક્તિનો યહોવાહની સેવામાં ઉપયોગ કરી દેવનું જ્ઞાન “પૃથ્વીના છેડા સુધી” લઈ ગયા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.